
ISRO scientists resignation: ભારતની અવકાશ સંસ્થા ઈસરો (ISRO) જેણે ચંદ્રયાન અને આદિત્ય-એલ૧ જેવા મિશન દ્વારા વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે, તેના માટે અત્યારે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, છેલ્લા બે વર્ષમાં ૧૦૦થી વધુ ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિકો અને ટેકનિકલ સ્ટાફે રાજીનામા આપ્યા છે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા સરકાર અને અંતરિક્ષ વિભાગે હવે કડક નિયમો લાગુ કર્યા છે. હવે કોઈપણ વૈજ્ઞાનિકનું રાજીનામું સ્થાનિક સ્તરે મંજૂર નહીં થાય, પરંતુ તેના માટે સીધી દિલ્હી સ્થિત અંતરિક્ષ ભવનની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ગગનયાન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવાનો છે. પરંતુ શું માત્ર નિયમો કડક કરવાથી વૈજ્ઞાનિકોને રોકી શકાશે, તે સૌથી મોટો પ્રશ્ન છે.
ઓછો પગાર અને કામનું અતિશય દબાણ
ડૉ. પ્યારલાલ ગર્ગ આ સમગ્ર પરિસ્થિતિ પાછળના મૂળભૂત કારણો પર પ્રકાશ પાડતા જણાવે છે કે, સમસ્યા માત્ર આંકડાઓની નથી, પરંતુ સિસ્ટમમાં રહેલી ખામીઓની છે. યુનિવર્સિટીઓના પ્રોફેસરોની સરખામણીએ સરકારી વૈજ્ઞાનિકોનો પગાર ઘણો ઓછો છે. ૧૫-૨૦ વર્ષની મહેનત પછી પણ તેઓ ઉચ્ચ ગ્રેડ પે સુધી પહોંચી શકતા નથી. આ ઉપરાંત, ઈસરો, ડીઆરડીઓ (DRDO) અને સીએસઆઈઆર (CSIR) જેવા સંસ્થાનમાં કામ કરનાર વૈજ્ઞાનિકો પાસે કોઈ વ્યક્તિગત જીવન બચતું નથી. તેમને ક્યારેક જંગલોમાં, તો ક્યારેક બરફીલા પહાડો કે સમુદ્રમાં મિશન પર રહેવું પડે છે. જ્યારે મહિલા વૈજ્ઞાનિકોને પણ કપલ તરીકે સાથે પોસ્ટિંગ આપવામાં આવતી નથી, ત્યારે તેઓ કંટાળીને યુનિવર્સિટીઓ અને પ્રાઈવેટ સેક્ટર તરફ વળી રહ્યા છે. ત્યાં પગાર પણ સારો છે અને કામનું દબાણ સરખામણીમાં ઘણું ઓછું છે.
સત્તાધારી વલણ અને બ્યુરોક્રસીનો વધતો હસ્તક્ષેપ
ડૉ. ગર્ગ આક્ષેપ કરે છે કે વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સત્તાનો હસ્તક્ષેપ વધ્યો છે. જે સંસ્થાઓ આઝાદી પછી સાયન્ટિફિક એડવાઈઝરના માર્ગદર્શન હેઠળ સ્વતંત્ર રીતે કામ કરતી હતી, ત્યાં હવે બ્યુરોક્રેટ્સનું વર્ચસ્વ વધી ગયું છે. સરકાર તરફથી વૈજ્ઞાનિકોના મનોબળને તોડતા નિવેદનો પણ ક્યારેક તેમની હતાશામાં વધારો કરે છે. આ એક ‘સિસ્ટમ’નો ભાગ છે, જ્યાં પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને યોગ્ય સન્માન આપવાને બદલે તેમને માત્ર એક ‘વર્કર’ તરીકે જોવામાં આવે છે. આનાથી વિપરીત, જ્યારે દેશમાં કુદરતી આફતો કે કટોકટી આવે છે, ત્યારે આ વૈજ્ઞાનિકો અને ડોક્ટરો જ હોય છે જે કોઈ રજા વિના રાત-દિવસ કામ કરે છે, છતાં તેમની કદર કરવામાં આવતી નથી.
ખાનગીકરણનો ખેલ અને દેશી ટેકનોલોજી પર પ્રશ્નાર્થ
ચર્ચામાં એવો પણ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે શું આ આખું આયોજન પ્રાઈવેટ કંપનીઓને લાભ પહોંચાડવા માટે છે? જેવી રીતે ભૂતકાળમાં સરકારી દવા કંપનીઓને ફેલ કરી ખાનગી ફાર્મા કંપનીઓને ફાયદો કરાવવામાં આવ્યો, તેવી જ રીતે ડિફેન્સ અને સ્પેસ સેક્ટરમાં પણ ‘મેક ઇન ઇન્ડિયા’ની વાતો વચ્ચે વિદેશી ખરીદીઓ કે ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવાને બદલે તેમને સિસ્ટમમાંથી બહાર ધકેલી દેવાની વ્યૂહરચના કામ કરી રહી હોય તેવું લાગે છે. આ સ્થિતિ દેશના લાંબા ગાળાના આત્મનિર્ભરતાના સપના માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.
ધર્મ અને રાજનીતિથી પર હોવું જોઈએ વિજ્ઞાનનું લક્ષ્ય
ઇતિહાસના પાના પલટતા ડૉ. ગર્ગ યાદ અપાવે છે કે ૧૯૬૫ના યુદ્ધમાં હોમી ભાભાએ કેવી રીતે પોતાની બુદ્ધિપ્રતિભાથી દેશની સેનાને પાકિસ્તાની પેટન ટેન્ક તોડવા માટે સક્ષમ બનાવી હતી. એ સમયના નેતાઓએ સાયન્ટિસ્ટોને પૂરી આઝાદી આપી હતી. આજે દેશને વિજ્ઞાનની જરૂર છે, નહીં કે માત્ર ધર્મના નામે ધ્રુવીકરણની. જ્યોતિષ કે અંધશ્રદ્ધાને વિજ્ઞાનના સ્થાને લાવવાના પ્રયાસોથી દેશ ક્યારેય આગળ વધી શકશે નહીં. જ્યારે વૈજ્ઞાનિકોને જાતિ કે ધર્મના આધારે અલગ કરવામાં આવશે, ત્યારે દેશની એકતા અને વિકાસ બંનેને નુકસાન થશે. ‘ધરતી બાંટી, સાગર બાંટા, મત બાંટો ઇન્સાન કો’ની ભાવના સાથે વૈજ્ઞાનિકોને સાચવવાની અત્યારે દેશને તાતી જરૂર છે.
આ પણ વાંચો:








