
● એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા ઉડાન ભરી ત્યારે મિનિટોમાંજ ક્રેશ થઈ ગયું હતું જેની તપાસનો FAS દ્વારા અમેરિકન સંસદમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં વિમાન પહેલેથીજ ખોટકાયેલું હોવાનું અને વારંવાર બગડતું હોવાથી રીપેરીંગની જરૂરિયાત વાળું હોવાનું ચોંકાવનારું કારણ રજૂ કરાયું છે.
FAS Report: અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ તૂટી પડેલા એર ઈન્ડિયા વિમાન અકસ્માત મામલે અમેરિકાના ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS)નો રિપોર્ટ આખરે આવી ગયો છે જેમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે બોઈંગ 787 વિમાન તૂટી પડ્યું તે પહેલાં પણ ઘણી વખત ગંભીર પ્રકારની ટેકનિકલ ખામીઓનો સામનો કરી ચૂક્યું હતુ પણ તેની સામે ધ્યાન અપાયું નહિ હોય અને વારંવાર માત્ર ઉપયોગમાં લેવામાં આવ્યું હોવાથી તે આખરે ક્રેશ થઈ ગયું હતું.
અમેરિકાની સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં અમદાવાદમાં તૂટી પડેલાબોઈંગ 787 વિમાન અંગેના આ પ્રકારના ગંભીર કારણો રજૂ કરવામાં આવતા હવે એર ઇન્ડિયાની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.
વિગતો મુજબ ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) દ્વારા ગત.તા. 12 જાન્યુઆરી, 2026ના રોજ અમેરિકન સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ મુજબ, FASએ પોતાની તપાસમાં એ શોધી કાઢ્યું કે આ વિમાન જ્યારથી એર ઈન્ડિયાનો હિસ્સો બન્યુ ત્યારથી વિમાનમાં સતત ટેકનિકલ ખામીઓ આવી રહી હતી, જેની સામે ગંભીરતા દાખવવામાં આવી ન હતી.
FAS જે રીતે દાવો કર્યો છે તે મુજબ દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં એન્જિનિયરિંગ, ગુણવત્તા અને જાળવણીમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી તે ઉપરાંત ઈલેક્ટ્રોનિક, સોફ્ટવેર, વારંવાર સર્કિટ બ્રેકર્સનું ટ્રીપ થવું, ખરાબ વાયરિંગ, શોર્ટ સર્કિટ, વીજળી પુરવઠામાં ઘટાડો અને પાવર સિસ્ટમ ગરમ થવા જેવી અનેક સમસ્યાઓ જોવા મળી છે.
બીજી તરફ FASના રીપોર્ટ બાદ બોઈંગના પ્રવક્તાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે, “અમે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનામાં AAIB (વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો)નો જે પણ નિર્ણય હશે, અમે તેનું પાલન કરીશું.” જોકે, હજુસુધી એર ઈન્ડિયાની સમગ્ર મામલે કોઈપણ પ્રતિક્રિયા સામે આવી નથી.
મહત્વનું છે કે અગાઉ AAIB દ્વારા પોતાની પ્રાથમિક તપાસમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાનો રિપોર્ટ આપ્યો હતો.જે તે વખતના AAIB રિપોર્ટ મુજબ, પ્લેન ઉડાન ભરતાની સાથે જ પ્લેનના બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ કટ-ઓફ સ્થિતિમાં હતા.કોકપીટ વૉઇસ રેકોર્ડિંગમાં, એક પાઇલટ બીજાને પૂછે છે, “તેણે કેમ કટ ઓફ કર્યો?”
બીજો પાઇલટ જવાબ આપે છે કે તેણે નથી કર્યો. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી કે કયા ક્યા પાઇલટનો અવાજ છે.ઉડાન દરમિયાન કો-પાયલોટ વિમાન ઉડાડી રહ્યો હતો, જ્યારે કેપ્ટન દેખરેખ રાખી રહ્યો હતો.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ તે વખતે જણાવ્યું હતું કે કંપની તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે.આ અકસ્માતમાં ઓછામાં ઓછા 260 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં વિમાનના મુસાફરો અને નીચે રહેલા લોકો બંનેનો મૃત્યુઆંક છે.વિમાનમાં ફક્ત એક જ મુસાફર, બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ બચી ગયો હતો.
આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી અને તપાસ ચાલુ છે જે દરમિયાન અમેરિકાની સંસદમાં FAS દ્વારા આ વિમાન દુર્ઘટના અંગેના કારણોની વિગતો સાથેનો રિપોર્ટ રજૂ થયો તેમાં વિમાન ક્ષતિગ્રસ્ત હતું તે સાબિત થયું છે અને વારંવાર ખામીઓ ધરાવતા વિમાનને વપરાશમાં લેવાઈ રહ્યું હોવાનું કહેવામાં આવતા હવે એર ઇન્ડિયાની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!










