
All India Chemists Strike: ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન (AICDF) દ્વારા દવાઓના ઓનલાઇન વેચાણ સામે એક મોટું અને નિર્ણાયક એલાન કરવામાં આવ્યું છે. સંગઠને આગામી 20મી તારીખે દેશવ્યાપી હડતાળ (Nationwide Strike) પાડવાનો મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં દેશભરના 12 લાખથી વધુ કેમિસ્ટ્સ જોડાશે. આ દિવસે તમામ રિટેલ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે, જેના કારણે પરંપરાગત વેપારને થતા નુકસાન સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. જોકે, આ બંધના કારણે દેશભરના દર્દીઓને જરૂરી દવાઓ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
ઓનલાઇન પ્લેટફોર્મ પર નશાકારક અને ડુપ્લિકેટ દવાઓના વેચાણનો ગંભીર આક્ષેપ
એસોસિએશનના અગ્રણી જસુ પટેલે ઓનલાઇન દવા વેચતી કંપનીઓ પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે આ પ્લેટફોર્મ્સ પર નશાકારક દવાઓનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું છે. કોડિંગ સિરપ, આલ્ફાજોલમ અને ટ્રામાડોલ જેવી નશાકારક દવાઓ ઓનલાઇન માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે, જે દેશના યુવાધનને નશાના માર્ગે ધકેલી રહી છે. નાઈટ્રાજેપમ અને ડાયાજેપામ જેવી દવાઓના વેચાણ પર ઓનલાઇન કોઈ કંટ્રોલ નથી, સાથોસાથ ડુપ્લિકેટ દવાઓના વેચાણને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની ઉદાસીનતા સામે કેમિસ્ટ્સમાં ફેલાયેલો ભારે રોષ
કેમિસ્ટ્સ સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારને આ બાબતે અગાઉ અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. જસુ પટેલના જણાવ્યા મુજબ, સરકાર કેમિસ્ટ્સના પ્રશ્નો અને તેમની વાજબી માંગણીઓ પર ધ્યાન આપતી નથી, જેના કારણે સંગઠને આ આકરું પગલું ભરવાની ફરજ પડી છે. ઓનલાઇન ફાર્મસી માટેના નિયમો અત્યંત શિથિલ હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે, તેથી સરકાર પાસે આ ક્ષેત્રમાં કડક નિયમો લાગુ કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે.
યુવા પેઢીના ભવિષ્યને બચાવવા કાયદાકીય માળખું મજબૂત કરવાની માંગ
નશાકારક દવાઓના દુરુપયોગને અટકાવવા માટે કાયદાકીય માળખું વધુ મજબૂત બનાવવું અનિવાર્ય બન્યું છે. ક્લોનોઝીપ્રમ જેવી ગંભીર અસરો કરતી દવાઓ હવે ડિજિટલ માધ્યમો દ્વારા સીધી ઘર સુધી પહોંચી રહી છે, જે ભવિષ્યમાં યુવા પેઢી માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. કેમિસ્ટ્સ એસોસિએશન ડુપ્લિકેટ અને નકલી દવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યું છે. જો સરકાર આ મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ નહીં લાવે, તો આગામી સમયમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો:









