
TVK Neo Dravidian Ideology: તમિલનાડુની રાજનીતિમાં દાયકાઓથી ચાલી આવતી સ્થાપિત શાસકોની પકડ હવે ઢીલી પડી રહી છે. સુપરસ્ટાર જોસેફ વિજયે રાજ્યમાં એક નવી રાજકીય વિચારધારાની શરૂઆત કરી છે, જેને રાજકીય વિશ્લેષકો “નવ-દ્રવિડવાદ” તરીકે ઓળખાવી રહ્યા છે. લગભગ ૧૦૦ વર્ષ જૂનો પરંપરાગત દ્રવિડ વિચાર હવે અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યો છે. ફક્ત ૨૭ મહિના જૂની તમિલ વેત્રી કઝગમ (TVK) એ તમિલનાડુની સત્તા પર છેલ્લા ૭૨ વર્ષોથી વારાફરતી પ્રભુત્વ ભોગવતા બે મોટા પ્રાદેશિક પક્ષો—DMK અને AIADMK ના ગઢમાં મસમોટું ગાબડું પાડ્યું છે. વિજયે સોશિયલ મીડિયાના યુગમાં જીવતી નવી પેઢી એટલે કે ‘જેન ઝી’ (Gen Z) યુવાનોમાં શાસક પક્ષ DMK સામે વધતી તીવ્ર નારાજગી અને સત્તાધારી પરિવારની “મન્નાર આચ્ચી” એટલે કે રાજશાહી જેવી સામંતશાહી રાજનીતિના વિરોધનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો છે.
શું કરુણાનિધિ પરિવારની નવી પેઢીના ઉદયનિધિ સ્ટાલિન વિજયની ‘સુનામી’ રોકી શકશે?
હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે, શું દ્રવિડ રાજનીતિની છઠ્ઠી કે સાતમી પેઢીનું આ વંશવાદી નેતૃત્વ પોતાના પતનને રોકી શકશે? સીધા શબ્દોમાં કહીએ તો, ભ્રષ્ટાચાર અને પરિવારવાદના ગંભીર આક્ષેપોથી ઘેરાયેલી DMK ની નવી પેઢીનો ચહેરો ઉદયનિધિ સ્ટાલિન, અભિનેતા વિજયની આ રાજકીય “સુનામી” અને “નવ-દ્રવિડ યુગ” ની વધી રહેલી લોકપ્રિયતાનો મુકાબલો કરી શકશે કે કેમ? વિજયે તમિલનાડુના એ પાંચ મહાન નેતાઓના નામો અને આદર્શો સાથે પોતાની રાજનીતિ રજૂ કરી છે જેમણે કરોડો વંચિત તમિલો માટે સામાજિક સુધારા કર્યા હતા. આ ઘટનાક્રમ સ્પષ્ટ સંકેત આપે છે કે દક્ષિણની રાજનીતિની દિશા હવે મુખ્ય પ્રવાહના પક્ષોથી હટીને એક તદ્દન નવા રસ્તા તરફ વળી રહી છે. આવા પેઢીગત ફેરફારો પાછળ નવી પેઢીની આકાંક્ષાઓ કામ કરી રહી છે અને આગામી ૧૦ થી ૧૫ વર્ષો સુધી TVK તમિલનાડુની રાજનીતિમાં મુખ્ય કેન્દ્રબિંદુ બની રહે તેવી પૂરી સંભાવના છે.
પરંપરાગત પક્ષો અને જ્ઞાતિ આધારિત સમીકરણોને તોડવા વિજયનો ‘નિયો-દ્રવિડિયન’ પ્લાન
રાજકીય મેદાનમાં ઉતરેલા જોસેફ વિજયનો આગામી લક્ષ્યાંક બહુ સ્પષ્ટ છે. તેઓ કોશિશ કરી રહ્યા છે કે DMK, AIADMK અને જિલ્લા સ્તરે મજબૂત પ્રભાવ ધરાવતા જ્ઞાતિ આધારિત પક્ષો જેવા કે PMK, VCK અને NTK ની પરંપરાગત રાજકીય તાકાતને ધીમે-ધીમે નબળી કરવામાં આવે. આ સિવાય જો ભાજપના પૂર્વ નેતા કે. અન્નામલાઈના અલગ પક્ષ બનાવવાની રાજકીય અટકળો સાચી સાબિત થાય, તો ઉદયનિધિ સિવાય તેઓ પણ વિજયની TVK માટે એક મોટો રાજકીય ખતરો બની શકે છે. ખાસ વાત એ છે કે, વિજય અને તેમની પાર્ટી સીધા રૂપથી સ્થાપિત દ્રવિડ વિચારધારા સામે લડાઈ નથી લડી રહ્યા, પરંતુ તેઓ પાંચ પ્રભાવશાળી નેતાઓના નામોનો સહારો લઈને એ વિચારને એક નવું સ્વરૂપ આપી રહ્યા છે, જેને “નિયો-દ્રવિડિયન વિજયવાદ” કહેવામાં આવે છે. આ પાંચ નેતાઓ છે—કે. કામરાજ, ઈ.વી. રામાસામી ‘પેરિયાર’, વેલુ નચિયાર, અંજલાઈ અમ્માલ અને ડૉ. બી.આર. આંબેડકર. ઓક્ટોબર ૨૦૨૪ માં TVK ની ઔપચારિક શરૂઆત કરતી વખતે વિજયે પક્ષની જ્ઞાતિ-વિરોધી અને ધર્મનિરપેક્ષ રાજકીય વિચારસરણી સ્પષ્ટ કરી હતી અને કહ્યું હતું કે તેમનો પક્ષ દ્રવિડ રાષ્ટ્રવાદ અને તમિલ રાષ્ટ્રવાદને અલગ નહીં માને, કારણ કે આ બંને આ ધરતીની બે આંખો છે.
સિનેમાના સિતારાઓએ વોટ બેંક માટે કટ્ટર દ્રવિડ આંદોલનના મૂળ સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી
જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો, ફિલ્મ જગતમાંથી આવેલા નેતાઓએ જ સમયાંતરે પોતાના ફાયદા માટે પરંપરાગત દ્રવિડ મોડેલને નબળું કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. આ વાર્તા એ વાતની સાક્ષી પૂરે છે કે છેલ્લા ૫૦ વર્ષોમાં સત્તાની લાલચમાં દ્રવિડ વિચારધારા કેવી રીતે કેટલાય જૂથોમાં વહેંચાતી ગઈ. દ્રવિડ આંદોલનની મૂળ સંસ્થામાંથી અંગત સ્વાર્થ ખાતર કેટલાય પ્રાદેશિક પક્ષો નીકળ્યા—જેમ કે DK, DMK, AIADMK, MDMK, DMDK અને AMMK. તમિલનાડુમાં ફિલ્મ સિતારાઓએ પોતાના પ્રશંસકોના જૂથોને સફળતાપૂર્વક પર્સનલ વોટ બેંકમાં બદલ્યા અને આ જ પ્રક્રિયામાં સામાન્ય જનતાને કટ્ટર દ્રવિડ વિચારધારાથી પણ ધીમે-ધીમે દૂર લઈ ગયા. જો કે, તેમણે તમિલ અસ્મિતા, સામાજિક ન્યાય અને આત્મસન્માનની મશાલને સળગતી રાખીને વંચિત વર્ગો માટેનું અનામત ૬૯ ટકા સુધી જાળવી રાખ્યું, પરંતુ સત્તા ટકાવી રાખવા માટે આંદોલનની મૂળ દિશા પણ બદલી નાખી. કેટલીય વાર દ્રવિડ રાજનીતિ જનતાના પાયાના પ્રશ્નો છોડીને પોતાના મૂળ રસ્તા પરથી ભટકી ગઈ હતી.
એમજીઆર અને જયલલિતાએ નાસ્તિકતા હટાવીને દ્રવિડ રાજનીતિનો આખો ચહેરો જ બદલી નાખ્યો
વર્ષ ૧૯૭૨ માં અભિનેતામાંથી નેતા બનેલા એમ.જી. રામચંદ્રન (MGR) એ દ્રવિડ રાજનીતિમાં એક મોટો ફેરફાર કર્યો. તેમણે વર્ષો જૂની નાસ્તિકતાની પરંપરા તોડીને સાબિત કર્યું કે દ્રવિડ નેતા હોવાની સાથે-સાથે કોઈ વ્યક્તિ ભગવાનમાં આસ્થા રાખનારો અને ધાર્મિક પણ હોઈ શકે છે. તેમણે ૧૭ ઓક્ટોબર ૧૯૭૨ ના રોજ AIADMK ની સ્થાપના કરી અને ૧૯૭૭ માં મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ અન્ય એક ફિલ્મ અભિનેત્રી, જયલલિતા રાજનીતિમાં આવ્યા અને ૧૯૯૧ માં મુખ્યમંત્રી બન્યા. તેમના ઉદયે દ્રવિડ રાજનીતિના સામૂહિક આંદોલનને પૂરી રીતે પર્સનલ કરિશ્મા આધારિત રાજનીતિમાં બદલી નાખી. જયલલિતાના કરિશ્માએ 2016 સુધી એટલે કે છ કાર્યકાળ સુધી તમિલનાડુ પર મજબૂત રાજકીય પકડ જાળવી રાખી. આ ગાળા દરમિયાન અન્ય એક ફિલ્મ હસ્તી વિજયકાંતે ૧૪ સપ્ટેમ્બર ૨૦૦૫ ના રોજ DMDK ની સ્થાપના કરીને સ્થાપિત પક્ષો સામે બ્યુગલ ફૂંક્યું હતું અને અમુક હદ સુધી દ્રવિડ સંસ્કૃતિના નબળા પડવાને રોકવાની કોશિશ કરી હતી.
જયલલિતાના માર્ગે જોસેફ વિજય: બ્રાહ્મણો અને દલિતોને મંત્રીપદ આપી સ્થાપિત શાસકોને ચોંકાવ્યા
હવે વર્તમાન સમયમાં સી. વિજય જોસેફે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની DMK સરકારને સીધો પડકાર આપ્યો છે અને સાત દાયકાથી ચાલી આવતી દ્રવિડ પક્ષોની ઈજારાશાહીને હચમચાવી દીધી છે. વિજયે પેરિયાર અને આંબેડકરની સામાજિક ન્યાયની વિરાસતની નવી અને આધુનિક વ્યાખ્યા રજૂ કરીને પોતાની રાજકીય પદ્ધતિ એટલે કે “વિજયવાદ” ને આગળ વધાર્યો છે. પરંપરાગત રીતે બ્રાહ્મણ વિરોધી ગણાતી દ્રવિડ રાજનીતિમાં મોટો ફેરફાર કરીને TVK પક્ષમાં બ્રાહ્મણોને મહત્વની જગ્યા આપવી એ એક ક્રાંતિકારી કદમ માનવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે વિજયે પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની વ્યૂહરચનામાંથી પ્રેરણા લીધી છે, જેઓ પોતે વડકલઈ અયંગર બ્રાહ્મણ હોવા છતાં તેમણે સફળતાપૂર્વક એક કટ્ટર દ્રવિડ પક્ષનું નેતૃત્વ કર્યું હતું. વિજયે સત્તાવાર સ્તરે પોતાની પડદા પાછળની ટીમ અથવા પ્રભાવમાં બ્રાહ્મણોને સ્થાન આપ્યું છે અને હિન્દુ ધાર્મિક તથા ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ જેવા સંવેદનશીલ વિભાગોની જવાબદારીઓ સોંપીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. આ સાથે જ તેમણે આઠ દલિત ચહેરાઓને પણ સંગઠન અને મહત્વપૂર્ણ મંત્રાલયો સમકક્ષ જવાબદારીઓ સોંપીને સામાજિક સંતુલન સાધ્યું છે.
દ્રવિડ ઓળખ પર પરિવારોનું નિયંત્રણ અને ભ્રષ્ટાચાર: શાસકોના પતન પાછળના ૫ મુખ્ય કારણો
પરંપરાગત દ્રવિડવાદ પોતાના મૂળ રસ્તા પરથી ભટકવા પાછળ મુખ્ય પાંચ કારણો જવાબદાર છે. પહેલું કારણ છે નવી પેઢી એટલે કે ‘જેન ઝી’, બીજું Artificial Intelligence (AI) નો પ્રભાવ, ત્રીજું દ્રવિડ ઓળખ અને સત્તા પર ચોક્કસ પરિવારોનું સંપૂર્ણ નિયંત્રણ, ચોથું સ્થાપિત સરકારો પર લાગેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપો, અને પાંચમું વયોવૃદ્ધ બની ચૂકેલા નેતાઓનું નવી પેઢીના યુવાનોને આત્મસન્માન આંદોલન સાથે જોડવામાં સદંતર અસફળ રહેવું. છેલ્લા બે દાયકામાં દ્રવિડ વિચારધારાના અસ્તિત્વ સામેના પડકારો સતત વધ્યા છે. ડિજિટલાઈઝેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને નવી ટેકનોલોજીઓએ યુવાનોની આકાંક્ષાઓને બદલી નાખી છે. તમિલનાડુ હવે એવા દોરમાં પહોંચી ગયું છે, જ્યાં જન્મના આધારે ૧૯૯૭ થી ૨૦૧૨ ની વચ્ચે આવેલા ‘જેન ઝી’ યુવાનો, જેમની ઉંમર ૨૦૨૬ માં આશરે ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચે છે, તેઓ પરંપરાગત વંશવાદી રાજનીતિથી કંટાળીને નવો વિકલ્પ શોધી રહ્યા છે.
ઇતિહાસ સાક્ષી છે કે વર્ષ ૧૯૧૬ માં તમિલનાડુમાં ‘જસ્ટિસ પાર્ટી’ (સાઉથ ઇન્ડિયન લિબરલ ફેડરેશન) નો ઉદય એક સામાજિક આંદોલન તરીકે થયો હતો, જે ૧૯૬૦ ના દાયકાના મધ્ય પછી એક મજબૂત રાજકીય તાકાત બની ગઈ. પેરિયારે ઊંચી જ્ઞાતિઓના વર્ચસ્વ સામે લડત, રાજ્યોની સ્વાયત્તતા અને મહિલા સશક્તિકરણ માટે ઉગ્ર આંદોલનો કર્યા હતા. પરંતુ ૧૯૬૭ માં દ્રવિડ આંદોલનમાં મોટો વળાંક આવ્યો જ્યારે સી.એન. અન્નાદુરાઈએ સત્તા મેળવવા માટે જસ્ટિસ પાર્ટીના મૂળ કટ્ટર સિદ્ધાંતોને નરમ કર્યા. કોંગ્રેસને સત્તા પરથી હટાવવા માટે બ્રાહ્મણ અને દક્ષિણપંથી નેતા સી. રાજગોપાલાચારીએ પણ DMK સાથે હાથ મિલાવ્યા અને આ ગઠબંધને દ્રવિડ આંદોલનને પહેલીવાર સત્તાનો સ્વાદ ચખાડ્યો. સત્તા મળ્યા પછી દ્રવિડ રાજનીતિ પોતાના મૂળ વૈચારિક સિદ્ધાંતોથી દૂર થવા લાગી અને ભ્રષ્ટાચાર તેમજ પરિવારવાદના કાદવમાં ખૂંપી ગઈ. કરુણાનિધિના સમયમાં પરિવારવાદ એટલો વધી ગયો કે જનતાના આક્રોશે MGR માટે રસ્તો સાફ કર્યો. આજે ૨૦૨૬ માં ૧૯૭૨ અને ૧૯૮૯ જેવો જ ઇતિહાસ ફરી દોહરાઈ રહ્યો છે. સ્થાપિત દ્રવિડ પક્ષોના ભ્રષ્ટાચારથી કંટાળેલી નવી પેઢીને વંશવાદી નેતાઓ આકર્ષી શકતા નથી અને આ જ વૈચારિક શૂન્યાવકાશનો ફાયદો ઉઠાવીને TVK પ્રમુખ જોસેફ વિજય “નિયો-દ્રવિડિયન વિજયવાદ” ના નામે સ્થાપિત શાસકોના સામ્રાજ્યને ઉખેડી ફેંકવા આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો:







