
Asaram: ગુજરાતમાં આસારામ બાપુના આશ્રમની જમીનો ખાલી કરવા ગુજરાત સરકાર દ્વારા શરૂ થયેલી કાર્યવાહી ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે નોંધ્યું હતું કે આશ્રમને પાઠવવામાં આવેલી ‘કારણ દર્શાવો નોટિસ’માં આશ્રમ સામે કરવામાં આવેલા આરોપોને સમર્થન આપતી વિગતોનો અભાવ છે.કોર્ટે રાજ્ય સરકારને જરૂરી વિગતો સાથે તેનું વળતું સોગંદનામું રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.કોર્ટે એ પણ કહ્યું છે કે આશ્રમ સામે કોઈ પણ પ્રકારની બળજબરીભરી કરવામાં ન આવે. આ મામલાની વધુ સુનાવણી 5 મે ના રોજ રાખવામાં આવી છે.
આશ્રમ ટ્રસ્ટ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે રાજ્ય સરકારે ટ્રસ્ટ પર ફાળવવામાં આવેલી જમીનમાંથી નફો મેળવવાનો આરોપ લગાવ્યો છે, પણ તેને સાબિત કરવા માટે નોટિસમાં ચોક્કસ કોઈ વિગતો પૂરી પાડવામાં આવી નથી.આ રજૂઆતની નોંધ લેતા કોર્ટે નોટિસની પર્યાપ્તતા અને ચોક્કસ આરોપો મામલે સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, “કેવો નફો? તમારે સ્પષ્ટ થવું પડશે. આવી અસ્પષ્ટ નોટિસમાં તમે જવાબની અપેક્ષા કેવી રીતે રાખી શકો? તમારી નોટિસમાં પ્રથમ દૃષ્ટિએ પુરાવાઓ અને વિગતોનો અભાવ જણાય છે.”
■શુ છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદ અમદાવાદના મોટેરા ગામમાં આશ્રમ ટ્રસ્ટને ફાળવવામાં આવેલી જમીન સામે ગુજરાતના મહેસૂલ સત્તાવાળાઓ દ્વારા શરૂ થયેલી કાર્યવાહીનો છે.તંત્ર દ્વારા આ જમીન પર અતિક્રમણ અને જમીન ફાળવણીની શરતોના ઉલ્લંઘનના આરોપો સાથે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.અહીં 6,261 ચોરસ મીટર જમીન મૂળભૂત રીતે 30 એપ્રિલ, 1980 ના રોજ આશ્રમ, શૈક્ષણિક અને અન્ય સખાવતી પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવી હતી.ત્યારબાદ, 23 જુલાઈ, 1992 ના રોજ સત્તાવાળાઓએ વધારાની 10,000 ચોરસ મીટર જમીનના કબજાને શરતોને આધીન નિયમિત (regularise) કર્યો હતો.
સત્તાવાળાઓએ આક્ષેપ કર્યો હતો કે ટ્રસ્ટ ફાળવવામાં આવેલી અને નિયમિત કરાયેલી જમીન કરતાં પણ વધુ જમીન પર કબજો ધરાવે છે.મહેસૂલી તપાસમાં જાણવા મળ્યું કે ટ્રસ્ટ પાસે અંદાજે 49,758 ચોરસ મીટર જમીન છે, જેમાંથી આશરે 15,778 ચોરસ મીટર જમીન બિનઅધિકૃત કબજા હેઠળ હોવાનું માનવામાં આવે છે.
■હાઈકોર્ટ અને સરકારની દલીલો શુ છે?
ગુજરાત હાઈકોર્ટે આ મામલે સત્તાવાળાઓના તારણોને માન્ય રાખ્યા હતા અને હાઈકોર્ટે નોંધ્યું હતું કે: આશરે 6,104 ચોરસ મીટર જમીન સાબરમતી નદીના પટનો ભાગ છે, જે નિયમિત કરી શકાય નહીં.કલેક્ટરની પૂર્વ પરવાનગી વિના અનેક બાંધકામો કરવામાં આવ્યા છે.આ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને 2036 ઓલિમ્પિક સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગને કારણે પણ જમીનનું મહત્વ વધ્યું છે.
ટ્રસ્ટે દલીલ કરી હતી કે આ કાર્યવાહી વિકાસ યોજનાઓ સાથે જોડાયેલી છે અને તે ‘દુર્ભાવનાપૂર્ણ’ (mala fide) છે. જોકે, હાઈકોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી અને સરકારની જપ્તીની કાર્યવાહીને સમર્થન આપ્યું હતું.જોકે,હાઈકોર્ટના આ ચુકાદાને ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં પડકારતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર દ્વારા આશ્રમની જમીન ખાલી કરી જપ્તીની શરૂ કરવામાં આવેલી કાર્યવાહીથી રક્ષણ આપ્યું છે,જેથી હાલ પૂરતી ટ્રસ્ટને રાહત મળી છે.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો







