
રાજ્યમાં દિવસને દિવસે પ્રાણીઓના હુમલાઓ વધી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રાણીઓના હમલાઓમાં વધારો થયો છે. અમરેલીના ખાંભામાં એક દિપડાએ 10 વર્ષિય બાળકને ફાંડી ખાધો છે. જ્યારે રાજકોટના જામકંડોરણામાં કુતરાએ હુમલો કરતાં 7 વર્ષીય બાળકનું મોત થયું છે. ગુજરાતમાં એક સાથે બે સ્થળોએ પ્રાણીઓએ બાળકોને મોતના મુખમાં ધકેલી દેતાં લોકમાં ભયની સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે.
500 મીટર દૂરથી ફાડી ખાધેલી હાલમાં મળ્યો મૃતદેહ
અમરેલીમાં બનેલી દુઃખદ ઘટનાની વાત કરવામાં આવે તો ખાંભાના પચપચીયા ગામની સીમ વિસ્તારમાં ગત મોડી રાત્રે 10 વર્ષના બાળકને દીપડાએ હુમલો કર્યો હતો. ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સૂઈ રહેલા મયુર સોરઠીયા નામના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. ઝાડી વિસ્તારમાં બાળકને ખેંચી જતાં ભારે જહેમત બાદ બાળકને છોડવ્યો હતો. બાળકનો મૃતદેહ તેના ઘરેથી 500 મીટર દૂરથી ફાડી ખાધેલી હાલમાં મળી આવ્યો હતો. દીપડાના આ હુમલા બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
બાળકના અંગો છૂટા મળી આવ્યા
દિપડાએ બાળકીને ઢસડી ગયા બાદ શરીરના અંગોને ફાડી ખાધા હતા. વન વિભાગની ટીમને બાળકના મૃતદેહના અલગ અલગ અંગે મળી આવ્યા હતા. હાથ, પગ સહિતના અલગ અલગ મળી આવ્યા હતા. બાળકના મૃતદેહને પીએમ અર્થ ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને 4 પાંજરા મૂકવામાં આવ્યા હતા.
રાજકોટમાં કુતરાએ અસંખ્ય બચકા ભરી લેતા બાળકનું મોત
બીજી તરફ રાજકોટમાં મનપાની ખસીકરણની નીતિ વાતો વચ્ચે એક શ્વાસને 7 વર્ષિય બાળક પર હુમલો કરતાં તેનું મોત થયું છે. રાજકોટના જામકંડોરણા તાલુકાના ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને રવિ નામના બાળકને અસંખ્ય બચકાં ભરી લેતા મોતને ભેટ્યો છે. બાળક કુદરતી હાજતે ગયો હતો ત્યારે કુતરાએ બાળક પર ત્રાટકી બચકાં ફરી લીધાં હતાં. પરિવારજનો અને સ્થાનિકોને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા અને હોસ્પિટલમાં બાળકને ખસેડવાની તૈયારી ચાલી રહી હતી. તે જ સમયે બાળકે દમ તોડી દીધો. 7 વર્ષિય બાળકનું મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.
રાજકોટમાં દર વર્ષે શ્વાન ખસીકરણ માટે થાય છે લાખોનો ખર્ચ
રાજકોટમાં રખડતાં શ્વાનોના ખસીકરણ પાછળ દર વર્ષે લાખોનો ખર્ચ થાય છે. વર્ષ 2016-17માં 76.44 લાખ રૂપિયા, વર્ષ 2017-18માં 57.15 લાખ રૂપિયા, વર્ષ 2018-19માં 72.98 લાખ રૂપિયા, વર્ષ 2019-20માં 103.76 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. રાજકોટ મનપા એક શ્વાનના ખસીકરણ માટે 185 રૂપિયા ખર્ચ કરે છે. તેમ છતાં શહેરમાં લોકો કુતરાઓના હુમલોઓથી સુરક્ષિત નથી.