
- મહાકુંભ રેલવેના અમદાવાદ વિભાગને ફળ્યો; એક મહિનામાં કરી ₹186 કરોડથી વધુની કમાણી
પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભના કારણે ભારતીય રેલવેને અઢળક કમાણી થઈ છે. તો ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં પ્રયાગરાજના કુંભમેળામાં ગંગા સ્નાન કરવા પહોંચ્યા હોવાથી જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ વિભાગને 186.45 કરોડ રૂપિયાની આવક થઈ છે. આમ જાન્યુઆરીમાં અમદાવાદ ડિવિઝને પ્રતિદિવસ સરેરાશ 6 કરોડ રૂપિયાથી વધુની આવક રળી હતી.
ઉનાળા કે દિવાળી વેકેશન કરતાં પણ મહાકુંભ દરમિયાન રેલવેને સૌથી વધુ આવક થઈ છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં આવક 167.62 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 175.29 કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરીમાં વધીને 186.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવેને દર મહિને સરેરાશ 170 કરોડ રૂપિયાની આવક થતી હોય છે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે મહાકુંભને કારણે અનેક લોકોએ નવા નિયમ મજબ ડિસેમ્બરથી જ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. સામાન્ય ટ્રેન હાઉસફુલ થઈ જતાં અમદાવાદથી 20થી વધુ કુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ હતી. આ પૈકાની મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો જાહેરાતની સાથે જ હાઉસફુલ થઈ ગઈ છે.
આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં રેલવે દ્વારા અમદાવાદ સહિત ડિવિઝનના વિવિધ સેક્શનમાં વિશેષ ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં કુલ 24,753 લોકોને ઝડપી તેમની પાસેથી 1.78 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા.
25 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આરપીએફની મદદથી રેલવે અધિકારીઓના નેતૃત્વમાં વિશેષ ઝુંબેશ કરાઈ હતી. આ સમય દરમિયાન ટિકિટ વગર તેમજ અન્ય કોચમાં મુસાફરી કરતા 9126 લોકોને ઝડપી તેમની પાસેથી દંડ પેટે 64.25 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: દિલ્હીમાં ભાજપનો ઘોડો દોડ્યો; આપ ધીમે પડી તો કોંગ્રેસે ખાતુંં ખોલાવા તરફ