
Malviya Nagar Fire Tragedy Delhi: દક્ષિણ દિલ્હીના હૌઝ રાની-માલવીય નગર વિસ્તારમાં બુધવારે સવારે લાગેલી ભીષણ આગે રાજધાનીની કથિત સેફ્ટી વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા છે. એક ગેરકાયદેસર બિલ્ડિંગમાં ચાલતા રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસમાં ભભૂકેલી આગમાં અત્યાર સુધીમાં ૨૧ વંચિત અને મજબૂર લોકો જીવતા ભુંજાઈ ગયા છે. સત્તાવાર આંકડાઓ મુજબ ડઝનબંધ લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બચાવ કાર્યમાં લાગેલા દિલ્હી પોલીસના જવાનો અને ફાયર સર્વિસના ૧૦ રેસ્ક્યૂ કર્મીઓ પણ ગંભીર ઇજાઓનો ભોગ બન્યા છે, જેમને એમ્સ (AIIMS) ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવા પડ્યા છે. ભ્રષ્ટ તંત્રે હંમેશની જેમ કાગળ પર ‘ગેરકાનૂની મનુષ્યવધ’ હેઠળ એફઆઈઆર (FIR) નોંધીને પલ્લું ઝાટકી લીધું છે.
આ અગ્નિકાંડ એ કોઈ અકસ્માત નથી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બિલ્ડિંગ માફિયાઓની મિલીભગતથી થયેલું સામુહિક મર્ડર છે. અહેવાલ મુજબ, ‘ફ્લોરિશ સ્ટે’ (Flourish Stay B&B) અને ‘મિકાસા ઇન’ (Mikasa Inn) નામના બે ગેસ્ટ હાઉસ માત્ર એક પાતળી દીવાલના અંતરે એક જ જર્જરિત ઇમારતમાંથી ગેરકાયદેસર રીતે ચાલતા હતા. બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ચાર માળની આ ઇમારતમાં પ્રવાસન વિભાગ અને સ્થાનિક ઓથોરિટીએ માત્ર ૬ રૂમ ચલાવવાની મંજૂરી આપી હતી. પરંતુ શાસકોના આશીર્વાદથી માલિકોએ ગ્રાહકોના જીવ જોખમમાં મૂકીને ૨૦ થી વધુ રૂમ ખડકી દીધા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે આ આખી હોટેલ પાસે ફાયર સેફ્ટીનું કોઈ ‘અનાપત્તિ પ્રમાણપત્ર’ (Fire NOC) હતું જ નહીં!
જીવ બચાવવા ચોથા માળેથી કૂદતી જનતા
બુધવારે સવારે ૦૮:૪૮ વાગ્યે જ્યારે બેઝમેન્ટમાં આવેલા ફ્લોરિશ બીએન્ડબીના રસોડામાંથી શોર્ટ સર્કિટના કારણે આગ શરૂ થઈ અને જોતજોતામાં ઉપરના માળે ફેલાઈ ગઈ, ત્યારે અંદર અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડિંગમાં બહાર નીકળવાનો કોઈ સેફ્ટી રસ્તો ન હોવાથી લોકોએ બારીઓમાંથી નીચે કૂદવાની ફરજ પડી હતી. જ્યારે સરકારી એજન્સીઓ મોડી પહોંચી, ત્યારે સામે જ દુકાન ધરાવતા એક સામાન્ય રજાઈવાળા વેપારીએ માનવતા દાખવી પોતાની બધી રજાઈઓ અને ગાદલા રસ્તા પર પાથરી દીધા હતા, જેના પર કૂદીને કેટલાય લોકોના જીવ બચ્યા હતા. દાઝી ગયેલા લોકોને તાત્કાલિક સાકેતની મેક્સ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સત્તાવાળાઓએ પુષ્ટિ કરી કે ૩૯ માંથી ૧૮ દર્દીઓ લાવતા પહેલા જ દમ તોડી ચૂક્યા હતા.
મેડિકલ ટુરિઝમના નામે વિદેશીઓનો શિકાર
આ અકસ્માતની સૌથી કાળી બાજુ એ છે કે ભોગ બનનારા ૯૯ ટકા લોકો નિર્દોષ વિદેશી નાગરિકો છે. આ બિલ્ડિંગની બરાબર સામે પ્રખ્યાત મેક્સ હોસ્પિટલ આવેલી હોવાથી, દક્ષિણ આફ્રિકા, સોમાલિયા અને ખાડી દેશોમાંથી ગંભીર રોગોની સારવાર કરાવવા આવેલા દર્દીઓના સગા-સંબંધીઓ આ સસ્તી હોટેલમાં રોકાતા હતા. બાંગ્લાદેશ હાઈકમિશને પણ સત્તાવાર નિવેદન જારી કરીને ઊંડા આઘાત સાથે જણાવ્યું છે કે તેમના પાંચ નાગરિકો આ અગ્નિકાંડમાં ગંભીર રીતે હોમાયા છે, જેમાંથી ત્રણની મેક્સ હોસ્પિટલ અને બેની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વહીવટી તંત્રની બેદરકારીના કારણે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની આબરૂના લીરેલીરા ઉડ્યા છે.
The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected.
An ex-gratia of Rs. 2 lakh from…
— PMO India (@PMOIndia) June 3, 2026
પાંચ દિવસમાં બે મોટી હોનારતો
દિલ્હીમાં સત્તા પર બેઠેલા શાસકો કેટલા નફ્ફટ છે તેનો પુરાવો એ છે કે છેલ્લા પાંચ દિવસમાં દક્ષિણ દિલ્હીમાં આ બીજી સૌથી મોટી દુર્ઘટના છે. આ પૂર્વે ૩૦ મેના રોજ સાકેત મેટ્રો સ્ટેશન પાસે એક ગેરકાયદેસર બહુમાળી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં છ લોકોના કચડાઈ જવાથી મોત થયા હતા, જેમાં ગેરકાયદે કેફે, ઓફિસ અને કોચિંગ સેન્ટર ધમધમતા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના એસડીએમ જિતેન્દ્ર કુમાર માત્ર મીડિયા સમક્ષ સ્વીકારે છે કે રેસ્ટોરન્ટના કારણે બિલ્ડિંગો જોખમમાં મુકાય છે અને કડક કાર્યવાહી જરૂરી છે, પરંતુ ભ્રષ્ટાચારના કાદવમાં ડૂબેલું તંત્ર આવી બિલ્ડિંગો સીલ કરવાના બદલે માત્ર હપ્તાખોરીમાં વ્યસ્ત છે.
વાયરોની લટકતી જાળી અને શોર્ટ સર્કિટ
ભૂતપૂર્વ ધારાસભ્ય સોમનાથ ભારતીએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે આખા માલવીય નગરમાં વીજળીના વાયરોની જીવલેણ જાળી બિછાયેલી છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે. અકસ્માત બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ સોશિયલ મીડિયા પર માત્ર શોક વ્યક્ત કરીને મૃતકોના પરિવારોને બે લાખ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની નજીવી સહાય જાહેર કરીને પોતાની જવાબદારી પૂરી કરી લીધી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઉપ-રાજ્યપાલ તરણજીત સિંહ સંધુએ એજન્સીઓની ત્વરિત કાર્યવાહીના ગુણગાન ગાયા છે. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે આ હોટેલો કોઈપણ ફાયર એનઓસી વગર ખુલ્લેઆમ ચાલતી હતી, ત્યારે સરકારી ઇન્સ્પેક્ટરો કઈ ગુફામાં ઊંઘતા હતા?
પૂર્વ મુખ્યમંત્રી આતિશીનો પ્રહાર
આ ભયાનક અગ્નિકાંડ પર દિલ્હીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા સીધો સવાલ ઉઠાવ્યો છે કે, “દિલ્હીમાં વારંવાર થઈ રહેલા આ અગ્નિકાંડો અને નિર્દોષ લોકોના મોતની અસલી જવાબદારી કોણ લેશે? ભાજપ શાસન હેઠળ ફાયર સેફ્ટીની આખી સિસ્ટમ આટલી હદે બદહાલ અને ભ્રષ્ટ કેમ થઈ ગઈ છે? દરેક અકસ્માત બાદ નેતાઓ માત્ર એરકન્ડિશન્ડ ઓફિસોમાંથી નિવેદનો આપે છે, પરંતુ વાસ્તવિક જવાબદારી નક્કી થતી નથી. જનતાના લોહીની કિંમત પર અધિકારીઓની આ ગુનાહિત બેદરકારી હવે સહેજ પણ સ્વીકાર્ય નથી.” જ્યાં સુધી સત્તાધીશો અને ભ્રષ્ટ બાબુઓને જેલના સળિયા પાછળ નહીં ધકેલાય, ત્યાં સુધી દિલ્હીની જનતા આમ જ હોમાતી રહેશે.
આ પણ વાંચો:







