
Gujarat Political Spying: ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા અને વિરોધીઓને કચડી નાખવા માટે સરકારી નાણાંનો કેવો દુરુપયોગ થાય છે, તેનો એક સળગતો પુરાવો જાસૂસીનો આ કાળો ઈતિહાસ છે. વર્ષ ૨૦૦૧ પહેલા જ્યારે ભાજપની અંદર જ આંતરિક વિખવાદ ચરમસીમાએ હતો અને કેશુભાઈ પટેલની સરકાર હતી, ત્યારે પણ સરકાર ઉથલાવવાના પ્રયાસો કરતા ચોક્કસ નેતાઓની જાસૂસી કરવામાં આવતી હતી. આ નેતાઓ જ્યારે દિલ્હીથી ગુજરાત આવતા, ત્યારે સાણંદ પાસે આવેલી એક શૈક્ષણિક સંસ્થામાં રોકાતા અને ત્યાં તેમના પર ગુપ્ત નજર રખાતી હતી. હરેન પંડ્યા જ્યારે ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે પણ આ જાસૂસીની રમત ચાલુ જ હતી. પરંતુ ૨૦૦૧ માં નરેન્દ્ર મોદીના સત્તા પર આવ્યા પછી આ જાસૂસીનું પ્રમાણ એટલું વ્યાપક અને ભયાનક બની ગયું કે જે ગુપ્તચર બજેટ માત્ર ૧૦ કરોડ રૂપિયા હતું, તે કુદકે ને ભુસકે વધીને સીધું ૨૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
જનતાની કમાણી નેતાઓ પર નજર રાખવામાં વેરફાઈ: ૧૨ વર્ષમાં બજેટ ૧૨૦૦% વધ્યું
ગુજરાત વિધાનસભામાં રજૂ થતા બજેટના આંકડાઓની અંદર ઝાંકીએ તો ખબર પડે કે જનતા પાસેથી ટેક્સ રૂપે વસૂલાતા કરોડો રૂપિયા લોકોની સુરક્ષા માટે નહીં, પણ નેતાઓની જાસૂસી પાછળ વેરફાઈ રહ્યા છે. વર્ષ ૨૦૦૮ માં ‘અમદાવાદ મિરર’ માં પ્રકાશિત થયેલા એક સનસનાટીપૂર્ણ અહેવાલ મુજબ, નરેન્દ્ર મોદીએ પોતાના જ રાજકીય મિત્રો, પક્ષના આંતરિક હરીફો, સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ અને પત્રકારો પર નજર રાખવા માટે બજેટમાં જંગી ફાળવણીઓ શરૂ કરી હતી. મોદીના મુખ્યમંત્રી તરીકેના ૧૨ વર્ષના શાસનકાળ દરમિયાન સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના બજેટમાં આશ્ચર્યજનક રીતે ૧૨૦૦% નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ બજેટનો સિંહફાળો ત્રાસવાદીઓ કે ગુનેગારોને પકડવા માટે નહીં, પરંતુ સત્તાવાર રીતે ‘મુખ્યમંત્રીના સ્કેનર’ હેઠળ વિરોધીઓને દબાવવા માટે વપરાતો હતો.
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ જાસૂસી અવિરત: બજેટ સીધું ૧૫૦૦ કરોડે પહોંચ્યું
કાલચક્ર ભલે ફર્યું અને ચહેરાઓ બદલાયા, પરંતુ શાસકોની આ માનસિકતા બદલાઈ નથી. નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પછી અત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર છે, પરંતુ જાસૂસીની આ ગતિવિધિઓ અટકવાનું નામ નથી લેતી. આધુનિકતા અને ટેકનોલોજીના નામે આઈબી (IB) પાછળનો ખર્ચ હવે સીધો ૧૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જાહેરમાં ગંભીર ફરિયાદ કરી હતી કે તેમની જાસૂસી કરવામાં આવી રહી છે. તેમની રાજકીય મીટિંગોમાં આઈબીના અધિકારીઓ ગુપ્ત રીતે ઘૂસી જાય છે અને કોંગ્રેસ શું રણનીતિ બનાવી રહી છે તેનું શૂટિંગ અને રેકોર્ડિંગ કરીને સરકારને પહોંચાડે છે. લોકશાહીમાં વિપક્ષના નેતાઓની આ પ્રકારે થતી જાસૂસી શાસકોના ડર અને અહંકારને છતી કરે છે.
પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાનો સનસનાટીપૂર્ણ ખુલાસો: ‘મારું સામાન્ય જીવવું પણ હરામ કરી નાખ્યું હતું’
જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના જ વરિષ્ઠ નેતા સુરેશ મહેતાએ મોદી સરકાર સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે તેમના પર આખું સરકારી તંત્ર છોડી દેવાયું હતું. સુરેશ મહેતાએ તત્કાલીન સમયની આપવીતી જણાવતા કહ્યું હતું કે, આઈબીના માણસો તેમની દૈનિક પ્રવૃત્તિઓ પર સતત ચોકીબારી રાખતા હતા. વેરભાવનાથી પ્રેરિત આ પ્રકારની દેખરેખના કારણે તેમનું સામાન્ય જીવન જીવવું પણ હરામ થઈ ગયું હતું. તેમના પરિવારને માનસિક રીતે હેરાન કરવામાં આવતો અને તેમના ઘરે આવતા મહેમાનો તથા પત્રકારોની પણ પોલીસ દ્વારા આડકતરી રીતે પૂછપરછ થતી હતી. આ અંગે તેમણે પોલીસમાં મૌખિક અને લેખિત ફરિયાદો પણ કરી હતી. ખુદ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પણ પોતાની જાસૂસી થતી હોવાની ફરિયાદો જાહેરમાં કરીને આ વ્યવસ્થા સામે રોષ ઠાલવ્યો હતો.
રોજના ૩૦૦ ફોન કોલનું રેકોર્ડિંગ સીએમ હાઉસ પહોંચતું: ધીરુ ગજેરાના ગંભીર આક્ષેપો
ગુજરાતમાં સ્માર્ટફોનનો યુગ ૨૦૦૮ ની આસપાસ શરૂ થયો, જ્યારે ફોન સામાન્ય જનતાને પરવડે તેવી કિંમતમાં મળતા થયા. આ આધુનિક ટેકનોલોજીનો સૌથી મોટો ગેરફાયદો શાસકોએ જાસૂસી માટે ઉઠાવ્યો હતો. સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ તે સમયે ચોંકાવનારો અંદાજ મૂક્યો હતો કે ગુજરાતમાં લગભગ તમામ વિરોધી રાજકારણીઓના ફોન કોલ ટ્રેસ અને રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે દરરોજ આશરે ૩૦૦ જેટલા કાનૂની અને ગેરકાનૂની ફોન કોલનું રેકોર્ડિંગ સીધું મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચાડવામાં આવતું હતું. નેતાઓ, પત્રકારો અને અધિકારીઓની જિંદગીની દરેક ક્ષણ તપાસના દાયરામાં લાવી દેવાઈ હતી, અને તત્કાલીન નાણામંત્રી વજુભાઈ વાળાએ આ વધારાના સર્વેલન્સ માટે બજેટની મંજૂરીઓ પણ ફટાફટ આપી દીધી હતી.
પેગાસસથી લઈને AI પોલીસિંગ: હર્ષ સંઘવીના ડિજિટલ જાસૂસીના નવા પેતરા
વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૦ દરમિયાન સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોની ક્ષમતા વધારવા માટે ફોન રેકોર્ડ એનાલિસિસ અને ટેકનિકલ સર્વેલન્સની શરૂઆત થઈ, જે ૨૦૧૩ સુધીમાં એટલી વિવાદાસ્પદ બની કે મામલાઓ કોર્ટ સુધી પહોંચ્યા હતા. મોદી વડાપ્રધાન બન્યા પછી દેશમાં ‘પેગાસસ’ જેવો ખતરનાક સ્પાયવેર આવ્યો, જે કોઈના પણ મોબાઈલમાં તેની જાણ બહાર ઘૂસીને આખી જાસૂસી કરી લે છે. હવે ૨૦૨૬ માં, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ‘એઆઈ આધારિત પોલીસિંગ’ (AI-based Policing) નો નવો કન્સેપ્ટ લાવ્યા છે. આ અંતર્ગત ‘સેન્ટર ઓફ એક્સલન્સ ફોર AI ઇન પોલીસિંગ’ અને ડેટા ફંક્શનલ સેન્ટર માટે બજેટમાં ૬૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે ડ્રોન અને એન્ટી-ડ્રોન સિસ્ટમ માટે ૨૦ કરોડની જોગવાઈ કરાઈ છે. ગુનેગારોને પકડવાના બહાને લાવવામાં આવતી આ AI સિસ્ટમનો ઉપયોગ ફરીથી વિરોધીઓનો અવાજ દબાવવા માટે જ થશે, તેવી શંકા પાકી બની રહી છે.
સાયબર સેલની કામગીરી સારી, પણ જનતા ક્યાં સુધી શાસકોના સ્કેનર હેઠળ રહેશે?
જો કે, ટેકનોલોજીનો સદુપયોગ પણ થઈ શકે છે, જે તાજેતરમાં ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા જોવા મળ્યો. તેમણે ‘ઓપરેશન મ્યુટ હંટ’ ચલાવીને આશરે ૨૨૦૦ થી ૨૩૦૦ કરોડ રૂપિયાના મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ટેકનોલોજીનો આવો ઉપયોગ જનતાના પૈસા બચાવવા માટે થાય તે આવકાર્ય છે, પરંતુ મુશ્કેલી એ છે કે સરકાર આ શક્તિનો મોટો હિસ્સો પોતાની ખુરશી બચાવવા અને જાસૂસી કરવા માટે વાપરે છે. આજે સ્થિતિ એવી છે કે જે પણ વ્યક્તિ સરકારની નીતિઓ આડે નડતરરૂપ બને, તેની જાસૂસી શરૂ કરી દેવાય છે. શાસકોના આ કાલચક્રમાં સામાન્ય જનતા અને વિરોધીઓ ક્યાં સુધી સ્કેનર હેઠળ જીવતા રહેશે, તે મોટો સવાલ છે.
આ પણ વાંચો:









