
Plane crash: કહેવાય છે કે જે નસીબમાં લખ્યું હોય તે થઈને રહે છે માનવી ગમે તેટલું કરે પણ ઉપરવાળા પાસે કોઈનું કઈ ચાલતું નથી.આવાજ કિસ્સામાં એક ઢાબામાં આગ લાગતા તેના માલિક ગંભીર રીતે દાઝી જાય છે અને માંડ બચી જાય છે જેઓને દવાખાને લઈ જવાય છે પણ ત્યાંથી દર્દીને વધુ સારી સારવાર ઉપલબ્ધ થાય તે માટે પરિવારના સભ્યોએ તેઓએ તાત્કાલિક રાંચીથી દિલ્હી લઈ જવાનું નક્કી કર્યું તે માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી પણ આ વિમાન દિલ્હી પહોંચે તે પહેલાં જ વચ્ચે જંગલોમાં તૂટી પડ્યું જેમાં દર્દી અને તેમના સગા સહિત ડોકટર અને પાયલોટ તમામના અરેરાટીભર્યા મોત થઈ ગયા, આ કિસ્સાને લઈ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

ઝારખંડના રાંચીથી દિલ્હી જઈ રહેલું એક ચાર્ટર્ડ પ્લેન (એર એમ્બ્યુલન્સ) ચતરામાં ક્રેશ થઈ જતા પ્લેનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા. રેડબર્ડ કંપનીનું બીચક્રાફ્ટ કિંગ એર B90L એક એર એમ્બ્યુલન્સ હતું.
સોમવાર સાંજ 7:11 વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટથી વિમાને ઉડાન ભરી હતી ત્યારબાદ 7:34 કલાકે એરક્રાફ્ટનો સંપર્ક તૂટી ગયો અને થોડીવાર બાદ પ્લેન ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયાના જંગલોમાં કાઠિયાતુ નજીક
તૂટી પડ્યું હતું.
વિમાને આગલા સ્ટેશનનો સંપર્ક કર્યો અને કન્ટ્રોલ સોંપ્યો હતો પણ ખરાબ હવામાનને કારણે તે અચાનક રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું હતું, ઘટનાની માહિતી મળતાં જ વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
પ્લેનમાં કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાયલટ), કેપ્ટન સબરાજદીપ સિંહ (કો-પાયલટ), સંજય કુમાર (દર્દી), અર્ચના દેવી (પરિજન), ધૂરુ કુમાર (પરિજન), વિકાસ કુમાર ગુપ્તા (ડોક્ટર) અને સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ) સવાર હતા.
રાંચી ખાતે આવેલી દેવકમલ હોસ્પિટલના CEO અનંત સિંહાએ PTIને જણાવ્યું કે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા એક દર્દીના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે લાતેહાર જિલ્લાના ચંદવાના રહેવાસી દર્દી સંજય કુમાર (41)ને 16 ફેબ્રુઆરીએ 65 ટકા દાઝી ગયેલી હાલતમાં આ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સારવાર ચાલુ હતી
સંજયભાઈ પોતે ઢાબાના માલિક હતા અને ઢાબામાં આગ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી જતા અહીં સારવાર માટે લવાયા હતા, જોકે,પરિવારના સભ્યો એવું ઇચ્છતા હતા કે તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવે.જેથી દર્દીને એર એમ્બ્યુલન્સ મારફતે લગભગ 4.30 વાગ્યે હોસ્પિટલથી દિલ્હી માટે લઈ જવામાં આવ્યા હતા.
જોકે,સાંજે એર એમ્બ્યુલન્સને નડેલા અકસ્માતમાં દર્દીની સાથે વિમાનમાં સવાર પરિવારના સભ્યો, ડોકટર,પાઇલોટ સહિત તમામ 7 લોકોના મોત થયા હતા.









