
Canada: કેનેડામાં હવે ગુજરાત સહિત ભારતીય સ્ટુડન્ટ્સને કારકિર્દી બનાવવી અઘરી સાબિત થઈ જશે કારણ કે કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પરમિટ આપવામાં અચાનક 50%નો ઘટાડો કર્યો છે.
વિગતો મુજબ વર્ષ 2024માં જ્યાં 1,88,255 ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી હતી, તેની સામે વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં માત્ર 52,765 પરમિટ જ આપવામાં આવી છે. આગામી આખા વર્ષનો અંદાજિત આંકડો 90,454ની આસપાસ રહેવાની શક્યતા છે, જેનો મતલબ એ છે કે વર્ષ 2023ની સરખામણીમાં 67.5%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે,આંતરરાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર સંસ્થા ICEF Monitorના તાજેતરના આંકડા માં આ વાતનો ખુલાસો થયો છે.
આ સિવાય ICEF મોનિટરના રિપોર્ટમાં પણ કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી છે જેમાં જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન તમામ દેશોની કુલ 1,43,485 અરજીઓ પ્રોસેસ થઈ હતી, જેમાંથી 1,04,980 નવી અરજીઓ હતી જે પૈકીની ફક્ત 31,580 અરજીઓને જ મંજૂરી મળી છે. આ આંકડા દર્શાવે છે કે વિઝા અપ્રુવલ રેટ ઘટીને માત્ર 30% રહ્યો છે, જે ગત વર્ષે 51% હતો.
જેમાં મોટો ઘટાડો નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગુજરાતમાંથી લગબગગ 15,000 જેટલા વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવવા કેનેડા જતા હોય છે પરંતુ હવે કડક નિયમોને લઈ ભારતીય સ્ટુડન્ટ્સ કેનેડાના વિકલ્પ તરીકે યુ.કે., ઓસ્ટ્રેલિયા,જર્મની જેવા દેશો તરફ જવું કે ભારતમાં જ કોઈ સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો તે અંગે મુંઝવણ અનુભવી રહયા છે.
બીજી તરફ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ચાર દિવસ ભારતમાં છે,આ પ્રવાસનો હેતુ ભારત અને કેનેડા વચ્ચે વેપાર, ઊર્જા, ટેકનોલોજી અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં નવી ભાગીદારીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે,વડાપ્રધાન તરીકે માર્ક કાર્નીનો આ પહેલો ભારત પ્રવાસ છે. કેનેડામાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે કાર્ની મુંબઈમાં બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લીન એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગમાં રોકાણ પર ચર્ચા થશે.
■ 2 માર્ચે નવી દિલ્હીમાં મોદીને મળશે કાર્ની
કાર્ની 1 માર્ચે નવી દિલ્હી પહોંચશે અને 2 માર્ચે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેના મુખ્ય એજન્ડામાં કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) ની વાટાઘાટો શરૂ કરવાનો સમાવેશ થાય છે, જે લાંબા સમયથી અટકેલી છે.
આ ઉપરાંત, સુરક્ષા અને સંરક્ષણ સહયોગ પર ચર્ચા થશે. સાથે જ બંને દેશો વચ્ચે વેપારને બમણો કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ પછી કાર્ની ઓસ્ટ્રેલિયા અને જાપાનની યાત્રા પર રવાના થશે,આમ,કેનેડા સાથેના સબંધો સુધર્યા બાદ કદાચ ભવિષ્યમાં વિદ્યાર્થીઓના કેનેડામાં અભ્યાસ માટેની પરમીટ મુદ્દે કોઈ નવી પહેલ થાય તેવી આશા બંધાઈ છે.




