
Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી અને પીએમ મોદીને યાદ અપાવ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્ર સરકારને સતત કહેતા હતા કે “જ્યારે રૂપિયો ઘટે છે, ત્યારે દેશની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે.” હવે પોતેજ દેશના વડાપ્રધાન છે ત્યારે રૂપિયો તળિયે પહોંચ્યો છે હવે તેઓ કોને દોષ દેશે? તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન ફુગાવા ઉપર વાત કરવાના બદલે ચૂંટણીના રાજકારણમાં વધુ વ્યસ્ત છે.
નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા સાંસદ સંજય રાઉતે કહ્યું, “અબકી બાર રૂપયા 100 કી પાર … હવે મોદી ક્યાં છે? તેઓ પશ્ચિમ બંગાળમાં છે, મમતા બેનર્જીને હરાવવા માટે રાષ્ટ્રપતિ શાસનની તૈયારી કરી રહ્યા છે. મોદી અને અમિત શાહ ત્યાં ખેલ પાડવામાં વ્યસ્ત છે અને અહીં રૂપિયો તળિયે પહોંચી ગયો છે. મોદી કહેતા હતા કે ઘટતા રૂપિયાથી દેશની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે, તો હવે શું થઈ રહ્યું છે?” તેમણે કહ્યું, “મોદીજી, હવે અબ ઝોલા ઉઠાઈયે ઔર ચલે જાઈએ .”
■ દેશમાં ફુગાવો પશ્ચિમ એશિયાઈ કટોકટીને કારણે નથી: સંજય રાઉત
ANI સાથે વાત કરતા, સંજય રાઉતે રૂપિયાના ઘટતા મૂલ્ય અને ફુગાવાને પશ્ચિમ એશિયાઈ કટોકટી માટે જવાબદાર માનવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના કાર્યકાળની શરૂઆતથી જ રૂપિયાનો ઘટાડો ચાલુ છે. તેમણે કહ્યું, “સરકાર ચૂપ છે અને ચૂપ રહેશે. જ્યારે રૂપિયો ઘટે છે, ત્યારે ફક્ત ચલણ જ નહીં, પણ દેશની વિશ્વસનીયતાને પણ નુકસાન થાય છે. જે રીતે ભારતનું અર્થતંત્ર નબળું પડ્યું છે અને રૂપિયો સતત ઘટતો રહે છે તે સૂચવે છે કે નરેન્દ્ર મોદી હવે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ નથી. આજે યુદ્ધ છે, પરંતુ પહેલા નહોતું. મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી જ રૂપિયો સતત ઘટવા લાગ્યો હતો. પીએમ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહે છે અને તેમને રૂપિયાની કોઈ પરવા નથી.”
■ રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર નિશાન સાધ્યું હતું, રૂપિયાના ઘટતા મૂલ્ય અને ઔદ્યોગિક ઇંધણના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભવિષ્યમાં ફુગાવો વધવાની આશંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સરકાર પાસે સ્પષ્ટ આર્થિક વ્યૂહરચનાનો અભાવ છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું, “રૂપિયો નબળો પડી રહ્યો છે અને ડોલર સામે 100 તરફ આગળ વધી રહ્યો છે અને ઔદ્યોગિક ઇંધણના ભાવમાં તીવ્ર વધારો ફક્ત આંકડા નથી, પરંતુ આવનારા ફુગાવાના સંકેતો છે. મોદી સરકાર પાસે કોઈ દિશા કે વ્યૂહરચના નથી,તેઓ ફક્ત ભાષણો અને બયાનબાજી કરે છે. સવાલ એ નથી કે બીજા શું કહી રહયા છે, પરંતુ તે જુઓ કે તમારી થાળીમાં શું બચ્યું છે.” નોંધપાત્ર રીતે, રાહુલ ગાંધીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય રૂપિયો નબળો પડી ગયો છે, ડોલર સામે 93 ના આંકને પાર કરી ગયો છે અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વિદેશી રોકાણના પ્રવાહ વચ્ચે નવા રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







