
Telangana Government Challenges: તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસ એટલે કે ૨ જૂન ૨૦૨૬ના રોજ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે પોતાના શાસનનો અડધો કાર્યકાળ પૂરો કરી લીધો છે. પરંતુ સત્તાના આ ગાળા પછી પણ તેલંગાણાની જનતામાં કોઈ મોટો ઉત્સાહ દેખાતો નથી. ૨૦૨૩ની ચૂંટણી વખતે સત્તા મેળવવા માટે કોંગ્રેસે જે ‘છ ગેરંટી’ ના લોભામણા વચનો આપ્યા હતા, તેમાંથી મોટાભાગના વચનો હજુ કાગળ પર અથવા માત્ર આંશિક રીતે જ અમલમાં આવ્યા છે. હવે મુખ્યમંત્રી અને તેમના ૧૫ સભ્યોના મંત્રીમંડળ પાસે માત્ર ૩૦ મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. મહિલાઓ માટે મફત બસ સેવા અને સામાજિક સર્વે જેવા ગણતરીના કામોને બાદ કરતાં જનતાને હજુ પણ તેના અસલી હક અને વચનો પૂરા થવાની આશા છે, જે સરકારી આળસના કારણે લટકેલા છે.
જાતિ વસ્તી ગણતરીનો ‘એક્સ-રે’ અને મોડલ સ્ટેટ બનાવવાનો પોકળ દાવો
રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી જે જાતિ વસ્તી ગણતરીને સમાજનો ‘એક્સ-રે’ કહીને દેશભરમાં રાજકીય રોટલા શેકી રહ્યા છે, તેનો તેલંગાણામાં સામાજિક-આર્થિક, શૈક્ષણિક અને રાજકીય સર્વે (SEEEPC) તરીકે ઉપયોગ કરાયો છે. કોંગ્રેસ એવો દાવો કરે છે કે આ સર્વેના આધારે તેઓ પછાત વર્ગો માટે કલ્યાણકારી નીતિઓનું એવું મોડલ બનાવશે જે કર્ણાટક જેવા રાજ્યો માટે ઉદાહરણ બનશે અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીનો મોટો રાજકીય આધાર બનશે. પરંતુ જમીની હકીકત એ છે કે સર્વેના બહાને માત્ર સમય બગાડવામાં આવી રહ્યો છે જેથી મૂળ કલ્યાણકારી વચનોમાંથી જનતાનું ધ્યાન ભટકાવી શકાય અને યોજનાઓ લાગુ કરવામાં વિલંબ કરી શકાય.
મંત્રીમંડળમાં આંતરિક અસંતોષ અને શાસન ચલાવવામાં નબળી પકડ
રેવંત રેડ્ડીની વ્યક્તિગત રાજકીય સફળતા એ ગણાવવામાં આવે છે કે તેમણે પક્ષના એવા વરિષ્ઠ નેતાઓને કાબૂમાં રાખ્યા જેમણે ૨૦૧૭માં તેમના કોંગ્રેસમાં આવ્યા પછી વિરોધ કર્યો હતો. પરંતુ સરકારની અંદર બધું બરાબર નથી. ડેપ્યુટી સીએમ, ઉદ્યોગ મંત્રી અને સિંચાઈ મંત્રી જેવા દિગ્ગજો અલગ-અલગ રાજકીય પૃષ્ઠભૂમિ અને વિચારધારા ધરાવે છે. વરિષ્ઠ અધિકારીઓ પણ સ્વીકારે છે કે સીએમ તરીકે રેવંત રેડ્ડીનું પહેલું આખું વર્ષ વહીવટની આંટીઘૂંટીઓ શીખવામાં અને પોતાની ખુરશી બચાવવામાં જ વીતી ગયું, જેના કારણે રાજ્યના વિકાસ કાર્યો સંપૂર્ણપણે રૂંધાઈ ગયા છે.
‘પ્રજા પાલના’ ના નામે સરકારી પીઆર સ્ટન્ટ અને ચંદ્રબાબુ નાયડુની નકલ
કોંગ્રેસ સરકાર સામે યોજનાઓ પૂરી ન કરવા બદલ ચોતરફથી આલોચનાઓ થઈ રહી છે. આ છબી સુધારવા માટે સરકારે ‘પ્રજા પાલના’ (અભયહસ્તમ) અને ‘૯૯-દિવસીય પ્રગતિ પ્રાણાલિકા’ જેવા લોકસંપર્કના નામે મોટા સરકારી તાયફા અને પીઆર સ્ટન્ટ શરૂ કર્યા છે. આ પ્લેટફોર્મ પર લોકોની ફરિયાદો તો લેવાય છે, પણ તેનો નિકાલ થતો નથી. રાજકીય વિશ્લેષકો સ્પષ્ટ જોઈ રહ્યા છે કે રેવંત રેડ્ડી જનતાના પ્રશ્નો ઉકેલવાને બદલે પોતાના રાજકીય ગુરુ અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુની હાઈ-ટેક શૈલીની માત્ર નકલ કરી રહ્યા છે. વળી, કેન્દ્ર સરકાર સાથે કોઈ પણ ભોગે ઘર્ષણ ટાળવાની તેમની નીતિ કોંગ્રેસના મૂળ સિદ્ધાંતો સામે પણ સવાલો ઊભા કરે છે.
વારસામાં દેવાનું બહાનું અને લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટ્સ અધ્ધરતાલ
સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે અવારનવાર આર્થિક તંગીનું બહાનું આગળ ધરે છે. કોંગ્રેસનું કહેવું છે કે ડિસેમ્બર ૨૦૨૩માં જ્યારે તેઓ સત્તા પર આવ્યા ત્યારે અગાઉની BRS સરકાર તરફથી તેમને આશરે ૩.૫૦ લાખ કરોડ રૂપિયાનું દેવું વારસામાં મળ્યું હતું, જે RBI અને CAG ના મતે ગેરંટીઓ સાથે ૩.૮૯ લાખ કરોડ રૂપિયા થાય છે. આ નબળી આર્થિક સ્થિતિના કારણે પાલમુરુ-રંગારેડ્ડી, પ્રાણહિતા-ચેવેલા અને સીતા રામ લિફ્ટ સિંચાઈ જેવા આશરે ૧ લાખ કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ્સ અધ્ધરતાલ લટકેલા છે અને તેના અલગ-અલગ તબક્કાઓ માત્ર કાગળ પર જ આગળ વધી રહ્યા છે.
સબસિડી ગાયબ: મોંઘા સિલિન્ડરે ગરીબ મહિલાઓનું બજેટ ખોરવ્યું
સરકારની આર્થિક લાચારીના કારણે ૨૦૦ યુનિટ મફત વીજળી, વરિષ્ઠ નાગરિકો માટે ૪,૦૦૦ રૂપિયાનું પેન્શન (ચેયુથા) અને ગરીબો માટે ઇન્દિરમ્મા ઇલ્લુ (મકાન) જેવી યોજનાઓ માત્ર હપ્તાવાર કે નામપૂરતી જ ચાલે છે. સૌથી ખરાબ હાલત ‘મહાલક્ષ્મી યોજના’ ની થઈ છે, જેમાં સફેદ રેશનકાર્ડ ધારક મહિલાઓને ૫૦૦ રૂપિયામાં LPG સિલિન્ડર આપવાનું વચન હતું. પશ્ચિમ એશિયાના યુદ્ધ અને સિલિન્ડરની અછતના બહાના હેઠળ સબસિડીની રકમ સમયસર લાભાર્થીઓના ખાતામાં DBT દ્વારા પહોંચતી જ નથી. પરિણામે ગરીબ પરિવારોએ પહેલા ઘરના પૈસા કાઢીને મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવો પડે છે, જે સરકારી દગા સમાન છે. બીજી તરફ યુવાનો માટેની રાજીવ યુવા વિકાસમ લોન યોજના અને ૧૧૯ સંકલિત શાળાઓ બનાવવાનો પ્રોજેક્ટ પણ કાચબા ગતિએ ચાલી રહ્યો છે.
મેગા પ્રોજેક્ટ્સ ઠપ્પ અને હૈદરાબાદ સિવાયના શહેરો સાથે અન્યાય
રેવંત રેડ્ડી સામે આગામી અઢી વર્ષમાં સૌથી મોટો પડકાર ભારત ફ્યુચર સિટી (BFC), મુસી નદી પુનર્જીવન, મેટ્રો રેલ ફેઝ-૨ અને રીજનલ રિંગ રોડ (RRR) જેવા અબજો રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ફંડ લાવવાનો છે, જેના માટે સરકારી તિજોરી તળિયાઝાટક છે. આ ઉપરાંત વારંગલ, કરીમનગર, ખમ્મમ અને નિઝામાબાદ જેવા ટિયર-૨ શહેરોનો વિકાસ સદંતર રૂંધાઈ ગયો છે. સરકારે બધો આર્થિક વિકાસ માત્ર હૈદરાબાદ પૂરતો મર્યાદિત રાખ્યો છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાંથી સ્થળાંતર વધી રહ્યું છે અને દલિતો, આદિવાસીઓ કે OBC વર્ગને પોતાના જિલ્લા મથકોમાં કોઈ આર્થિક તક મળી રહી નથી.
લઘુમતીઓ સાથે દગો અને સરકારી નોકરીઓની રાહ જોતા બેરોજગાર યુવાનો
ચૂંટણીમાં જે લઘુમતી સમુદાયે BRS થી અંતર બનાવીને કોંગ્રેસને એકતરફી મતદાન કર્યું હતું, તે સમુદાય આજે પોતાની જાતને ઠગાયેલી અનુભવે છે. પંચાયતો, નગરપાલિકાઓ અને સરકારી બોર્ડ-નિગમોમાં લઘુમતીઓને પૂરતું પ્રતિનિધિત્વ ન મળતા ભારે આક્રોશ છે. સૌથી મોટો પ્રહાર બેરોજગાર યુવાનો પર થયો છે. કોંગ્રેસે સત્તા પર આવતા જ ૨ લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, જેમાંથી ૬૦,૦૦૦ થી વધુ ઉમેદવારો આજે પણ તમામ પરીક્ષાઓ પાસ કરીને માત્ર સરકારી ઓર્ડર અને ભરતીની રાહ જોઈને રસ્તા પર બેઠા છે. આ જનઆક્રોશનો લાભ લઈને હવે ભાજપ (BJP) અને BRS સરકારની આંતરિક જૂથબંધી અને નિષ્ફળતાઓને ખુલ્લી પાડીને જનતાની વચ્ચે જઈ રહ્યા છે, જે રેવંત રેડ્ડીની ખુરશી માટે આગામી દિવસોમાં મોટો ખતરો સાબિત થશે.
આ પણ વાંચો:
Gujarat Jyotigram Scheme Reality: મોદીએ ફાંકા માર્યા તે ન થયું, જનતા પર ઝૂલમ – thegujaratreport.com







