
Modi-Sukhbir Badal Meeting: પંજાબની રાજનીતિમાં ફરી એકવાર શિરોમણી અકાલી દળ (SAD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે સંભવિત ગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું છે. શુક્રવારે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષો વચ્ચે ફરીથી ચૂંટણીપૂર્વ ગઠબંધનની સંભાવનાઓ પર ચર્ચા થઈ હોવાનું રાજકીય સૂત્રોનું કહેવું છે. જોકે બેઠકમાં શું ચર્ચા થઈ તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
વર્ષો બાદ મોદી અને બાદલ વચ્ચે રૂબરૂ બેઠક
સુખબીર બાદલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઘણા વર્ષો બાદ રૂબરૂ મુલાકાત થઈ છે. અકાલી દળ અને BJP ત્રણ દાયકાથી વધુ સમય સુધી રાજકીય સહયોગી રહ્યા હતા. જોકે વર્ષ 2020માં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ સામે થયેલા ખેડૂતોના આંદોલન દરમિયાન અકાલી દળે NDA છોડતા બંને પક્ષો વચ્ચેનો લાંબો ગઠબંધન તૂટી ગયો હતો.
હરિયાણાના મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ બેઠકને મળ્યો વેગ
સૂત્રોના જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલાં સુખબીર બાદલે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે પણ મુલાકાત કરી હતી. તેમની સાથે અકાલી દળના વરિષ્ઠ નેતાઓ દલજીત સિંહ ચીમા અને બલવિંદર સિંહ ભુંડર પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પંજાબમાં BJP અને અકાલી દળ વચ્ચે સંભવિત ચૂંટણીપૂર્વ ગઠબંધન અંગે ચર્ચા થઈ હતી અને સૈનીને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ આ મુદ્દો BJPના કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ રજૂ કરે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદી અને સુખબીર બાદલ વચ્ચે મુલાકાત ગોઠવવામાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અમિત શાહે અગાઉ ગઠબંધનની શક્યતા નકારી હતી
આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોગામાં યોજાયેલી જાહેર સભામાં અકાલી દળ સાથે ફરી ગઠબંધન થવાની શક્યતાને જાહેરમાં નકારી કાઢી હતી. ત્યારબાદ ગયા મહિને જાલંધરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં અકાલી દળ સહિતના વિરોધ પક્ષો પર નિશાન સાધ્યું હતું. આ નિવેદનો બાદ રાજકીય વર્તુળોમાં માનવામાં આવતું હતું કે બંને પક્ષો ફરી સાથે આવશે તેવી શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
પંજાબ BJPનો દાવો: તમામ 117 બેઠકો પર એકલા ચૂંટણી લડશું
વડાપ્રધાન સાથેની બેઠક બાદ પંજાબ BJPના પ્રદેશ અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ વડાપ્રધાનને મળી શકે છે, પરંતુ હાલ ગઠબંધન અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને BJP એકલા ચૂંટણી લડવાની તૈયારીમાં છે.
BJPના કેટલાક નેતાઓ ગઠબંધનના પક્ષમાં
બીજી તરફ BJPના કેટલાક વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે અકાલી દળ સાથે ફરી ગઠબંધન થાય તો તેનો ચૂંટણીમાં લાભ મળી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ અગાઉ જાહેરમાં કહી ચૂક્યા છે કે બંને પક્ષો સાથે આવે તો પંજાબમાં ચૂંટણી પરિણામો પર સકારાત્મક અસર થઈ શકે છે.
તાજેતરમાં પંજાબ પ્રવાસે આવેલા BJPના પ્રદેશ પ્રભારી નિતિન નવીને પણ જણાવ્યું હતું કે ગઠબંધન અંગેનો અંતિમ નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.
જૂનું બેઠક વહેંચણીનું સમીકરણ હવે બદલાઈ શકે
અકાલી દળ અને BJP વચ્ચે અગાઉ બેઠકોની વહેંચણીમાં અકાલી દળની સ્થિતિ વધુ મજબૂત હતી. 13 લોકસભા બેઠકોમાંથી અકાલી દળ 10 બેઠકો પર અને BJP 3 બેઠકો પર ચૂંટણી લડતી હતી. જ્યારે 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં અકાલી દળ 94 બેઠકો પર અને BJP 23 બેઠકો પર ઉમેદવારો ઉતારતી હતી.
પરંતુ વર્ષ 2021માં બંને પક્ષો અલગ થયા બાદ 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી બંનેએ અલગ-અલગ લડી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં અકાલી દળે 3 બેઠકો અને BJPએ 2 બેઠકો જીતી હતી. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં BJP એકપણ બેઠક જીતી શકી નહોતી અને અકાલી દળ માત્ર 1 બેઠક જીતવામાં સફળ રહ્યો હતો.
નવી બેઠક વહેંચણીમાં BJP વધુ હિસ્સો માંગે તેવી શક્યતા
BJPના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યનું નેતૃત્વ ગઠબંધનના મુદ્દે એકમત નથી, પરંતુ મોટાભાગના નેતાઓનું માનવું છે કે જો ગઠબંધન થાય તો BJP હવે નાની સહયોગી પાર્ટી તરીકે ચૂંટણી લડશે નહીં. પાર્ટી અગાઉની સરખામણીએ વધુ અથવા સમાન સંખ્યામાં બેઠકોની માંગ કરી શકે છે.
બીજી તરફ અકાલી દળના સૂત્રોનું કહેવું છે કે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા ત્યારે જ આગળ વધશે જ્યારે વડાપ્રધાન સ્તરે ગઠબંધન અંગે સિદ્ધાંતરૂપે સહમતિ મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉમેદવારોની જીતવાની સંભાવના આધારે બેઠકો નક્કી કરવામાં આવશે અને અકાલી દળ વિધાનસભા ચૂંટણી માટે BJPને આશરે 35 બેઠકો આપવા તૈયાર હોવાનું માનવામાં આવે છે.
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કટાક્ષ કર્યો. તેમણે એક જૂના હિન્દી ફિલ્મ ગીતની પંક્તિનો ઉલ્લેખ કરતાં લખ્યું, “ના ના કરતા પ્રેમ તમારાથી જ થઈ ગયો…” ત્યારબાદ તેમણે વધુમાં લખ્યું કે, “તો શું ચંદા ચોર પાર્ટી અને બેઅદબી પાર્ટીનું ગઠબંધન થઈ રહ્યું છે?”
ना ना करते प्यार तुम्ही से कर बैठे।
तो क्या चन्दा चोर पार्टी और बेअदबी पार्टी का गठबंधन हो रहा है?
Sukhbir Singh Badal meets PM Modi at Parliament House; key discussions underway | Punjab – PTC News https://t.co/xlpm2l5UZ8
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 7, 2026
પંજાબની રાજનીતિ પર સૌની નજર
સુખબીર બાદલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાતે પંજાબની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. સત્તાવાર રીતે કોઈ નિર્ણય જાહેર થયો નથી, પરંતુ બેઠક બાદ ફરી એકવાર અકાલી દળ અને BJP વચ્ચે સંભવિત ગઠબંધનની અટકળો તેજ બની છે. હવે બંને પક્ષો આગામી સમયમાં શું નિર્ણય લે છે અને પંજાબની ચૂંટણીમાં કઈ વ્યૂહરચના અપનાવે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.







