
Abhijit Dipke Protest Delhi: દેશની સડી ગયેલી શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીક માફિયાઓ સામે લડવા માટે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ શાસક વર્ગ સામે સીધો મોરચો માંડ્યો છે. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ યુવા નેતાએ જાહેરાત કરી છે કે તેઓ ૬ જૂને વિદેશથી ભારત પરત ફરી રહ્યા છે. ભારતમાં પગ મૂકતાની સાથે જ તેઓ પરીક્ષાઓમાં થયેલી ઘોર ગેરરીતિઓ અને કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ચેડાં બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે એક રાષ્ટ્રવ્યાપી શાંતિપૂર્ણ આંદોલનની શરૂઆત કરશે.
ડિજિટલ પ્લેટફોર્મ પરથી બંડ પોકારાયો
ઇન્સ્ટાગ્રામ અને X (ટ્વિટર) પર સત્તાવાળાઓની ઊંઘ ઉડાડી દે તેવો એક વીડિયો જાહેર કરીને દીપકેએ દેશના લાખો પીડિત વિદ્યાર્થીઓ અને પોતાના સમર્થકોને દિલ્હીના રસ્તાઓ પર ઉતરી આવવા હાકલ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં શાસકોને પડકારતા કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે બંધારણના દાયરામાં રહીને એક થઈએ અને આ નકામી શિક્ષણ વ્યવસ્થાના વડાના રાજીનામા માટે અવાજ બુલંદ કરીએ. જો યુવાનો સંગઠિત થઈને પ્રહાર કરશે, તો સરકારે નમવું જ પડશે અને આપણો અવાજ સાંભળવો જ પડશે.
દિલ્હી એરપોર્ટ અને જંતર-મંતર ઘેરવાની તૈયારી
અભિજીત દીપકેએ પોતાના સમર્થકોને ૬ જૂને સવારે દિલ્હી એરપોર્ટ પર મોટી સંખ્યામાં એકઠા થવા અપીલ કરી છે. એરપોર્ટ પરથી જ આ વિરોધ પ્રદર્શનની શરૂઆત થશે, જ્યાંથી તમામ કાર્યકરો અને યુવાનો સીધા સંસદ માર્ગ પોલીસ સ્ટેશને કૂચ કરશે. ત્યાં જંતર-મંતર પર સત્તાવાર અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજવા માટે કાનૂની મંજૂરી માંગવામાં આવશે. વિદ્યાર્થીઓના આક્રોશને દબાવવા મથતી સરકાર સામે આ એક મોટો લોકશાહી પડકાર સાબિત થવાનો છે.
૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું
સરકારની નાકામીના કારણે માત્ર એકાદ પરીક્ષા નહીં, પરંતુ NEET-UG, CBSE, CUET અને SSC GD જેવી દેશની સૌથી મોટી પરીક્ષાઓ વિવાદો અને પેપર લીકના કથિત કૌભાંડોમાં ઘેરાયેલી છે. દીપકેએ સણસણતો આક્ષેપ કર્યો છે કે આ શાસકીય બેદરકારીના કારણે દેશના ૧ કરોડથી વધુ હોનહાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરતી ઓનલાઇન પિટિશન પર અત્યાર સુધીમાં ૮ લાખથી વધુ લોકો સહી કરી ચૂક્યા છે, જે દર્શાવે છે કે જનતાનો આક્રોશ કેટલો ભયાનક છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે.
શાસકોની જવાબદારી શૂન્ય થઈ ગઈ
દેશની શિક્ષણ વ્યવસ્થા તબાહ થઈ ગઈ હોવા છતાં શિક્ષણ મંત્રી ખુરશી વળગીને બેઠા છે. દીપકેએ વીડિયોમાં આકરા પ્રહાર કરતા કહ્યું કે, આટલી મોટી નૈતિક અને વહીવટી નિષ્ફળતા છતાં જો મંત્રી રાજીનામું આપવા તૈયાર ન હોય, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે વર્તમાન શાસનમાં લોકશાહી અને જવાબદારી જેવી કોઈ વહેવારુ વસ્તુ બચી જ નથી. આ વ્યવસ્થા માત્ર સત્તા ભોગવવા માટે છે, જનતા પ્રત્યે તેની કોઈ જવાબદારી નથી.
ધરપકડના ડર સામે બંધારણનો ઓથાર
અભિજીત દીપકેએ સ્વીકાર્યું છે કે તેમના ભારત આવવાના નિર્ણયથી તેમનો પરિવાર અને મિત્રો ભારે ચિંતામાં છે. સ્થાપિત શાસન વ્યવસ્થા વિરોધનો અવાજ દબાવવા માટે જાણીતી હોવાથી, તેમને ભય છે કે ભારત એરપોર્ટ પર ઉતરતા જ દીપકેની સરકારી તંત્ર દ્વારા ધરપકડ કરી લેવામાં આવશે. છતાં, તેમણે દેશની લોકશાહી પ્રણાલી પર ભરોસો વ્યક્ત કર્યો છે. પોતાને મહાત્મા ગાંધી, ડૉ. બી.આર. આંબેડકર, ભગત સિંહ અને જવાહરલાલ નેહરુના સાચા અનુયાયી ગણાવતા તેમણે કહ્યું કે તેઓ દેશના બંધારણમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે.
ડરની રાજનીતિનો અંત લાવવા હાકલ
જેલમાં જવાની ધમકીઓ આપતી સરમુખત્યારશાહી માનસિકતા સામે સવાલ ઉઠાવતા દીપકેએ પૂછ્યું છે કે, “આપણે નાગરિક તરીકે ક્યાં સુધી સત્તાના ડરમાં જીવતા રહીશું?” તેમણે દેશભરના તમામ શાંતિપ્રિય, લોકશાહીવાદી અને બંધારણનું પાલન કરનારા યુવાનોને ‘કોકરોચ’ તરીકે એક થવા હાકલ કરી છે, જેથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવી શકાય. ઉલ્લેખનીય છે કે NEET-UG ૨૦૨૬ ની પરીક્ષા પેપર લીકના કારણે રદ કરવી પડી હતી અને CBSE ની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયામાં પણ ભારે ધાંધલી સામે આવી છે, જેના કારણે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિત આખો દેશ આજે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડગ છે.
આ પણ વાંચો:
Pawan Kalyan Sena Galam: આંધ્રના ૩૫% યુવા મતદારોને રીઝવવા જન સેના મેદાને! – thegujaratreport.com







