
TMC Opposition Leader Dispute: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઘટનાક્રમ સામે આવ્યો છે, જ્યાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે બે ફાડિયામાં વહેંચાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કલકત્તા હાઈકોર્ટે તાજેતરમાં જ વિધાનસભા અધ્યક્ષના એક વિવાદાસ્પદ નિર્ણય પર વચગાળાની રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે ટીએમસીમાંથી નિષ્કાસિત કરાયેલા નેતા ઋતબ્રત બેનર્જીએ પોતાને વિપક્ષના નેતા તરીકે સ્થાપિત કરવામાં સફળતા મેળવી. આશ્ચર્યની વાત તો એ છે કે, જે પક્ષ મમતા બેનર્જીના ઈશારે ચાલતો હતો, તે જ પક્ષના ૫૮ ધારાસભ્યોએ બળવો કરીને અધ્યક્ષ રથિન્દ્ર બોસ સામે પોતાનો દાવો રજૂ કર્યો છે. શું આ લોકશાહીની જીત છે, કે પછી રાજકીય ખુરશી મેળવવા માટેનો એક વધુ એક સસ્તો ખેલ? અધ્યક્ષે આખા મામલામાં જે રીતે સંખ્યાબળના નામે નિર્ણય લીધો, તેણે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
સહીઓની જાળસાજીથી લઈને સીઆઈડીની તપાસ સુધીની ડ્રામેટિક સફર
આ આખો મામલો કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નથી. થોડા સમય પહેલા અભિષેક બેનર્જીએ શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા બનાવવા માટે અધ્યક્ષને પત્ર લખ્યો હતો, પરંતુ તે જ ક્ષણે પક્ષના જ ધારાસભ્યો ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ પત્રમાં સહીઓની જાળસાજીનો આરોપ લગાવી અધ્યક્ષને ફરિયાદ કરી દીધી. આટલું જ નહીં, મામલો એટલો ગરમાયો કે પશ્ચિમ બંગાળ સીઆઈડીએ અભિષેક બેનર્જી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધી તપાસ શરૂ કરી દીધી. આ ઘટનાક્રમ બાદ બંને ધારાસભ્યોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે તાત્કાલિક બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો. પરંતુ પક્ષમાંથી હાંકી કાઢ્યા બાદ પણ ઋતબ્રત જૂથે પોતાની શક્તિ પ્રદર્શિત કરી અને ૫૮ ધારાસભ્યોનું સમર્થન મેળવીને મુખ્ય વિપક્ષ તરીકે પોતાનો દાવો મજબૂત કરી લીધો. કાયદો અને વ્યવસ્થાના આટલા મોટા જંગ વચ્ચે સામાન્ય નાગરિક મુંઝવણમાં છે કે આખરે પાર્ટી કોની?
અધ્યક્ષની ભૂમિકા પર સવાલો
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ કૃષ્ણા રાવે અધ્યક્ષના નિર્ણયની ઝાટકણી કાઢતા પૂછ્યું કે જ્યારે રાજકીય પાર્ટીએ પોતાનો પ્રસ્તાવ પહેલા મોકલી દીધો હતો, ત્યારે તેને નજરઅંદાજ કેમ કરવામાં આવ્યો? અધ્યક્ષનો બચાવ એવો હતો કે તેમની સામે એક ‘અભૂતપૂર્વ’ સ્થિતિ હતી, કારણ કે ૮૦ માંથી ૫૮ ધારાસભ્યો રૂબરૂ તેમના નિવાસસ્થાને આવીને પોતાની તરફેણમાં દાવો રજૂ કરી ચૂક્યા હતા. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પાર્ટીના વડાના આદેશને માનવા બંધાયેલા છે કે પછી વ્યક્તિગત ધારાસભ્યોના ટોળાને? શોભનદેવ ચટ્ટોપાધ્યાયે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે અધ્યક્ષે જાણીજોઈને પાર્ટીના અધિકૃત સ્ટેન્ડને અવગણીને ધારાસભ્યોના એક બળવાખોર જૂથને પ્રોત્સાહન આપ્યું છે. શું અધ્યક્ષની આ ખુરશી હવે બંધારણીય ગરિમા જાળવવા માટે રહી છે કે પછી તે સત્તાના ખેલનું મેદાન બની ગઈ છે?
લોકશાહી કે તાનાશાહીની નવી પરિભાષા: ‘હું’ અને ‘અમે’ વચ્ચેનો જંગ
ઋતબ્રત બેનર્જીની પ્રેસ કોન્ફરન્સ સાંભળવા જેવી હતી. તેમણે કહ્યું કે, “અમારી ટીમ ‘હું’ માં નહીં, પણ ‘અમે’ માં વિશ્વાસ રાખે છે.” આ નિવેદન સીધું જ પક્ષના ટોચના નેતૃત્વ પર પ્રહાર કરે છે. એક તરફ મમતા બેનર્જી છે જેમને ઋતબ્રત કટાક્ષમાં પોતાના “મુખ્ય સલાહકાર” બનવા અપીલ કરે છે, અને બીજી તરફ બળવાખોર ધારાસભ્યોનું જૂથ છે જેણે વિધાનસભામાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. આ આખો મામલો એ સાબિત કરે છે કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની અંદર આંતરિક ગૂંગળામણ કેટલી હદે વધી ગઈ છે. જ્યારે પક્ષના પોતાના જ સભ્યો સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ એકબીજા સામે આરોપ લગાવતા હોય, ત્યારે રાજ્યની જનતાની સમસ્યાઓ કોણ ઉકેલશે? આ માત્ર ખુરશીની લડાઈ છે, જેમાં જનતાના કિંમતી મત અને સમયનો ભોગ લેવાય રહ્યો છે.
હાઈકોર્ટનો નિર્ણય અને ભવિષ્યની અનિશ્ચિતતા
અદાલતે વચગાળાની રાહત આપવાનો ઈનકાર કરીને મામલાને ત્રણ અઠવાડિયા સુધી લંબાવી દીધો છે, જેનો અર્થ છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં હવે લાંબો સમય સુધી આ રાજકીય ગરમાવો જળવાઈ રહેશે. તમામ પક્ષોને સોગંદનામું દાખલ કરવાના નિર્દેશ સાથે અદાલતે બોલ હવે બન્ને પક્ષોના પાળામાં મૂક્યો છે. એક તરફ ચટ્ટોપાધ્યાયની કાનૂની લડાઈ છે, તો બીજી તરફ ઋતબ્રતનું ૫૮ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ સંઘર્ષમાં વિધાનસભાની કાર્યવાહી કેટલા અંશે ખોરવાશે અને શાસન પર તેની શું અસર પડશે, તે જોવું રસપ્રદ રહેશે. અત્યાર સુધી જે પક્ષ એકચક્રી શાસન કરતો હતો, તે હવે અદાલતના દરવાજા ખટખટાવી રહ્યો છે, જે દર્શાવે છે કે સત્તાના ગઢમાં હવે તિરાડો પડી ચૂકી છે. આ લડાઈ માત્ર વિપક્ષના નેતા પદની નથી, પણ સત્તાના કેન્દ્રમાં રહેલા અહંકારના ટકરાવની છે.
આ પણ વાંચો:







