
Kerala Fiscal Crisis: કેરળનું અર્થતંત્ર આજે એક એવા ગંભીર વળાંક પર ઉભું છે જ્યાંથી પાછા ફરવું લગભગ અશક્ય જેવું લાગે છે. રાજ્ય પરના ૫.૦૭ લાખ કરોડ રૂપિયાના તોતિંગ દેવાએ ન માત્ર આંકડાકીય ચર્ચા જગાવી છે, પણ અસલી ચિંતા તો તેના કરતા પણ ઊંડી છે. ૨૦૨૫માં કેરળનું તંત્ર ૩૪૬ દિવસ સુધી આરબીઆઈ પાસેથી ‘વેઝ એન્ડ મીન્સ એડવાન્સ’ અને ઓવરડ્રાફ્ટ પર ટકી રહ્યું હતું. એક વર્ષમાં ૩૬૫ દિવસ હોય છે, તેનો અર્થ એ કે રાજ્ય આખું વર્ષ રોકડની તંગી સાથે ઝઝૂમી રહ્યું હતું. સરકાર પોતાના રોજિંદા ખર્ચ કાઢવા માટે મોંઘા વ્યાજે દેવું લેવા મજબૂર છે. આ સ્થિતિ દર્શાવે છે કે સરકાર પાસે હવે રાજ કરવાની કોઈ ખાસ ગુંજાઈશ રહી નથી, માત્ર દેવાની ચુકવણી કરવા માટે જ તંત્ર દોડી રહ્યું છે.
દેવાના દુષચક્રમાં ફસાયેલું કેરળ
પબ્લિક ફાઇનાન્સનો એક પાયાનો નિયમ છે કે દેવું ત્યારે જ ટકાવક્ષમ ગણાય જ્યારે આર્થિક વિકાસનો દર તેના વ્યાજ દર કરતા વધારે હોય. કેરળ આ નિયમમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. રાજ્ય જે પણ દેવું લે છે તેનો ઉપયોગ નવા ઉદ્યોગો કે ઉત્પાદક સંપત્તિ બનાવવા માટે નથી થતો, પરંતુ પગાર, પેન્શન અને જૂના દેવાના વ્યાજ ચૂકવવા માટે થાય છે. રેવેન્યુ તરીકે મળતા દરેક ૧૦૦ રૂપિયામાંથી ૭૭.૬૦ રૂપિયા તો માત્ર આ પૂર્વ-નિર્ધારિત ખર્ચમાં જ જતા રહે છે, જ્યારે અન્ય રાજ્યો માટે આ સરેરાશ માત્ર ૪૬ રૂપિયા છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે કેરળની તિજોરી આર્થિક રીતે પાંગળી થઈ ચૂકી છે.
વ્યાજનું વધતું ભારણ: આવનારી પેઢીઓ પર દેવાનો ડુંગર
છેલ્લા એક દાયકામાં કેરળના ખજાનામાં પગારનો હિસ્સો ઘટ્યો છે, પરંતુ વ્યાજની ચુકવણીનું પ્રમાણ ૧૬.૧ ટકાથી વધીને ૨૦.૯ ટકા સુધી પહોંચી ગયું છે. આ આંકડો અન્ય રાજ્યોની સરેરાશ કરતા ઘણો વધારે છે. વ્હાઇટ પેપરની ચેતવણી સાવ સ્પષ્ટ છે: આજનું ઉધાર એ કાલનો કમિટડ ખર્ચ છે અને તે આવતા વર્ષો માટે ટ્રેઝરી સ્ટ્રેસ બનશે. સરકારો બદલાય છે, પણ આ આર્થિક પદ્ધતિમાં કોઈ બદલાવ આવતો નથી. દરેક નવી સરકાર જૂના દેવાને સંભાળવા નવું દેવું લે છે અને આ રીતે કેરળ એક એવા ડેબ્ટ ટ્રેપ (દેવાની જાળ) માં ફસાયું છે જ્યાંથી નીકળવું હવે કઠિન બનતું જાય છે.
કેન્દ્રીય ગ્રાન્ટનો ભ્રમ: સુધારાને બદલે માત્ર મલમપટ્ટીનો ખેલ
ઘણા લોકો માને છે કે કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાયથી રાજ્યની આર્થિક સ્થિતિ સુધરશે. પરંતુ ૨૦૨૦ થી ૨૦૨૫ દરમિયાન કેરળને રેવેન્યુ ડેફિસિટ ગ્રાન્ટ અને જીએસટી વળતર પેટે ૭૭,૨૦૧ કરોડ રૂપિયા મળ્યા હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. આ રકમ કોઈ રોકાણ કે વિકાસમાં વપરાવાને બદલે માત્ર ખાધ પૂરવા માટે વપરાઈ ગઈ. જ્યારે ૧૬મા નાણાં પંચે આ ગ્રાન્ટ બંધ કરી, ત્યારે અસલી ફિસ્કલ સ્ટ્રક્ચર ખુલ્લું પડી ગયું. આ દર્શાવે છે કે કેન્દ્રની મદદ માત્ર એક સહારો હતો જેણે આર્થિક સંકટને થોડા સમય માટે છુપાવી રાખ્યું હતું, સમસ્યાનું મૂળ તો ત્યાંનું ત્યાં જ હતું.
KIIFB નો ભ્રમ
KIIFB એટલે કે ‘કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ’ ને શરૂઆતમાં એક નવા આર્થિક મોડલ તરીકે જોવામાં આવ્યું હતું. સરકારને લાગ્યું કે બજેટની મર્યાદા બહાર જઈને વિકાસ કરી શકાશે. પરંતુ આ વ્યવસ્થાએ દેવાને માત્ર બજેટની બહાર ધકેલી દીધું છે. આજે KIIFB પર પણ ૫૬,૦૦૦ કરોડ રૂપિયાની લેણદારી થઈ ગઈ છે. આ એક એવી પદ્ધતિ બની ગઈ છે જેણે દેવાની સમસ્યાને ખતમ કરવાને બદલે તેને છુપાવીને વધુ મોટી બનાવી છે. પરિયોજનાઓ કેટલી સફળ રહી તે પ્રશ્ન તો બાજુ પર રહ્યો, પણ તેની નાણાકીય જવાબદારી હવે કેરળના દરેક નાગરિકના માથે બોજ બનીને બેઠી છે.
ઔદ્યોગિક વિકાસનો અભાવ
કેરળની આર્થિક કંગાળી પાછળ છેલ્લા ૩૦-૪૦ વર્ષોમાં થયેલો ઔદ્યોગિક વિકાસનો અભાવ સૌથી મોટું કારણ છે. તમિલનાડુ જેવા રાજ્યોએ ઉદ્યોગ અને મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકીને પોતાની આવક વધારી, જ્યારે કેરળમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો ૧૩ ટકા પર અટવાયેલો રહ્યો. કેરળ પાસે જે સમયે આર્થિક રાહત હતી, ત્યારે નવા ઉદ્યોગો લગાવવાને બદલે માત્ર કલ્યાણકારી યોજનાઓ પર વધુ પડતો ખર્ચ કરવામાં આવ્યો. આજે જ્યારે તિજોરી ખાલી છે, ત્યારે સમજાય છે કે ઉદ્યોગો વગર માત્ર સહાય અને દેવાથી રાજ્યને લાંબો સમય ચલાવી શકાતું નથી.
શું હવે કોઈ સાહસિક નિર્ણય લેવાશે?
હવે પ્રશ્ન એ નથી કે કેરળ આર્થિક સંકટમાં છે કે નહીં, એ તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અસલી પ્રશ્ન એ છે કે શું વીએડી સતીશનની સરકાર કે ભવિષ્યના શાસકો આ સમસ્યાને સ્વીકારીને તેને ઠીક કરવાનું સાહસ બતાવશે? જૂની રાજકીય નીતિઓ, જ્યાં સરકાર માત્ર સુવિધાઓ અને સબસીડીના ભરોસે સત્તા ટકાવી રાખવા માંગે છે, તે હવે આર્થિક રીતે અશક્ય છે. જો રાજ્યએ પોતાનું અસ્તિત્વ ટકાવવું હશે, તો તેણે ઉદ્યોગોને આમંત્રણ આપવું પડશે અને દેવાના ચક્રમાંથી બહાર આવવા માટે કઠિન આર્થિક સુધારા કરવા પડશે. નહીંતર, આ આર્થિક સંકટનો ઇતિહાસ કેરળને કાયમ માટે દેવાદાર બનાવી દેશે!
આ પણ વાંચો:







