
અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો નવો બ્રિજ નકામો બન્યો છે. કારણ કે બ્રિજ જ્યા પૂર્ણ થાય ત્યા સામે જ દિવાલ છે. જેથી રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે. જેથી વાહનચાલકોને આ બ્રિજ પરથી નિકળવું અઘરું પડી શકે છે.
ઘુમા-શિલજને જોડતો ઓવરબ્રિજ જ્યારે બની રહ્યો હતો ત્યારે વાહનચાલકોને આશા હતી કે હવે ઘુમા-શિલજમાં આવવા-જવા માટે કોઈ મુશ્કેલી નહીં પડે. જો કે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.
તંત્રની બેદરકારીથી લોકોને પારાવાર મુશ્કેલી
છેલ્લાં 6 વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. રેલવે ઓવરબ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજના ઉદ્ઘાટનના સમયે જ બ્રિજની અધૂરી કામગીરી અટકી પડી છે.
શિલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી દીવાલ છે. આગળ જવાનો કોઈ રસ્તો જ નથી. પરિણામે વાહનો કેવી રીતે અવરજવર કરશે તે પ્રશ્ન છે. બ્રિજ પૂરો થયા બાદ 10-12 ફૂટનો સાંકડો રસ્તો છે, જેથી બ્રિજ પરથી શિલજ તરફ વાહનો કેવી રીતે જશે તેવા સવાલો પેદા થયા છે. ઔડા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનને બ્રિજ બનાવવામાં વેઠ ઉતાર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હવે આ બ્રિજનું કામ ક્યારે અને કેવી રીતે પૂર્ણ થશે અને તેના શું નિકાલ કરાશે તે સવાલો ઉભા થયા છે.