
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પાછળ છે. હવે સિરીઝની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર 3 જાન્યુઆરી (શુક્રવાર)થી રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સવારે 5 વાગ્યે શરૂ થશે.
ગંભીરે ખેલાડીઓને સલાહ આપી
સિડની ટેસ્ટના એક દિવસ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન ગંભીરે એવી વાતો કહી જેના કારણે એવું લાગી રહ્યું છે કે ટીમની અંદરનું વાતાવરણ બરાબર નથી. ગંભીરે કહ્યું કે ડ્રેસિંગ રૂમની ‘ડિબેટ્સ’ને સાર્વજનિક ન કરવી જોઈએ અને તેણે ખેલાડીઓ સાથે ‘ઈમાનદારીથી’ વાત કરી કારણ કે માત્ર પ્રદર્શન જ તેમને ટીમમાં રાખી શકે છે. ડ્રેસિંગ રૂમમાં તણાવના અહેવાલો વચ્ચે ગંભીરે કહ્યું કે તે માત્ર અહેવાલો છે, સત્ય નથી.
તેમણે જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં ઈમાનદાર લોકો છે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. એકમાત્ર વસ્તુ જે તમને ત્યાં રાખે છે તે પ્રદર્શન છે. કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએ. ડ્રેસિંગ રૂમમાં કોઈપણ ચર્ચા ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએ.’
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, ‘ડ્રેસિંગ રૂમમાં ઈમાનદારી મહત્ત્વપૂર્ણ છે. આ એક ટીમ ગેમ છે અને તમે બધા તેને સ્વીકારો છો. આ માત્ર અહેવાલો છે, સત્ય નથી. મારે કોઈ રિપોર્ટ પર ટિપ્પણી કરવાની જરૂર નથી. ઈમાનદારી મહત્ત્વપૂર્ણ છે, અમે આગળ વધવા અને કેટલીક સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માંગીએ છીએ.’
ગૌતમ ગંભીરને પણ પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા કાલે રમશે? આના પર ગંભીરે કહ્યું, ‘કાલે પિચ જોયા બાદ અમે ટોસ સમયે પ્લેઈંગ ઈલેવન નક્કી કરીશું.’ સિડની ટેસ્ટ પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર આકાશ દીપ પીઠની સમસ્યાને કારણે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
આકાશ દીપ અંગે ગૌતમ ગંભીરે જણાવ્યું હતુ કે, ‘તે પીઠની સમસ્યાને કારણે બહાર છે. 28 વર્ષીય આકાશ દીપે બે ટેસ્ટ મેચોમાં કુલ 87.5 ઓવર ફેંકી હતી અને તેની સમસ્યા આકાશના સ્થાને હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણમાંથી કોઈ એકને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.’









