
Modi Govt Report Card: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના બીજા વર્ષે કોંગ્રેસે ‘પ્રચાર વિરુદ્ધ હિસાબ’ નામનો ૭૫ પાનાનો એક વિસ્ફોટક દસ્તાવેજ જાહેર કરીને સરકારની પોલ ખોલી છે. કોંગ્રેસના રિસર્ચ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ રિપોર્ટ કાર્ડમાં રોજગાર, આર્થિક વિકાસ, લોકશાહી અને શિક્ષણના તમામ સરકારી દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, છેલ્લા ૧૨ વર્ષોમાં ગરીબ-વિરોધી આર્થિક નીતિઓ અને નબળી વિદેશ નીતિએ દેશને એવી સ્થિતિમાં લાવી દીધો છે કે ગરીબ પરિવારો ફરી લાકડાના ચૂલાના ઝેરી ધુમાડા તરફ ધકેલાયા છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ આરોપ લગાવ્યો કે મોદી સરકારનું એકમાત્ર મોડેલ એ છે કે અબજોપતિ મિત્રોના લાખો-કરોડોના દેવા માફ કરવા અને તેની ભરપાઈ કરવા માટે ગરીબોને મોંઘવારીનું બિલ પકડાવવું.
ઉજ્જવલાનો અસલી ચહેરો
કોંગ્રેસના રિપોર્ટ કાર્ડ મુજબ, ઉજ્જવલા યોજનાના દાવાઓ માત્ર કાગળ પર રહી ગયા છે. સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા ૯ થી ઘટાડીને ૪ કરી દેવામાં આવી છે અને છેલ્લા ત્રણ મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ૮૯ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. સૌથી વધુ માર પ્રવાસી મજૂરોને પડ્યો છે, જેમણે ૫ કિલોના નાના સિલિન્ડર માટે ૩૨૩ રૂપિયા વધુ ચૂકવવા પડે છે. રાજીવ ગૌડાએ જણાવ્યું કે વડાપ્રધાનની ભવ્ય જાહેરાતો અને હેડલાઈન્સ પાછળ લોકોની જિંદગીમાં કોઈ સકારાત્મક બદલાવ આવ્યો નથી. રૂપિયો અત્યારે વિશ્વની સૌથી નબળી મુદ્રાઓમાં સામેલ છે, જે સરકારની આર્થિક નિષ્ફળતાનો પુરાવો છે.
બેરોજગારીનો વિસ્ફોટ અને યુવા પેઢીનું અંધકારમય ભવિષ્ય
શિક્ષણ અને રોજગારના મોરચે સરકાર સંપૂર્ણપણે ફેલ સાબિત થઈ છે. કોંગ્રેસના રિપોર્ટ મુજબ, ૧૦ માંથી ૪ ગ્રેજ્યુએટ યુવાનો આજે બેરોજગાર છે. શહેરી યુવાનોમાં બેરોજગારીનો દર ૧૮.૪ ટકા સુધી પહોંચી ગયો છે, અને ગ્રેજ્યુએટ થયા બાદ માત્ર ૭ ટકા યુવાનોને જ સ્થાયી પગારવાળી નોકરી મળી રહી છે. આટલું ઓછું હોય તેમ વારંવાર થતા પેપર લીક કાંડથી યુવાનોનું મનોબળ તૂટી ગયું છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે અત્યાર સુધીમાં ૮૯ પેપર લીક થયા છે અને ૪૮ વાર પરીક્ષાઓ ફરી લેવી પડી છે. કોંગ્રેસે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગણી કરી છે, કારણ કે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે અધ્ધરતાલ છે.
ઉદ્યોગોનું પતન અને લોકશાહીનું અધઃપતન
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) ક્ષેત્ર આજે આઈસીયુમાં છે. છેલ્લા એક વર્ષમાં ૪૦,૦૦૦ જેટલા ઉદ્યોગો કાયમી ધોરણે બંધ થઈ ગયા છે. નોટબંધીનું જે પાપ આ સરકારે કર્યું હતું, તેની અસર આજે પણ આ ક્ષેત્ર ભોગવી રહ્યું છે. આર્થિક રીતે ભારત ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના દાવા કરતું હતું, પરંતુ આજે વાસ્તવિકતામાં ભારતનું અર્થતંત્ર ૪ ટ્રિલિયન ડોલરથી પણ નીચે સરકી ગયું છે. બીજી તરફ, લોકશાહીના સ્તંભો પણ નબળા પડી રહ્યા છે. રાજીવ ગૌડાએ ગંભીર આક્ષેપ કર્યો કે દેશભરમાંથી ૬.૫ કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી રાતોરાત હટાવી દેવામાં આવ્યા છે, જે ભારતીય લોકશાહી માટે એક મોટી ત્રાસદી છે.
ઘોર નિષ્ફળતાનું રિપોર્ટ કાર્ડ: વિદેશી રોકાણકારોનો દેશમાંથી મોહભંગ
અમિતાભ દુબેએ સરકારના આંકડાઓને આડે હાથ લેતા કહ્યું કે વિદેશી રોકાણકારો ભારત છોડી રહ્યા છે અને ઘરેલુ ઉદ્યોગપતિઓ વિદેશમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ સરકારે રેલવેની સુરક્ષાને પણ રામભરોસે છોડી દીધી છે; છેલ્લા સમયગાળામાં ટ્રેક પર ૨૨,૪૧૩ લોકોના મોત થયા છે. મહિલાઓની સ્થિતિ પણ કથળી છે, ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં ભારત ૧૦૮મા સ્થાનથી ગગડીને ૧૩૧મા ક્રમે પહોંચી ગયું છે. આ આંકડાઓ સાબિત કરે છે કે વડાપ્રધાન મોદીની ‘સબકા સાથ, સબકા વિકાસ’ની વાતો માત્ર ચૂંટણીલક્ષી સૂત્રો બનીને રહી ગઈ છે. ૧૨ વર્ષનો આ સમયગાળો જાહેરાતોનો તો રહ્યો, પણ આમ આદમીના વિકાસનો નહીં. હવે પ્રશ્ન એ છે કે શું જનતા આ સત્યને સ્વીકારીને સત્તાના આ ‘લૂંટ મોડેલ’ને ઉખેડી ફેંકવા તૈયાર થશે?
આ પણ વાંચો:







