
●ભાજપના એક મંત્રી સામે કડક વલણ અપનાવનાર જસ્ટિસ અતુલ શ્રીધરનની બદલી કરી નાખવામાં આવી હતી
●સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ ન્યાય તંત્રમાં સરકારની દખલગીરી અને કોલેજિયમ પર સવાલ ઉઠાવી કહ્યુ કે “લોકશાહીના માળખા સામે જોખમ ઉભું થયું છે!”
Supreme Court: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ ન્યાયતંત્રની આંતરિક કામગીરી અને જજોની બદલીની પ્રક્રિયા(કોલેજિયમ સિસ્ટમ) પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેઓએ આ પ્રક્રિયાને લોકશાહીના માળખા સામે જોખમરૂપ ગણાવ્યું છે.
તેઓએ ઉમેર્યુ કે દેશમાં સરકારના ઈશારે જો જજોની આ પ્રકારે બદલીઓ થવા લાગશે, તો તે ન્યાયતંત્રની સ્વાયત્તતા અને આઝાદી સામે સૌથી મોટું જોખમ સાબિત થશે. ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે આવું સમાધાન લોકશાહીના મૂળભૂત માળખાને નબળું પાડી શકે છે.
પુણેની આઈ.એલ.એસ. લો કોલેજમાં તેમણે પોતાના વ્યાખ્યાન દરમિયાન આ મુજબ જણાવ્યું હતું તેઓએ ‘ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર સવાલ ઉઠાવ્યા અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરનના કિસ્સાને ટાંકીને કહ્યું કે, ‘કોઈ જજને માત્ર એટલા માટે બદલી દેવાય છે કે તેમણે સરકાર વિરુદ્ધ કોઈ અસુવિધાજનક આદેશ આપ્યો હોય.તેમણે ઉમેર્યું કે મે મહિનામાં જસ્ટિસ અતુલ શ્રીધરનની બેન્ચે ભાજપના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બદલ કડક વલણ અપનાવ્યું હતું, પરિણામેઆ ન્યાયિક કાર્યવાહીના ટૂંકા સમયગાળામાં જ તેમની બદલી કરી દેવામાં આવી હતી.
આ ઘટના બાદ કાયદાકીય નિષ્ણાતો તેને સરકારની નારાજગીના પરિણામ અથવા એક પ્રકારની ‘સજા’ તરીકે માની રહ્યા છે.જસ્ટિસ ભુઈયાએ નારાજગી વ્યક્ત કરતા ઉમેર્યુ કે જસ્ટિસ શ્રીધરનની બદલીમાં કેન્દ્ર સરકારના સૂચન મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા. પહેલા તેમને છત્તીસગઢ મોકલવાની ભલામણ હતી, પરંતુ બાદમાં સરકારના કહેવા પર તેમને અલ્લાહાબાદ હાઈકોર્ટ મોકલી દેવાયા હતા.
જસ્ટિસ ભુઈયાએ સવાલ કર્યો કે જ્યારે કોલેજિયમ પોતે જ સ્વીકારે છે કે સરકારના કહેવાથી નિર્ણય બદલાયો છે, ત્યારે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર સવાલો ઉઠી રહયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જજોની બદલીમાં સરકારની કોઈ ભૂમિકા હોવી જોઈએ નહીં, ન્યાયતંત્રમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોવો ન જોઈએ.
જસ્ટિસ ભુઈયાએ કહ્યું હતું કે “જ્યારે ન્યાયિક નિર્ણયોને આધારે તેઓની બદલીઓ થાય છે, ત્યારે તે માત્ર એક જજની કારકિર્દીને જ નહીં, પરંતુ સમગ્ર ન્યાય પ્રણાલીની વિશ્વસનીયતાને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે.આ કિસ્સો ન્યાયતંત્રમાં સરકારનો સીધો હસ્તક્ષેપ દર્શાવે છે જેનાથી ન્યાયતંત્રની ગરિમા સામે સવાલો ઉભા થયા છે.આમ,ભાજપ સરકારના સીધા હસ્તક્ષેપ મામલે સુપ્રીમ કોર્ટના જજે સવાલો ઉઠાવી લોકશાહી ઉપર જોખમ ગણાવતા ભારે ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









