
Indira Bridge: અમદાવાદમાં સુભાષ બ્રિજ અને દધિચી બ્રિજ જર્જરિત હોવાની વિગતો બાદ ઈન્દિરા બ્રિજ પર પણ તિરાડો પડી હોવાના મિડિયામાં અહેવાલો આવતા આ અંગે તંત્ર બચાવમાં ઉતરી પડ્યું હતું અને નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા હાથ ધરાયેલી તપાસ બાદ સત્તાવાર નિવેદન પણ આપી દીધું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે “ન્યૂઝ”માં જે તિરાડો દેખાડવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી, પરંતુ એન્જિનિયરિંગના નિયમ મુજબ રાખવામાં આવેલા ‘એક્સપાન્શન જોઈન્ટ’ છે. વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં જ ‘ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ’ દ્વારા ટેકનિકલ ઓડિટ કરવામાં આવ્યું હતુ અને બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા ઈન્દિરા બ્રિજ પર જોવા મળેલી તિરાડો અને ખાડાના ફોટા સાથેના અહેવાલો પ્રસિદ્ધ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું અને તપાસ કરી સબ સ્લામતનું સર્ટિફિકેટ આપી મિડિયાના અહેવાલોને ‘ભ્રામક સમાચાર’ ગણાવી દીધા હતા.
અમદાવાદમાં ખખડધજ થઈ ગયેલા બ્રિજ મામલે હમણાં હમણાં તંત્ર ઉપર માછલાં ધોવાઈ રહયા છે ત્યારે ઇન્દિરા બ્રિજની વાત આવતા હવે તંત્ર સબ સલામતની ડીંગ હાંકવા માંડ્યું છે લોકોમાં સવાલો ઉઠ્યા છે કે જો બ્રિજ ખરેખર સુરક્ષિતજ હોય અને ટેકનિકલ ઓડિટ થઈ ગયું હોય તો પછી તંત્ર દ્વારા તે રિપોર્ટ જનતા સમક્ષ મુકવો જોઈએ. ઠાલા નિવેદન આપવાને બદલે સત્તાવાર ‘ફિટનેસ સર્ટિફિકેટ’જ જાહેર કરવામાં તંત્રને કેમ પેટમાં દુઃખે છે રજૂ કરે તો તેમાં ખોટું શું છે?
બીજી વાત મીડિયામાં ઇન્દિરા બ્રિજ ઉપર તિરાડ વાળા સમાચાર સવારે પ્રસિદ્ધ થયા અને ગણતરીના કલાકોમાં તંત્રએ તપાસ પણ કરી લીધી અને સબ સલામત એટલે કે ‘બ્રિજ સુરક્ષિત છે’ તેવું સર્ટીફીકેટ પણ આપી દીધુ બોલો.માત્ર એક જ દિવસમાં ઇન્દિરા બ્રિજનું ઝડપી નિવેદન આશ્ચર્ય જગાવે છે.
અન્ય બ્રિજ પણ બિસ્માર હાલતમાં છે ત્યારે તંત્ર વર્ષો સુધી કોઈ ખુલાસો કે સમારકામ કરતું નથી, તો ઈન્દિરા બ્રિજ બાબતે આટલી તાત્કાલિક સ્પષ્ટતા પાછળનું કારણ ભેદી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









