
લેટરકાંડ મામલો દિવસને દિવસે વધુ ગરમાતો જાય છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા નેતા સહિત સમાજ આગળ આવ્યો છે. અને પાયલ ગોટી પર પોલીસ દ્વારા થયેલા દમનમાં ન્યાય અપવાવવા માગ કરી રહ્યા છે. ત્યારે હવે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પાયલ ગોટી વિવાદ અંગે કહ્યું કે પોલીસે ખોટી ઉતાવળ કરી છે. મને વિશ્વાસ છે કે, જે કોઈપણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે.
આજથી રાજકોટમાં આતરરાષ્ટ્રીય પતંગમોહોત્સવ યોજાઈ રહ્યો છે. તેના ઉદ્ઘાટન નિમિતે રાજકોટના સાંસદ પરસોત્તમ રુપાલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમને મિડિયા દ્વારા પાયલ ગોટી મુદ્દે પ્રશ્નો પૂછાયા હતા. મિડિયાનો જવાબ આપતાં રુપાલાએ કહ્યું હતુ કે પોલીસે જે દિકરી સાથે કર્યું છે તેમાં ઉતાવળ કરી છે. હાલ કમિટી દ્વારા તપાસ ચાલી રહી છે. કોંગ્રેસ આ સમગ્ર ઘટનાને અલગ જ દિશામાં લઈ જઈ રહી છે. સાથે જ ઉતરાયણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે. લોકોને સલાહ આપતાં કહ્યું હતુ કે બહાર નીકળતી વખતે પણ સેફ્ટી રાખી વાહન ચલાવવા મારી ખાસ અપીલ છે.
લેટરકાંડનો શું છે મામલો
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડ કાંડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાયલ ગોટીનું નામ પણ ઉછળ્યું હતુ. પાયલ ગોટીને પોલીસ અડધી રાતે ઉઠાવી ગઈ હતી. અને જેલમાં નાખી હતી. ત્યારથી આ મામલો વધુ ચગ્યો છે.