
Dhandhuka News: અમદાવાદ જિલ્લાના ધંધુકામાં વાહન ઓવરટેક કરવા જેવી વાતમાં માથાકૂટ થતાં ધર્મેશ ગમારા નામના ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં સામસામે આવી જતા આખા ધંધુકામાં તોફાનો ફાટી નીકળતા અનેક દુકાનોમાં આગચંપી સહિત વાહનોમાં તોડફોડ કરતા ભારે દોડધામ અને તંગદિલી ફેલાઈ ગઈ હતી.
તોફાનો ફાટી નીકળતા સ્થાનિક પોલીસ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય એસપી, ધંધુકા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ આગ પર કાબૂ મેળવવા માટે બાવળા, બગોદરા, ધોળકા અને ધોલેરામાંથી વધારાની ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી.
હિન્દુ ભરવાડ યુવકની હત્યા વિરોધમાં રોષે ભરાયેલા હિન્દૂ સંગઠનના ટોળાઓએ રસ્તા પર ઉતર્યા હતા અને ધંધુકાના પાળીયાદ રોડ અને મુખ્ય સર્કલ નજીકના વિસ્તારમાં વાહનો અને કેટલીક દુકાનોમાં આગ લગાડી દેવામાં આવતા ભારે નાસભાગ મચી ગઇ હતી.
અચાનક ફાટી નીકળેલી આ હિંસાને કારણે સ્થાનિક બજારોમાં દુકાનોના શટર પડી જતા કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.
ધર્મેશ ગમારાની હત્યાને પગલે ભારેલા અગ્નિ જેવો માહોલ છે અને હિન્દૂ સંગઠનોની આક્રમકતાને ધ્યાને રાખી પોલીસે મુખ્ય આરોપી રિઝવાન નામના ઇસમની ધરપકડ કરી લીધી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આજ શહેરમાં કિશન ભરવાડની પણ હત્યા થઈ હતી અને હવે બીજા ભરવાડ યુવાનની હત્યા થતાં હિન્દૂ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પરિણામે ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







