
Nuclear testing: અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને ઇરાન પર હુમલો કર્યો તેનું મુખ્ય કારણ ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે શુદ્ધ યુરેનિયમ છે જેનો નાશ કરી પરમાણુ બૉમ્બ બનાવતા અટકાવવાનું કહેવાતું હતું.
હવે,આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષક અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના વડા, રાફેલ ગ્રોસીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઇરાનના યુરેનિયમનો લગભગ અડધો ભાગ ઇસ્ફહાન વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ ટનલમાં સંગ્રહિત હતો અને બની શકે કે હજુપણ ત્યાંજ હોઈ શકે છે.
■ શું ઈરાન પાસે 440 કિલોથી વધુ પરમાણુ ભંડાર છે?
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના વડા, રાફેલ ગ્રોસીએ કહ્યું હતું કે આ યુરેનિયમ 60 ટકા શુદ્ધ કરી સમૃદ્ધ કરવામાં આવ્યું છે, જેનાથી પરમાણુ હથિયાર બનાવવાનું સરળ બને છે. IAEAનો અંદાજ છે કે ગયા વર્ષે યુદ્ધની શરૂઆતમાં, ઈરાન પાસે આશરે 440.9 કિલોગ્રામ આવા યુરેનિયમ હતું જેને વધુ સમૃદ્ધ કરવામાં આવે તો 10 પરમાણુ બોમ્બ બની શકે તેમ છે.
■ યુરેનિયમ સાઈટ યુએસ હુમલાથી બચી ગઈ
ઈરાન પાસે ત્રણ મુખ્ય પરમાણુ ભંડાર છે જેમાં ઇસ્ફહાન, નતાન્ઝ અને ફોર્ડોનો સમાવેશ થાય છે.
ગયા જૂનમાં અમેરિકાએ ઓપરેશન મિડનાઇટ હેમર શરૂ કરી ઈરાનના પરમાણુ ભંડાર પર હુમલો કર્યો હતો જેમાં ફોર્ડો ભંડાર પર B2 બોમ્બરોએ 30,000 પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા જે 200 ફૂટ ભૂગર્ભ સુધી વિનાશ કરવામાં સક્ષમ છે.
આ વિનાશક હુમલાઓ બાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની પરમાણુ સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામી છે. જોકે, નિષ્ણાતો માને છે કે ઇસ્ફહાન પરમાણુ ભંડાર નજીકનો ટનલ સંકુલ આ હુમલામાં સહીસલામત બચી ગયો હતો. થોડા દિવસો પહેલા, અહેવાલો બહાર આવ્યા હતા કે અમેરિકાએ ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્રને નિશાન બનાવ્યુ છે.
■પરમાણુ સામગ્રી ખસેડવાના કોઈ સંકેતો નથી
પેરિસમાં પત્રકારો સાથે વાત કરતા ગ્રોસીએ કહ્યું કે છેલ્લા નિરીક્ષણ સમયે ઇસ્ફહાનમાં આશરે 200 કિલોગ્રામ યુરેનિયમ 60% શુદ્ધતા સાથે હાજર હતું.
સેટેલાઇટ તસ્વીરો સહિત અન્ય અદ્યતન પદ્ધતિઓની તપાસમાં ઇસ્ફહાનથી પરમાણુ સામગ્રી ખસેડવામાં આવી હોવાના કોઈ સંકેતો મળ્યા નથી.
■ નાતાન્ઝ કેન્દ્રમાં કેટલીક પરમાણુ સામગ્રી હાજર હોવાનો દાવો
ગયા વર્ષે જૂનમાં થયેલા હુમલા પછી, ઈરાને ન તો IAEA ને તેના અત્યંત સમૃદ્ધ યુરેનિયમની સ્થિતિ વિશે જાણ કરી છે કે ન તો આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને બોમ્બમારાવાળા સ્થળોની તપાસ માટે મુલાકાત લેવાની મંજૂરી આપી છે. IAEAના વડાએ જણાવ્યું હતું કે ઈરાન માને છે કે 60 ટકા શુદ્ધતાવાળા યુરેનિયમમાંથી કેટલાક ભાગ તેના નાતાન્ઝ કેન્દ્રમાં હજુપણ સંગ્રહિત છે.
■ શું અમેરિકા ઈરાનમાં ભૂમિ સેના (પાયદળ) મોકલશે?
અમેરિકા ઈરાનના પરમાણુ શસ્ત્રાગારને કબજે કરવા માટે ખાસ દળો મોકલવાનું વિચારી રહ્યું હોવાના અહેવાલો છે. આ મિશનનો હેતુ ઈરાનની અત્યંત સુરક્ષિત ભૂગર્ભ સુવિધાઓમાં ઘૂસીને પરમાણુ સામગ્રી જપ્ત કરવાનો અથવા નાશ કરવાનો છે જેથી તેહરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવતા અટકાવી શકાય. જોકે, તે સ્પષ્ટ નથી કે આ મિશન ફક્ત અમેરિકાના નેતૃત્વમાં હશે કે પછી ઇઝરાયલ અને અમેરિકા બંને સંયુક્ત રીતે સૈનિકો મોકલશે તે હજુ સ્પષ્ટ થયું નથી,બીજી તરફ ઇરાને ધમકી આપી હતી કે જો પોતાના વિસ્તારમાં અમેરિકા-ઈઝરાયેલ જમીની સેના સેના મોકલશે તો તેના વિનાશક અને ભયાનક પરિણામો આવશે.
■ શુ ઇરાને પરમાણું પરીક્ષણ કર્યું? જો આવું થયું હોયતો તે ભયાનક હશે!
ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલે ભેગા મળી સંયુક્ત હુમલા કરતા ઈરાને પણ વળતા હુમલા ચાલુ રાખ્યા છે અને આ બધા વચ્ચે તાજેતરમાં આવેલા 4.1 થી 4.3 ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓને (બંદર અબ્બાસ/ગેરાશ વિસ્તાર) પરમાણુ બોમ્બના પરીક્ષણ સાથે જોડવામાં આવી છે જે અટકળો તેજ થઈ છે, જોકે,આ માહિતીની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી પણ વિશ્લેષકો અને સોશિયલ મીડિયા પર ઈરાન દ્વારા ભૂગર્ભ પરમાણુ પરીક્ષણની શક્યતા વ્યક્ત થઈ રહી છે, કારણ કે યુદ્ધ જેવી સ્થિતિમાં આવા આંચકા શંકાસ્પદ માનવામાં આવે છે.
નિષ્ણાતો માને છે કે જો ઈરાનને વધુ ઉશ્કેરવામાં આવશે, તો તે પરમાણુ બોમ્બ વાપરી શકે છે તેવી ભીતિ છે જે વિનાશ નોતરશે.
આ કથિત પરિક્ષણ એટલા માટે વધુ ચર્ચાસ્પદ બન્યું છે કે હવે IAEAના વડાએ પણ તે વાતનું સમર્થન કર્યું છે કે ઈરાન પરમાણુ બૉમ્બ બનાવવા યુરેનિયમ હોઈ શકે છે અને જો એવું હશે તો તે પરમાણુ બૉમ્બ બનાવવા સક્ષમ છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







