
AI Effect: નવા જમાનામાં હવે AI ના આગમનને લઈ માનવ નોકરીઓ સામે ખતરો ઉભો થયો છે અને તેની અસરો હવે વ્યાપક બની રહી છે, એઆઈની અસર હેઠળ વર્ષ 2025માં વૈશ્વિક ધોરણે 55000થી વધુ કર્મચારીઓને નોકરીથી હાથ ધોવા પડ્યા છે અને તેમાં એમેઝોન, માઈક્રોસોફ્ટ, યુપીએસ, પિન્ટરેસ્ટ, આઈબીએમ, મેટા, ઈન્ટેલ જેવી કંપનીઓએ મોટાપાયે કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દીધા છે. ત્યારે હવે ભારતીય હોમ ઇન્ટીરિયર પ્લેટફોર્મ લિવસ્પેસએ પણ AI અપનાવી 1000 જેટલા કર્મચારીઓને છુટા કરી દીધા છે. કંપનીના કો-ફાઉન્ડર સૌરભ જૈનને પણ ઘરભેગા કરી દેવાયા છે કારણ કે હવે કંપનીને તેમની જરૂર નથી.
મહત્વનું છે કે લિવસ્પેસમાં છેલ્લા છ મહિનાથી તબક્કાવાર રીતે કર્મચારીઓને છુટા કરવામાં આવી રહયા હતા,જેમાં, ડિઝાઇન, સેલ્સ, ઓપરેશન્સ અને માર્કેટિંગ સહિતના અનેક વિભાગોમાં AI કાર્યરત કરી દેવાતા અને તેના સકારાત્મક પરિણામો મળતા કર્મચારીઓની જરૂર રહી નથી,નોંધનીય છે કે લિવસ્પેસમાં AIની એન્ટ્રી પહેલા લગભગ 8000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા.
કંપનીના જણાવ્યા મુજબ કંપનીમાં કર્મચારીઓ ઘટાડવાનું મુખ્ય કારણ ખર્ચ ઘટાડા માટે નહીં પરંતુ કંપનીના લાંબા ગાળાના વિકાસ અને કાર્યક્ષમતા વધારવા માટે લેવામાં આવ્યું છે. લિવસ્પેસમાં અનેક કામ ઓટોમેશન અને એઆઈ સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યા છે પરિણામે માણસોની જરૂર નથી મશીન બધુજ મેનેજ કરે છે તેથી પગાર આપવાનો રહેતો નથી અને મોટો ખર્ચ બચી જાય છે.
એઆઈના ઉપયોગથી કંપનીમાં ડિઝાઈન આધારિત ૩-ડી વિઝયુલાઈઝેશનનો સમય બચી રહ્યો છે, સેલ્સમાં વોઈસ બોટની સાથે ઓટોમેટેડ લીડ મેનેજમેન્ટનો ઉપયોગ, ઓપરેશન્સમાં પ્રોજેક્ટ ટ્રેકિંગ અને સપ્લાય ચેઇન માટે પ્રિડિક્ટિવ એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીનું કહેવું છે કે નવા મોડલથી ગ્રાહકોને વધુ ઝડપી અને ગુણવત્તાસભર સેવાઓ મળે છે.
લિવસ્પેસમાં વર્કરોની છટણી વચ્ચે તેના નાણાકીય પરિણામોએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. 2025ના નાણાકીય વર્ષમાં કંપનીની આવક રૂપિયા 1460 કરોડ હતી જે એઆઈ લગાવ્યા બાદ આવકમાં વધારો થયો છે.
જાણકારોના મતે, લિવસ્પેસનો નિર્ણય વૈશ્વિક સ્તરે વધી રહેલા ટ્રેન્ડનો એક ભાગ છે. જેમાં, કંપનીઓ કાર્યક્ષમતા વધારવા માટે એઆઈ અને ઓટોમેશનનો ઉપયોગ કરી રહી છે પરિણામે તેનું બીજું પાસું એ પણ છે કે ટેલેન્ટ હોવાછતાં યુવાનો મોટાપાયે નોકરી ગુમાવી રહયા છે અને લાખ્ખો રૂપિયા ખર્ચીને મેળવેલું શિક્ષણ હવે બદલાયેલા યુગમાં ‘જીરો’ સાબિત થઈ રહ્યું છે જો તમામ ક્ષેત્રે AI આવી જશે તો મોટા પાયે રોજગારીનું સંકટ ઉભું થશે અને ખૂબજ મોંઘા થઈ ગયેલા ખર્ચાળ શિક્ષણ અને ડીગ્રી માત્ર ફાઈલોમાં રહી જશે.









