
BANGLADESH: બાંગ્લાદેશમાં જુલાઈમાં થયેલા બળવાના અગ્રણી નેતા શરીફ ઉસ્માન હાદીને ગોળી વાગ્યા બાદ સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયુ છે, મુહમ્મદ યુનુસે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો.૧૯ ડિસેમ્બરે વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ, બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. ઢાકામાં જાહેર આક્રોશ વચ્ચે, ઘણા વિરોધીઓએ બાંગ્લાદેશના અગ્રણી દૈનિક અખબારો અને અખબારોના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી.
ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ ‘પ્રથમ આલો’ અને ‘ડેઇલી સ્ટાર’ અખબાર કચેરીમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જ્યારે રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને પણ આગ ચાંપી હતી.ટોળા ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરતા હતા.યુનુસે હાદીના હત્યારાઓને ઝડપી લેવા માટે ઝડપી કાર્યવાહીનું વચન આપ્યું હતું અને રાજ્ય શોકનો દિવસ જાહેર કર્યો હતો.
બાંગ્લાદેશમાં જુલાઈ બળવાના અગ્રણી નેતા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીનું છ દિવસ સુધી જીવન મરણ સુધી લડ્યા બાદ ગતરોજ ગુરુવારે રાત્રે સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હાદીને માથામાં ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાષ્ટ્રને સંબોધતા, વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું, “આજે હું તમારા માટે ખૂબ જ દુઃખદ સમાચાર લઈને આવ્યો છું. જુલાઈ બળવાના નિર્ભય યોદ્ધા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદી હવે આપણી વચ્ચે રહયા નથી.”
નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP) અને બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીએ ઉસ્માન હાદીના અવસાન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “NCPના તમામ સ્તરના નેતાઓ અને કાર્યકરો અમારા સાથી સાથીના અવસાનથી ખૂબ જ દુઃખી છે. અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને તેમના શોકગ્રસ્ત પરિવાર અને સંબંધીઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”
ઢાકા ટ્રિબ્યુન અનુસાર,એજન્સીઓએ તપાસ દરમિયાન ફૈઝલ કરીમ મસૂદને ઓળખ કાઢ્યો છે જેણે ઉસ્માન હાદીને ગોળી મારી હતી.પોલીસ અને રેપિડ એક્શન બટાલિયન (RAB) એ જણાવ્યું હતું કે તેનો સાથી, આલમગીર શેખ, હુમલામાં વપરાયેલી મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો તપાસ સૂત્ર દ્વારા દાવો કરાયો હતો કે બંને શંકાસ્પદ હત્યારાઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારત ભાગી ગયા છે.
નોંધનીય છે કે રાજધાની ઢાકાના પોલ્ટન વિસ્તારમાં અપક્ષ સાંસદ ઉમેદવાર શરીફ ઉસ્માન હાદીને ધોળા દિવસે ગોળી મારી દેવામાં આવી હતી. બાઇક પર સવાર હુમલાખોરોએ હાદી પર ગોળીબાર કર્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, હાદી રિક્ષામાં સવાર હતા ત્યારે બે ઈસમો મોટરસાઇકલ આવ્યા હતા જે પૈકી પાછળ બેઠેલા વ્યક્તિએ બંદૂક કાઢી અને હાદી પર ગોળીબાર કર્યો. આ સમગ્ર ઘટના થોડીક જ સેકન્ડમાં બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બંને બાઇક સવાર હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા.આ ઘટના 12 ડિસેમ્બરે બની હતી.
હુમલા સમયે, હાદીનો મિત્ર, મોહમ્મદ રફી, જે ઇન્કલાબ મંચનો કાર્યકર પણ હતો, તે રીક્ષા પાછળ આવતો હતો. તેણે જણાવ્યું કે હાદી શુક્રવારની નમાજ પઢીને પાછા ફર્યા હતા અને હાઇકોર્ટ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા ત્યારે વિજયનગર વિસ્તારમાં હુમલો થયો હતો ગોળી વાગતાંજ હાદી રિક્ષામાંથી પડી ગયા હતા આ ઘટના 12 ડિસેમ્બરના રોજ શુક્રવારે લગભગ 2:25 વાગ્યે બની હતી.
ત્યારબાદ ઘાયલ હાદીને પહેલા ઢાકા ત્યારબાદ 15 ડિસેમ્બરે એરલીફ્ટ કરી સિંગાપોર લઈ જવાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે મૃતક શરીફ ઉસ્માન હાદી બાંગ્લાદેશના તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાના વિરોધી હતા અને શેખ હસીનાના પક્ષ અવામી લીગને વિખેરી નાખવાની ઝુંબેશમાં હાદીનો ઇન્કલાબ મંચ મોખરે હતો.શરીફ ઉસ્માન હાદીના નેતૃત્વમાં 2024 માં વિદ્યાર્થીઓના થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ, શેખ હસીનાને દેશ છોડીને ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?








