
Congress To BJP Defection: ભારતીય રાજકારણમાં પક્ષપલટો હવે કોઈ નવી વાત નથી રહી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે વિચારધારાની લડાઈ મટીને માત્ર ને માત્ર સત્તા, સંપત્તિ અને હોદ્દા મેળવવાની વરવી હોડ બની ગઈ છે. વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૧ ની વચ્ચે દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસમાંથી નેતાઓનું જે સ્તરે પલાયન થયું, તેણે ભારતીય લોકશાહીની નૈતિકતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સત્તાધારી પક્ષ (BJP) ની તાકાત અને સંસાધનો સામે ઘૂંટણ ટેકીને ઘણા નેતાઓ રાતોરાત ‘કેસરીયો’ ધારણ કરી ગયા. આ પક્ષપલટા પાછળ માત્ર સત્તાની ભૂખ જ નહોતી, પરંતુ તપાસ એજન્સીઓનો ડર અને આર્થિક પ્રલોભનો પણ મુખ્ય પરિબળ રહ્યા હોવાની ચર્ચા રાજકીય ગલિયારાઓમાં જોરશોરથી ચાલી રહી છે.
આંકડામાં કેદ લોકશાહીનો સરેઆમ સોદો
બિન-લાભકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના ચોંકાવનારા આંકડા જનતા દ્વારા અપાતા મતોની કિંમત શૂન્ય સાબિત કરે છે. ૨૦૧૪ થી ૨૦૨૧ ની વચ્ચે કોંગ્રેસે ૨૨૨ ચૂંટણી ઉમેદવારો અને ૧૭૭ સત્તાવાર સાંસદો-ધારાસભ્યો ગુમાવ્યા, જ્યારે સ્થાપિત શાસક પક્ષ વિજેતા બનીને ઉભર્યો. શાસક પક્ષે આ ગાળામાં ૨૫૩ ઉમેદવારો અને ૧૭૩ ધારાસભ્યો-સાંસદોને પોતાની છાવણીમાં ભેળવી લીધા. આ પક્ષપલટો માત્ર વ્યક્તિગત નહોતો, પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલી વિપક્ષી સરકારોને તોડી પાડવાનું સુનિયોજિત ઓપરેશન હતું. અરુણાચલ પ્રદેશમાં ૪૩, ગુજરાતમાં ૩૫ અને મધ્યપ્રદેશમાં ૨૨ ધારાસભ્યોના પક્ષપલટાથી સરેઆમ લોકશાહી સરકારોનું પતન કરવામાં આવ્યું. આ સિવાય આસામ, કર્ણાટક, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પણ જનાદેશનો ખુલ્લેઆમ સોદો થયો.
તપાસ એજન્સીઓનો દબદબો અને નેતૃત્વની નિષ્ફળતા
વિશ્લેષકો અને વિપક્ષી નેતાઓ ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે આ પક્ષપલટા પાછળ ઇડી (ED) અને સીબીઆઈ (CBI) નું અસહ્ય દબાણ સૌથી મોટું હથિયાર રહ્યું છે. વિપક્ષના વરિષ્ઠ નેતાઓ સ્વીકારે છે કે કેન્દ્રીય એજન્સીઓના ત્રાસથી બચવા અને પોતાના કાળા નાણાં છુપાવવા માટે ઘણા નેતાઓએ શાસક પક્ષની શરણ લીધી. બીજી તરફ, કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી સામાન્ય કાર્યકરો કે યુવા નેતાઓનો અવાજ ન પહોંચવો અને રાહુલ ગાંધી જેવા ટોચના નેતાઓ સાથે મુલાકાત ન થવી જેવી આંતરિક નબળાઈઓએ પણ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. આ જ નિરાશાનો લાભ ઉઠાવીને સરકારી તંત્ર અને અઢળક નાણાકીય સંસાધનો ધરાવતો શાસક પક્ષ વિપક્ષી નેતાઓને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહ્યો.
મુખ્યમંત્રીની ખુરશી અને મંત્રીપદની લહાણી
જે નેતાઓ આખી ધારાસભ્ય પાંખને તોડીને શાસક પક્ષમાં જોડાયા, તેમને તુરંત જ મલાઈદાર પદોથી નવાજવામાં આવ્યા. આસામમાં કોંગ્રેસના વરિષ્ઠ મંત્રી રહેલા હિમંતા બિસ્વા શર્મા આજે ભાજપના સૌથી શક્તિશાળી મુખ્યમંત્રી બની ચૂક્યા છે, જેમણે તાજેતરમાં તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈને હરાવી સત્તા જાળવી રાખી. અરુણાચલમાં ૪૩ ધારાસભ્યો સાથે બળવો કરનાર પેમા ખાંડુએ મુખ્યમંત્રી પદ મેળવ્યું, તો મણિપુરમાં એન. બિરેન સિંહ અને ત્રિપુરામાં માણિક સાહા પણ પક્ષપલટાના જોરે જ મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા. મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પાડીને જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય મંત્રી બન્યા, જો કે કોંગ્રેસ જેવો દબદબો તેઓ શાસક પક્ષના જૂના માળખામાં મેળવી શક્યા નથી. તેમની સાથે આવેલા ગોવિંદ સિંહ રાજપૂત, તુલસી સિલાવટ અને પ્રધ્યુમન સિંહ તોમર જેવા વફાદારોને પણ મંત્રીપદની લહાણી થઈ.
‘વાપરો અને ફેંકી દો’ ની કડવી વાસ્તવિકતા
શાસક પક્ષ માટે તમામ પક્ષપલટુઓ સરખા નહોતા. જ્યારે નેતાઓની ચૂંટણીલક્ષી ઉપયોગિતા ખતમ થઈ જાય, ત્યારે તેમને દૂધમાંથી માખીની જેમ કાઢી ફેંકવાની કોર્પોરેટ શૈલી પણ અહીં જોવા મળી છે. પંજાબના બે વાર મુખ્યમંત્રી રહેલા કેપ્ટન અમરિંદર સિંહ પોતાની પાર્ટી શાસક પક્ષમાં ભેળવ્યા બાદ આજે સક્રિય રાજકારણમાંથી લગભગ ગાયબ છે. તેવી જ રીતે મહારાષ્ટ્રના અશોક ચવ્હાણ, ઉત્તરાખંડના વિજય બહુગુણા અને આંધ્રના કિરણ કુમાર રેડ્ડી જેવા કદાવર નેતાઓ આજે માત્ર નામ પૂરતા હોદ્દાઓ કે રાષ્ટ્રીય કારોબારી સુધી સીમિત થઈ ગયા છે. મધ્યપ્રદેશમાં સરકાર પાડવામાં મદદ કરનારા ઈમરતી દેવી કે ગિરરાજ દંડોતિયા જેવા નેતાઓ કાં તો ચૂંટણી હારી ગયા અથવા હાંસિયામાં ધકેલાઈ ગયા. કર્ણાટક અને ગોવામાં પણ સરકારો બદલનારા ઘણા મોહરાઓ આજે પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા ઝંખી રહ્યા છે.
ગ્રે ઝોનમાં અટવાયેલા નેતાઓ
કેટલાક નેતાઓ એવા પણ છે જેઓ પક્ષ બદલ્યા પછી ન તો બહુ શક્તિશાળી બન્યા કે ન તો સાવ નબળા પડ્યા. ગુજરાતના અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી.જે. ચાવડા જેવા યુવા ચહેરાઓ જે ક્યારેક કોંગ્રેસમાં પ્રમુખ સ્થાને કે આંદોલનના નેતા હતા, તેઓ શાસક પક્ષમાં માત્ર ધારાસભ્ય પદ સુધી સીમિત રહી ગયા છે અને મોટું મંત્રીપદ મેળવવામાં અસફળ રહ્યા છે. હરિયાણાના રાવ ઇન્દ્રજીત સિંહ, ઉદ્યોગપતિ નવીન જિંદાલ અને પ્રવક્તા ગૌરવ વલ્લભ પણ શાસક પક્ષની ભીડમાં માત્ર પોતાની જૂની સ્થિતિ જાળવી શક્યા છે, તેમના પ્રભાવમાં કોઈ મોટો વધારો થયો નથી. આ નેતાઓ માટે નવી સિસ્ટમમાં ટકી રહેવું એ જ એક મોટો પડકાર બની ગયો છે.
પસ્તાવો અને કોંગ્રેસમાં ઘરવાપસી
સત્તા અને હોદ્દાની લાલચમાં પક્ષ બદલનારા કેટલાક નેતાઓને બહુ જલ્દી ભાન થયું કે નવી જગ્યાએ વૈચારિક ગુલામી સિવાય કશું જ નથી. હરિયાણાના ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ અશોક તંવર અને મધ્યપ્રદેશમાં સિંધિયાના ખાસ ગણાતા બૈજનાથ સિંહ યાદવ જેવા નેતાઓએ શાસક પક્ષના આંતરિક રાજકારણથી કંટાળીને છેવટે પાછા કોંગ્રેસમાં આવવાનું મુનાસિબ માન્યું. દિલ્હીના અમરીશ સિંહ ગૌતમ અને પંજાબના બલવિંદર સિંહ લડ્ડી જેવા નેતાઓ તો ગણતરીના દિવસોમાં જ પાછા ફરી આવ્યા. આ ઘરવાપસી સાબિત કરે છે કે શાસક પક્ષ ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ ત્યાં વિપક્ષી નેતાઓ માટે આત્મસન્માન જાળવવું અત્યંત કઠિન છે.
આ પણ વાંચો:







