
SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી નથી? આ તમામ સવાલ હવે આમ જનતામાં ચર્ચાનો વિષય બન્યા છે પણ તેનો કોઈ જવાબ મળતો નથી.
ગુજરાતમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ની કામગીરીની જે રીતે જાહેરાત કરવામાં આવી ત્યારે નાગરિક તરીકે પારદર્શક લાગતી હતી પણ કેટલાક જૂથ દ્વારા શરૂઆતમાં જ્યારે વિરોધ થયો ત્યારે કોંગ્રેસીઓ કે વિપક્ષનું લેબલ લગાવી તેને એવોઇડ કરવામાં આવ્યું અને કામગીરી આગળ વધતી રહી અને ભાજપ દ્વારા રાષ્ટ્રહિત માટે મહત્વની હોવાની વાતો થતી રહી તેથી ઘણા તેને જરૂરી માનતા હતા પણ જ્યારથી ખરેખર જેને મતદાનનો અધિકાર છે તેવા લાખ્ખો ચોક્કસ પ્રકારના મતદારોના નામ રદ કરવા માટે જ્યારે મોટી સંખ્યામાં ફોર્મ-7 ભરાયા અને તેનો ખુલાસો થયો ત્યારે આપણે નિષ્પક્ષ રહીને જો આ ઘટનાને જોઈએ તો તે ખૂબજ ગંભીર પ્રકારનો મામલો કહી શકાય અને નવાઈની વાતતો એ છેકે સમગ્ર મામલે ચૂંટણી પંચ મૌન અકળાવનારું છે.
આ આખા ઘટના ક્રમમાં ખોટા નામ, સહી હોવા છતાં ચકાસણી વિના ફોર્મ-7 સ્વીકારી પણ લેવામાં આવ્યા તે ચોંકાવનારું છે.સમગ્ર ગુજરાતમાં આવા 9.88 લાખ મતદારોના નામ કમી કરવા ફોર્મ-7 ભરાયા તે વાત સામે આવતા કોંગ્રેસ દ્વારા રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ આ મુદ્દો ઉઠાવી વિરોધ કરી ખોટા ફોર્મ-7 ભરનારાં સામે ફોજદારી રાહે પગલાં ભરવા માંગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન 70 લાખથી વઘુ મતદારોનું મેપિંગ થઇ શક્યુ નથી. ત્યાં મતદારોના નામ બારોબાર રદ કરવાની પેરવી સવાલો ઉઠાવી રહી છે, ત્યારે વિપક્ષોએ રાજ્ય ચૂંટણીપંચને ઘેર્યું છે અને સવાલ કર્યો છે કે ગુજરાતમાં એક પણ વિધાનસભા બેઠક એવી નથી જ્યાં દસ હજારથી વઘુ ફોર્મ-7 ભરાયાં ન હોય આ શું ચાલી રહ્યું છે?
ઉલ્લેખનીય છે કે મતદારનું નામ રદ કરવા માટે ફોર્મ-7 ભરનારાં વ્યક્તિએ પુરાવા રજૂ કરવા ફરજિયાત હોવાછતાં ફોર્મ રદ કરવાની પેરવી થઈ છે અને ખોટા નામ, ખોટી સહી હોવા છતાં પણ ફોર્મ-7 સ્વીકારી લેવાયા તે વાત અત્યંત ગંભીર અને ચોંકાવનારી બાબત છે.વિપક્ષ દ્વારા 18મી જાન્યુઆરી છેલ્લી તારીખ હતી તેના છેલ્લા ત્રણેક દિવસમાં એકસાથે લાખો ફોર્મ-7 ભરાયાં છે જે કેવી રીતે શક્ય બન્યું તેના સીસીટીવી ફુટેજ જાહેર કરવા માંગ થઈ છે.
કેન્દ્રીય ચૂંટણી પંચનો નિયમ છે કે, એકથી વધુ સ્થળે મતદાર તરીકે નામ હોય, ખોટા ફોર્મ-7 ભરાય તો જેલ-દંડની જોગવાઇ હોવા છતાંય લાખો ફોર્મ ભરાયાં છે.કોંગ્રેસના પ્રતિનિધીમંડળ દ્વારા રાજ્ય ચૂંટણીપંચમાં ખોટા ફોર્મ-7 ભરનારાની યાદી જાહેર કરવા સહિત તેઓ સામે ફોજદારી રાહે પગલાં ભરવા માંગ થઈ છે.
એક વાત જે સામે આવી રહી છે તેમાં મતદાર તરીકે નામ ઉમેરવા માટે 6.88 લાખ ફોર્મ-6 ભરાયાં છે જેની સામે મતદારોના નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા છે.આમ, નવા મતદારોના નામ ઉંમેરવા કરતાં મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ વધુ ભરાયા હોવાની વાત સપાટી ઉપર આવી છે.
પુરાવા રજૂ ન કરે તો ફોર્મ-7 રદ થાય તેમ હોવાછતાં રદ કરાતા નથી મતલબ કે વાંધો ઉઠાવનાર અરજદાર પુરાવા રજૂ ન કરે તો, ફોર્મ-7 દફતરે થાય તેવી જોગવાઇ હોવા છતાંય રાજ્ય ચૂંટણીપંચ બીએલઓને ઘેર ઘેર મોકલી ચકાસણી કરાવવાની વાત કરી રહ્યું છે અને પુરાવા વિનાના ફોર્મ-7 રદ કરવા માટે કાર્યવાહી થતી નહી હોવાનો કોંગ્રેસ આરોપ લગાવી રહ્યું છે.અલબત્ત ચૂંટણી પંચ દ્વારા આ મુદ્દે કોઈ ચોક્કસ ખુલાસો નહિ થતાં આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા










