
●ઘાતક ચાઈનીઝ દોરીથી લોકોના મોત {હત્યા} થઈ રહી છે ક્યારે ગંભીર ગુનો દાખલ થશે?
Uttarayan: સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ લોહિયાળ બની છે અને ચાઈનીઝ દોરથી અનેકના ગળા કપાયા છે અને સાત લોકોના મોત થયા છે તેમજ ગઈકાલ સાંજે 6 વાગ્યા સુધી કુલ 3,810 ઈમરજન્સી કોલ મળ્યા હતા અને 108 સતત દોડતી રહી છે જે નથી નોંધાયા એવા અનેક કિસ્સા હોય શકે છે.
દર વખતે ચાઈનીઝ દોરી જીવલેણ બનતી હોવાછતાં બે રોકટોક વેચાતી રહે છે જે અનેક અબોલ પક્ષીઓ અને માનવીના ગળા કાપી કત્લેઆમ કરતી રહે છે પણ તંત્ર માત્ર પ્રતિબંધ જાહેર કરી કોઈ કડક કાર્યવાહી કરતું નહિ હોવાથી નિર્દોષ લોકોના મોત થઈ રહયા છે,ખરેખર તો હત્યા અને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવો જોઈએ તેવી માંગ ઉઠી છે અને જે રીતે ગેરકાયદેસર હથિયાર રાખવા માટે ગુનો દાખલ થાય તે રીતે ઘાતક ચાઈનીઝ દોરી માટે પણ એક જીવલેણ હથિયાર ગણવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ખંભાતના બદલપુર સેવરાપુરાના 8 વર્ષીય ધવલ કિશનભાઈ પરમાર પોતાના પિતા સાથે બાઈક પર બદલપુરથી રાલેજ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પતંગની દોરી ગળામાં આવી જતાં તેમની મુખ્ય નસ કપાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ ધવલને તાત્કાલિક ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને કરમસદની કૃષ્ણ હોસ્પિટલ રિફર કરાયો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.
● અરવલ્લીના બાયડમાં મોપેડ ચાલકનું ગળું ચાઈનીઝ દોરીથી કપાતા મોત
અરવલ્લીના બાયડ તાલુકાના ચોઈલા ગામનો તીર્થ પટેલ જુના બસ સ્ટેશન વિસ્તારમાં પોતાના મોપેડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગળામાં ચાઈનીઝ દોરી ભરાઈ જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લોહી લુહાણ થઈ ગયેલા તીર્થનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતુ જોકે,લોહી લુહાણ હાલતમાં તીર્થને હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે ફરજ પરના ડોક્ટરે તીર્થને મૃત જાહેર કર્યો હતો,આ કરુણ ઘટનાને પગલે ચોઈલા ગામમાં શોકની લાગણી પ્રસરી છે.
● જંબુસરના પીલુદરામાં ચાઈનીઝ દોરી ગળું કપાતા બાઈકસવારનું કરુણ મોત
જંબુસરના પીલુદરા ગામના તીથોરા ખડકી વિસ્તારના રહીશ રાહુલભાઈ કનુભાઈ પરમારના ગળામાં પતંગની દોરી આવી જતા ગળું કપાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયેલા રાહુલભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
વડોદરા શહેર અને જિલ્લામાં પતંગ ઉડાવતા બે કરુણ મોતના બનાવ સામે આવ્યા છે વડોદરાના વાઘોડિયા રોડ ઉપર પવલેપુર ગામે પોતાના મકાનના ધાબા ઉપર 33 વર્ષીય શંકર રાઠવા ઉતરાયણ ઉપર પતંગ ચગાવતા હતા તે દરમિયાન એક કપાયેલો પતંગ પકડવા જતા વીજ લાઈનમાં પતંગ ફસાઈ જતા પતંગ કાઢવા માટે ગયા અને દોરી પકડવાની કોશિશમાં વીજ તારને અડી જતા તેમને જોરદાર કરંટનો ઝટકો લાગ્યો હતો અને ઢળી પડતા તેઓને તાત્કાલિક સયાજી સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન શંકર ભાઈનું કરુણ મોત થયુ હતું.
મૂળ છોટાઉદેપુરના ટીમલા ગામના વતની અને હાલ વાઘોડિયાના પવલેપુર ગામ સ્થિત ‘અક્ષર યુગ સોસાયટી’માં રહેતા હતા 34 વર્ષીય શંકર રાઠવા વડોદરાની સયાજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ઇન્દુમતી ઠાકોરભાઈ પટેલ ટ્રસ્ટમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.
આવાજ વધુ એક કિસ્સામાં વડોદરા જિલ્લાના કરજણમાં 10 વર્ષીય હિમાંશુ કશ્યપ પતંગ લૂંટવા રસ્તા પર દોડતા રસ્તા ઉપર પુર ઝડપે આવતી કાર સાથે ભટકાતા હિમાંશુને ગંભીર ઈજાઓ સાથે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત થયું હતુ આ ઘટનાથી પરિવાર ભાંગી પડ્યો હતો.
આ સાથેજ એકલા વડોદરામાં જ પતંગની દોરીથી ઇજા થતાં 25 લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે ઉત્તરાયણ પર્વ ઉપર સુભાષ ગાર્ડનમાં ફરવા જઈ રહેલા નાનકડા પરિવારને પતંગની દોરી જીવલેણ બની હતી.
સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા 35 વર્ષીય રેહાન તેની પત્ની અને 7 વર્ષની પુત્રી સાથે કે જેઓ સુભાષ ગાર્ડન ફરવા નીકળ્યા હતા તે દરમિયાન ચંદ્રશેખર આઝાદબ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે, અચાનક પતંગની દોરી રેહાન ઉપર આવી જતા રેહાને ચાલુ મોટર સાયકલે એક હાથે દોરી કાઢવાનો પ્રયાસ કરતા વાહનનું સંતુલન ખોરવાતા બાઇક પૂલના ડિવાઈડર સાથે અથડાયું હતું.
આ ટક્કરમાં રેહાન, તેની પત્ની રેહાના અને પુત્રી આયેશા, જે મોટરસાઇકલ પર સવાર હતા, તેઓ બ્રિજથી 70 ફૂટ નીચે ફંગોળાઈ ગયા હતા આટલી ઊંચાઈ પરથી નીચે પટકાવાથી રેહાન અને તેની પુત્રી આયેશાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા જ્યારે પત્ની રેહાના બ્રિજ નીચે પાર્ક કરેલી ઓટો-રિક્ષા પર પડતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી,આ ઘટનાને પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









