
Kapil Sibal: રાજ્યસભાના સાંસદ અને દેશના જાણીતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને આર્થિક નીતિઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષભર્યા અંદાજમાં જણાવ્યું કે, ઘણા વર્ષોની લાંબી રાહ જોયા પછી આજે દેશમાં સાચે જ ‘અચ્છે દિન’ આવી ગયા છે. આંકડાકીય વિગતો આપતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ પહેલા યુપીએ સરકારના સમયે ભારતીય રૂપિયો ડોલર સામે ૫૮ ના સ્તરે હતો, જે આજે ઘટીને ૯૫ સુધી પહોંચી ગયો છે. આ સાથે જ પેટ્રોલમાં એકસાથે ૩ રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, અને બીજી તરફ ડીઝલ, સીએનજી (CNG) તેમજ સામાન્ય જનતાના રોજિંદા વપરાશના દૂધના ભાવોમાં પણ ભડકો થયો છે, જે સામાન્ય નાગરિકની કમર તોડી રહ્યો છે.
ચૂંટણી સમયે તામજામ અને પછી અછત: ઈરાન સંકટ પર કેમ જાળવ્યું મૌન?
પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે દેશની આર્થિક સ્થિતિ અને તેલ સંકટ પર સરકારની દાનત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વડાપ્રધાનને સીધો પ્રશ્ન પૂછતા કહ્યું કે, ૧૨ વર્ષથી દેશ જે ‘અચ્છે દિન’ની રાહ જોઈ રહ્યો હતો, શું તે આ જ છે? તેમણે આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા યાદ અપાવ્યું કે, ૨૮ ફેબ્રુઆરીએ જ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો અને હવે આપણે મે મહિનામાં છીએ. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી ભારતમાં તેલની સપ્લાય સંપૂર્ણ બંધ છે, દેશમાં તેલની ભારે અછત ઊભી થઈ છે અને આપણી પાસે પૂરતો સ્ટોક પણ બચ્યો નથી. આ બાબતથી સરકાર અને વડાપ્રધાન અગાઉથી જ વાકેફ હતા કે દેશમાં મોટી આર્થિક કટોકટી આવવાની છે, તો પછી ચૂંટણીના સમયે મોંઘવારી અને અછત છુપાવીને આટલો મોટો પ્રચાર અને સરકારી તામજામ કેમ ચલાવવામાં આવી રહ્યો હતો? ત્યારે વડાપ્રધાને જનતા સમક્ષ આ વાસ્તવિકતા કેમ ન મૂકી?
વડાપ્રધાનની સુરક્ષા સાથે બાંધછોડ કેમ? કાફલો ઘટાડવા પર મોટું નિવેદન
ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વડાપ્રધાનના કાફલા (PM Convoy) માંથી ગાડીઓ ઓછી કરવાના નિર્ણય પર કપિલ સિબ્બલે દેશના એક વરિષ્ઠ નાગરિક તરીકે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનની સુરક્ષા સંપૂર્ણ અને લોખંડી હોવી જ જોઈએ, કારણ કે તેઓ સમગ્ર દેશના વડાપ્રધાન છે અને તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન હોવી જોઈએ. સિબ્બલે સવાલ ઉઠાવતા કહ્યું કે, જો ચૂંટણી પત્યા પછી હવે કાફલામાંથી બે ગાડીઓ ઓછી કરવામાં આવી છે, તો તેનો સીધો અર્થ એ થાય કે અગાઉ તે ગાડીઓની કોઈ જરૂર જ નહોતી. માત્ર દેખાડો કરવા માટે આટલો મોટો સરકારી ખર્ચ કેમ કરાતો હતો? દેશના અન્ય મંત્રીઓની સુરક્ષામાં પણ જો હવે ઘટાડો કરાઈ રહ્યો છે, તો પહેલા જનતાના ટેક્સના પૈસાનો આવો વ્યય કેમ કરાયો? સરકાર દેશના ભવિષ્ય પર માત્ર નિવેદનો આપે છે પરંતુ ક્યારેય ગંભીરતાથી વિચારતી નથી તે અત્યંત દુઃખદ છે.
આરએસએસ નેતા દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર સિબ્બલનો વળતો પ્રહાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ટોચના નેતા દત્તાત્રેય હોસબોલે દ્વારા પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખવાના સૂર અંગે કપિલ સિબ્બલે સરકારની બેવડી નીતિઓ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, હોસબોલે સાહેબ ઈચ્છે છે કે હિન્દુસ્તાન પાકિસ્તાન સાથે સંવાદ ચાલુ રાખે, જે ખૂબ સારી બાબત છે. પરંતુ જો આ જ વિધાન વિરોધ પક્ષના કોઈ નેતાએ અથવા મેં પોતે આપ્યું હોત, તો અત્યાર સુધીમાં અમને ‘દેશદ્રોહી’ (Anti-National) અથવા ‘પ્રો-પાકિસ્તાની’ જાહેર કરી દેવામાં આવ્યા હોત. લોકો અમને પાકિસ્તાન જતા રહેવાની સલાહ આપવા માંડ્યા હોત. પરંતુ સંઘમાં નંબર બે નું સ્થાન ધરાવતા હોસબોલે સાહેબ આ બોલે તો તે દેશહિતમાં ગણાય છે, કારણ કે તેમના જ ઈશારા પર આ સરકાર ચાલે છે. જોકે, સારું છે કે હવે તેમના નિવેદન પછી વિપક્ષને પણ પાકિસ્તાન સાથે શાંતિ વાર્તાની વકીલાત કરવાની સત્તાવાર છૂટ મળી ગઈ છે.
આ સમગ્ર રાજકીય અને આર્થિક ઘટનાક્રમ બાદ દેશના સામાન્ય નાગરિકોના મનમાં કેટલાક વ્યાજબી સવાલો ઉભા થાય છે. પ્રથમ સવાલ એ છે કે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન સંકટ ફેબ્રુઆરી મહિનાથી ચાલતું હતું અને તેલની અછત નિશ્ચિત હતી, ત્યારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જનતાને અંધારામાં કેમ રાખવામાં આવી? શું ચૂંટણી જીતવી એ દેશની આર્થિક સ્થિરતા કરતાં વધુ મહત્વની છે? બીજો ગંભીર સવાલ વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા પર છે. દેશના સર્વોચ્ચ પદની સુરક્ષા એ કોઈ રાજકીય ઈવેન્ટ નથી કે જેમાં મરજી મુજબ ગાડીઓ વધારી કે ઘટાડી શકાય. જો અગાઉ કાફલામાં વધારાની ગાડીઓ હતી તો તે જનતાના નાણાંનો દુરુપયોગ હતો, અને જો અત્યારે આર્થિક સંકટને કારણે ગાડીઓ ઓછી કરાઈ છે, તો શું દેશના વડાપ્રધાનની સુરક્ષા સાથે આવો આર્થિક કાપ મૂકીને બાંધછોડ કરવી યોગ્ય છે?
આ પણ વાંચો:









