
Priyank Kharge RSS: કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની કાનૂની સ્થિતિ, નાણાકીય સ્ત્રોતો અને સંગઠનાત્મક માળખા અંગે જે પ્રશ્નો ઉઠાવ્યા છે, તેણે દેશની રાજનીતિમાં મોટું ઘમાસાણ મચાવી દીધું છે. ખડગેએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો હેતુ સંઘ પર પ્રતિબંધ મૂકવાનો નથી, પરંતુ લોકશાહીમાં ‘પારદર્શિતા’નો આગ્રહ રાખવાનો છે. એક જવાબદાર ગૃહમંત્રી તરીકે તેમણે પડકાર ફેંક્યો છે કે જો સંઘ ભારતની સેના કરતાં પણ ઝડપથી બળ તૈયાર કરી શકતું હોય, તો રાજ્ય સરકારને એ જાણવાનો ચોક્કસ અધિકાર છે કે આ સંગઠન કયા કાયદા હેઠળ કામ કરે છે, તેની કમાન્ડ ચેઈન શું છે અને તેને ફંડ ક્યાંથી મળે છે? બંધારણીય લોકશાહીમાં કોઈ પણ સંગઠન કાયદાથી ઉપર હોઈ શકે નહીં, પછી ભલે તે કેટલું પણ જૂનું કે પ્રભાવશાળી કેમ ન હોય.
મોહન ભાગવતનું વિવાદાસ્પદ નિવેદન
આ આખા વિવાદનું મૂળ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું એક કથિત નિવેદન છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે જો જરૂર પડે, તો આરએસએસ સરહદ પર લડવા માટે માત્ર ત્રણ દિવસમાં સેના તૈયાર કરી શકે છે. આ નિવેદન દેશની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર માનવામાં આવે છે. પ્રિયંક ખડગેએ આ નિવેદનને અહંકારનું પ્રદર્શન ગણાવતા કહ્યું કે, જે સંસ્થા કરદાતાઓના પૈસાથી સુરક્ષા પ્રોટોકોલ અને અન્ય વિશેષાધિકારો ભોગવે છે, તેણે પોતાની કાનૂની સ્થિતિ જાહેર કરવામાં આટલી શરમ કેમ અનુભવવી જોઈએ? ખડગેએ માર્મિક રીતે પૂછ્યું છે કે, જ્યારે રસ્તા પરના એક ફૂટપાથ વિક્રેતાને પણ નોંધણી કરાવવી પડે છે અને કાયદાનું પાલન કરવું પડે છે, ત્યારે સંઘ જેવા વિશાળ સંગઠનને આ નિયમોમાંથી છૂટ કેમ?
પારદર્શિતાનો આગ્રહ
ખડગેએ ૧૩ જૂને લખેલા પત્રમાં મોહન ભાગવતને સ્પષ્ટ કર્યું છે કે જે સંગઠન વારંવાર રાષ્ટ્રવાદ, શિસ્ત અને દેશભક્તિની વાતો કરે છે, તેણે પોતે પણ ભારતના બંધારણનું સન્માન કરવું જોઈએ. જો સંઘ ખરેખર દેશ માટે સમર્પિત છે, તો તેણે પોતાના દાન, અંશદાન અને આવકના સ્ત્રોતોની વિગતો જાહેર કરીને પારદર્શિતા સાબિત કરવી જોઈએ. ખડગેનું કહેવું છે કે સાંસ્કૃતિક કે સામાજિક પ્રવૃત્તિઓ કરવાની કોઈને ના નથી, પરંતુ આ આડમાં બંધારણીય માળખાની બહાર જઈને કામ કરવું તે કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ પોતાના વકીલો અને કાનૂની સલાહકારો સાથે સંઘના કાર્યાલયે જઈને આ મુદ્દે ચર્ચા કરવા પણ તૈયાર છે.
રાજકીય હથકંડા કે બંધારણીય જવાબદારી?
ઘણા લોકો આ માંગણીને રાજકીય હથકંડું ગણાવે છે, પરંતુ ખડગેએ આ આરોપોને નકારી દીધા છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે તેમનો પત્ર અને ભાગવતનું નિવેદન અલગ-અલગ સમયે આવ્યા છે અને આ બંનેને જોડીને જોવું એ ગેરમાર્ગે દોરનારી વાત છે. કર્ણાટકના ગૃહમંત્રી તરીકે તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રાજ્યમાં તમામ સંગઠનો કાયદાના દાયરામાં રહીને કામ કરે. તેઓ હિન્દુ ધર્મની વિરુદ્ધ હોવાના તર્કોને પણ તેમણે પાયાવિહોણા ગણાવ્યા છે. લોકશાહીમાં જ્યારે કોઈ સંગઠન પોતાની જાતને સરકાર અને સેના કરતા પણ વધુ શક્તિશાળી ગણાવે, ત્યારે સરકારની જવાબદારી છે કે તે બંધારણીય પ્રશ્નો પૂછે. આ જ જવાબદારીનું વહન ખડગે કરી રહ્યા છે.
કાયદા સમક્ષ સૌ સમાન
આ સમગ્ર પ્રકરણમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે શું ભારતમાં કોઈ પણ સંસ્થા કાયદાના દાયરાની બહાર હોઈ શકે? જો આરએસએસ એક સાંસ્કૃતિક સંગઠન છે, તો તેણે ટેક્સની સ્થિતિ અને આવકના સ્ત્રોતો જાહેર કરવામાં શું વાંધો હોઈ શકે? આ સવાલો આજે દરેક જાગૃત નાગરિકના મનમાં છે. ખડગેએ આ પડકાર આપીને સંઘને એક અઘરી સ્થિતિમાં મૂકી દીધું છે. એક તરફ ‘નિયમોના પાલન’ની વાતો કરતું સંગઠન છે, અને બીજી તરફ તે જ સંગઠન સામે કાયદાકીય તપાસની માંગ ઉઠી રહી છે. જો બંધારણ સર્વોપરી છે, તો સંઘે પણ તે જ કાયદાઓને માન આપવું પડશે જે સામાન્ય ભારતીયો માટે છે.
પ્રિયંક ખડગેનો આ આક્રમક અભિગમ દર્શાવે છે કે વિરોધ પક્ષ હવે માત્ર ભાષણો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વહીવટી અને કાનૂની સ્તરે સંઘની જવાબદારી નક્કી કરવા માટે મક્કમ છે. લોકશાહીમાં ‘પ્રશ્ન પૂછવો’ એ નાગરિક અને નેતા બંનેનો અધિકાર છે. મોહન ભાગવત અને આરએસએસ માટે હવે આ સવાલોને નજરઅંદાજ કરવા મુશ્કેલ બનશે. જે રીતે ખડગેએ વકીલોની ટીમ સાથે રૂબરૂ મળવાની તૈયારી દર્શાવી છે, તે જોતા સ્પષ્ટ છે કે આ લડાઈ હવે વધુ તીવ્ર બનશે. આગામી સમયમાં જોવું રહ્યું કે શું સંઘ પારદર્શિતા તરફ ડગલાં માંડે છે કે પછી પોતાની જૂની પરંપરા મુજબ મૌન સેવી લે છે. એક વાત તો નક્કી છે કે, બંધારણના માળખામાં રહીને દરેકને જવાબ આપવો જ પડશે, પછી તે ગમે તેટલું મોટું સંગઠન કેમ ન હોય.
આ પણ વાંચો:









