
Asaduddin Owaisi SIR: દેશની જનતાને લોકશાહીમાં મળેલા સૌથી મોટા અધિકાર એટલે કે ‘વોટ આપવાના અધિકાર’ પર સત્તાધીશો દ્વારા તરાપ મારવાનો વધુ એક મોટો કારસો બેનકાબ થયો છે. AIMIM ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ના નામે દેશભરમાં મોટા પાયે ગરીબ અને વંચિત લોકોને વોટર લિસ્ટમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. કેન્દ્ર સરકારની આ નીતિઓ પર આકરા પ્રહારો કરતા ઓવૈસીએ ચેતવણી આપી છે કે શાસકોના આવા મનસ્વી નિર્ણયોના કારણે દેશમાં ટૂંક સમયમાં ‘બહાર કરવામાં આવેલા ભારતીયોની એક કાયમી જમાત’ ઊભી થઈ જશે, જેમના અવાજને કાયમ માટે દબાવી દેવામાં આવશે.
૬.૫ કરોડ નાગરિકોના નામ કાપીને દેશનિકાલની સરકારી બ્લુપ્રિન્ટ
સરકાર કઈ રીતે કાગળોના જોરે કરોડો અસલી ભારતીયોને પોતાના જ દેશમાં પરાયા બનાવી રહી છે, તેનો કાચો ચિઠ્ઠો ઓવૈસીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ દ્વારા રજૂ કર્યો છે. તેમણે સત્તાવાર આંકડા ટાંકીને ખુલાસો કર્યો છે કે કેન્દ્ર સરકારે પહેલા દસ્તાવેજો ચકાસવાના બહાને SIR પ્રક્રિયા હાથ ધરી, જેમાં દેશના ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વોટર લિસ્ટમાંથી આશરે ૬.૫ કરોડ લોકોના નામ રાતોરાત કાપી નાખવામાં આવ્યા. હવે સરકાર આટલેથી જ નથી અટકી, તે એક ખાસ કમિટી બનાવવા ઈચ્છે છે જે આ યાદીમાંથી બહાર થયેલા લોકોની તપાસના નામે તેમને કસ્ટડીમાં લેવા અને ગેરકાયદેસર પ્રવાસીઓ ગણાવીને દેશનિકાલ કરવા માટેની એક કાયમી અને ક્રૂર સિસ્ટમ તૈયાર કરી શકે.
ગરીબોને સરકારી યોજનાઓ અને હકમાંથી વંચિત કરવાનું ષડયંત્ર
એન્ટી-એસ્ટાબ્લીશમેન્ટ અવાજ બુલંદ કરતા ઓવૈસીએ જણાવ્યું કે, આ SIR પ્રક્રિયાનો અસલી હેતુ ભારતના જ ગરીબ નાગરિકોનો એક એવો કાયમી શુદ્ર વર્ગ બનાવવાનો છે જે ક્યારેય સરકાર સામે માથું ન ઊંચકી શકે. લોકશાહીમાં શક્તિશાળી અને ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ વોટ આપવો એ જ ગરીબ અને સામાન્ય જનતાનું એકમાત્ર અમોઘ હથિયાર છે. જો જનતા પાસેથી આ હથિયાર જ છીનવી લેવામાં આવશે, તો સરમુખત્યાર સરકાર સામાન્ય લોકો સાથે એવું વર્તન કરશે જે તેને મનફાવે. આ સરકારી દમનનો દોર અત્યારથી જ શરૂ થઈ ચૂક્યો છે, જ્યાં કરોડો લોકોને વોટર લિસ્ટમાંથી હટાવીને સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
મુસ્લિમો, મહિલાઓ અને ગરીબોને ટાર્ગેટ કરવાનો દમનકારી ખેલ
આ આખી પ્રક્રિયા પાછળ શાસક પક્ષની વિભાજનકારી રાજનીતિ જવાબદાર હોવાનો સીધો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ઓવૈસીના મતે, આ બધું માત્ર ‘મુસ્લિમો વિરૂદ્ધ દેશમાં ડર અને ભ્રમનું વાતાવરણ’ સતત બનાવી રાખવા માટે જ કરવામાં આવી રહ્યું છે. કાયદાકીય જોગવાઈઓનો હવાલો આપીને તેમણે સ્પષ્ટ કર્યું કે, SIR ના માધ્યમથી વોટર લિસ્ટમાંથી નામ કપાવાનો અર્થ એ કદાપિ નથી થતો કે તે વ્યક્તિ ભારતની નાગરિક નથી. પરંતુ સરકાર જનતાને ભ્રમિત રાખવા માંગે છે જેથી અસલી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવી શકાય.
ચૂંટણી પંચના મૌન વચ્ચે ૨૭ લાખ લોકો પર લટકતી તલવાર
વોટર લિસ્ટના આ આખા મામલામાં સ્વાયત્ત સંસ્થાઓની લાચારી પણ સામે આવી છે. દેશમાં હજુ પણ ૨૭ લાખ લોકો એવા છે જેમની નાગરિકતા અને નામની તપાસ ચાલી રહી છે અને તેમના પર લટકતી તલવાર છે. જો કે, આ લોકો ફરીથી ફોર્મ ૬ ના માધ્યમથી વોટર લિસ્ટમાં જોડાવા માટે અરજી કરી શકે છે, પરંતુ પ્રક્રિયા એટલી જટિલ છે કે સામાન્ય માણસ કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે દેશના ચૂંટણી પંચે પોતે આજ સુધી એવા કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી, જે સાબિત કરે કે હટાવવામાં આવેલા લોકોમાંથી કેટલા લોકોને વિદેશી હોવાના કારણે બહાર કરાયા છે. ઉપલબ્ધ ડેટા સ્પષ્ટ દર્શાવે છે કે આ સરકારી કાતરનો ભોગ બનનારાઓમાં મોટાભાગના મુસ્લિમો, મહિલાઓ, ગરીબો અને સ્થળાંતર કરનારા પ્રવાસી મજૂરો જ છે.
ડેમોગ્રાફી સ્થિર હોવા છતાં કમિટીના નામે લઘુમતીઓમાં ભયનો માહોલ
જ્યારે દેશના આંકડા જ સરકારના દાવાઓની પોલ ખોલતા હોય ત્યારે શાસકોની દાનત સામે સવાલો ઉભા થવા સ્વાભાવિક છે. સરકારના પોતાના સત્તાવાર આંકડાઓ જ સાક્ષી પૂરે છે કે ભારતની ડેમોગ્રાફી અને પોપ્યુલેશન (વસ્તી) હવે સંપૂર્ણપણે સ્થિર થઈ ચૂક્યા છે અને દેશનો ટોટલ ફર્ટિલિટી રેટ (TFR) ઘટીને ૨.૦ પર આવી ગયો છે. ઓવૈસીએ વેધક સવાલ પૂછ્યો છે કે, જ્યારે દેશમાં વસ્તીનો કોઈ વિસ્ફોટ નથી અને સ્થિતિ સ્થિર છે, ત્યારે સરકારને આવી ડરામણી કમિટીઓની શું જરૂર છે? આનો એક જ જવાબ છે—જેથી દેશમાં મુસ્લિમો વિરુદ્ધ સતત નફરત, ભ્રમ અને ભયનો માહોલ જીવતો રાખીને સત્તાનું રાજકારણ રમી શકાય.
એક પરીક્ષા સરખી ન કરાવી શકતી સરકાર નાગરિકોની તપાસ કરવા નીકળી
આ સરકારી તંત્રની નાકામીઓ પર આકરો કટાક્ષ કરતા સાંસદે કહ્યું કે, આ સરકારને આખો દેશ લાઈનોમાં ઉભો રહે અને ભારતના નાગરિકો માત્ર પોતાના દસ્તાવેજો સાબિત કરવામાં જ પોતાનો કિંમતી સમય અને આખી જિંદગી બગાડે તે ખૂબ ગમે છે. વરવી વાસ્તવિકતા એ છે કે જે સરકાર દેશના યુવાનો માટે એક નાની પરીક્ષા પણ સરખી રીતે અને ગેરરીતિ વગર આયોજિત કરાવી શકતી નથી, તે સરકાર આજે સામાન્ય અને નિર્દોષ લોકોની દેશભક્તિ અને નાગરિકતાની તપાસ કરવા નીકળી પડી છે! અફસોસની વાત એ છે કે સામાન્ય જનતાની તપાસ આ ભ્રષ્ટ સિસ્ટમ દ્વારા વારંવાર થાય છે, પરંતુ દેશના નાગરિકો દ્વારા આ જનવિરોધી સરકારની તપાસ કે ઓડિટ કરવાની કોઈ સિસ્ટમ આ લોકશાહીમાં બચી નથી.
આ પણ વાંચો:







