
- મોદી સરકારના 10 વર્ષ પછીય તંત્રને કહેવું પડે કે ઢીલી કામગીરી નહીં ચાલે!!
- જૂનાગઢના મેંદરડા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં મનસુખ માંડવીયાની અધિકારીઓને સૂચના
Junagadh । પ્રધાનમંત્રી મોદી પોતાના લાંબા હાથથી પોતાની પીઢ થપથપાવીને તંત્રને સીધું દોર કરી નાંખ્યું હોવાના બણગાં ફૂકતાં હોય છે. પણ, બાબુશાહીમાં લવલેશ સુધારો થયો નથી એ વાસ્તવિકતા છે. જોકે, ભાજપા સરકાર હંમેશા સીધી રીતે પોતાની નિષ્ફળતાનો સ્વિકાર કરતું નથી. અથવા તો નિષ્ફળતાનો સ્વિકાર કરવાની નૈતિકતા ભાજપીઓમાં છે જ નહીં. આખું વર્ષ મોદીનાં મનની વાતો સાંભળનારા નેતાઓ ભુલથી પોતાના મનની વાત કરી નાંખે છે એવું જ આજે કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાથી કદાચ થઈ ગયું હોય એવું લાગે છે.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આયોજિત તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જાહેર મંચ પરથી અધિકારીઓને કડક સૂચના આપી હતી કે, મજૂર માણસનો એક કાગળ 15 દિવસે અધિકારી સુધી પહોંચે છે, તંત્રની આટલી ઢીલી કામગીરી આ શાસનમાં નહીં ચાલે.
માંડવિયાએ કહ્યું હતું કે, મેં વહીવટી તંત્રને સૂચના આપી છે, જે બાબતે મેં કલેક્ટર સાથે વાત કરી છે. જન પ્રતિનિધિઓને હળવાશથી ના લેશો, જન પ્રતિનિધિ લોકશાહીની અંદર જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વાચા આપનાર માધ્યમ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારની અપેક્ષા છે, જન પ્રતિનિધિઓ જનતા વચ્ચે ઝુકે. વહીવટી તંત્ર ટાઈટ ચાલે એ આ શાસનની અંદર સંભવ નથી અને હું છું ત્યાં સુધી તો નથી જ, ત્યારે સંવેદનાથી કામ થાય એવી મારી અપેક્ષા છે.
કેન્દ્રિય મંત્રીની સમગ્ર વાત એક રીતે તો ઈશારો છે કે, મોદી સરકાર 10 વર્ષેય તંત્ર પર પૂરી પક્કડ બનાવી શકી નથી. માંડવીયાના શબ્દોમાં એકરીતે તો એકરાર છે કે, મોદીની ડબલ એન્જિન સરકાર વહીવટી તંત્રને સીધો દોર કરી શકી નથી. બાકી, જો બધું મોદી સાહેબના કહેવા પ્રમાણે ચુસ્ત દુરુસ્ત હોય તો આજે માંડવીયાને આવી વાતો કરવાની કોઈ જરૂર રહેત જ નહીં.
માંડવીયા અગાઉ પણ ઘણાં ભાજપી નેતાઓ વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેરોના ભાજપી કાઉન્સિલરો બળાપો કાઢી ચૂક્યાં છે કે વહીવટી તંત્ર તેમને ગાંઠતું નથી. જો બહુમતથી ચૂટાયેલા કાઉન્સિલરને વહીવટી તંત્ર ગાંઠતું ના હોય તો હોંશે હોંશે કમળનું બટન દબાવનારાઓને તો તંત્ર કેટલો ભાવ આપતું હશે?
એકંદરે, ભાજપ સરકાર ગાજરની પૂપુડી વગાડીને કાર્ય સંપન્ન કર્યું હોવાનો ડંકો પીટ્યા કરે છે. બાકી, સત્તા ભૂખ્યાં રાજકારણીઓને બની બેઠેલાં જન પ્રતિનિધિઓને જનતાની સ્હેજેય પડી ના હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે.