
CBSE OSM Revaluation Controversy: ડિજિટલ યુગના નામે શિક્ષણ વ્યવસ્થા સાથે કેવા ચેડાં થઈ રહ્યા છે તેનો જીવતોજાગતો પુરાવો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ૧૨મા બોર્ડના પરિણામોમાં જોવા મળ્યો છે. બોર્ડ દ્વારા ઉતાવળે લાગુ કરાયેલી નવી કોપી તપાસવાની ઓનસ્ક્રીન માર્કિંગ (OSM) પ્રણાલી સામે દેશભરમાં સવાલો ઉઠી રહ્યા છે. ૧૩ મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં પાસિંગ ટકાવારી ગયા વર્ષ કરતાં ૩.૧૯ ટકા ઘટીને ૮૫.૨૦% થઈ ગઈ છે. આ વર્ષે પરીક્ષા આપનારા ૧૭.૬૮ લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી અધધ ૪,૦૪,૩૧૯ વિદ્યાર્થીઓએ (આશરે ૨૨.૮૫ ટકા) પુનર્મૂલ્યાંકન (રી-ઇવેલ્યુએશન) માટે અરજી કરીને સરકારી સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી ગયો હોવાનું સાબિત કર્યું છે. જોકે, બદનામીથી બચવા બોર્ડે આન્સર શીટ મેળવવાની ફી ₹૭૦૦થી ઘટાડીને ₹૧૦૦ અને રીચેકિંગ ફી ₹૧૦૦થી ઘટાડીને માત્ર ₹૨૫ કરી નાખી હતી.
ખોટા પેમેન્ટ અને સરકારી પોર્ટલ ઠપ
સીબીએસઈનું ડિજિટલ પોર્ટલ એટલું ભંગાર સાબિત થયું કે વિદ્યાર્થીઓ અરજી કરવા માટે ઓનલાઈન ફાંફા મારતા રહ્યા. વારંવાર લોગિન ફેલ થવા અને પેમેન્ટ ગેટવેમાં ભારે અડચણોને કારણે બોર્ડે રીચેકની અંતિમ તારીખ ત્રણ વખત લંબાવીને આખરે ૨૫ મે સુધી કરવી પડી હતી. બોર્ડે પોતે સ્વીકાર્યું કે ટેકનિકલ ખામીના કારણે ૨૧ અને ૨૨ મેના રોજ કેટલાય વિદ્યાર્થીઓના ખાતામાંથી વધારે તો કેટલાકના ખાતામાંથી ઓછા રૂપિયા કપાઈ ગયા હતા. આ સરકારી ફિયાસ્કાને થિગડા મારવા માટે આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી કાનપુરની ટીમોને લોગિન ઓથેન્ટિકેશન અને પેમેન્ટ ગેટવે સુધારવાના કામે લગાડવી પડી છે. દરમિયાન ૨૬ મે સુધી ૮.૯૮ લાખ આન્સર શીટ સ્કેન કરીને મોકલાઈ હોવાનો દાવો કરાયો છે.
બીજાની આન્સર શીટ પધરાવી દીધી અને બ્લર પેજ મોકલ્યા
ડિજિટલ મૂલ્યાંકનના નામે થયેલા આ છબરડામાં વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક થઈ છે. વેદાંત શ્રીવાસ્તવ નામના વિદ્યાર્થીએ જ્યારે પોતાની ફિઝિક્સની સ્કેન કોપી ડાઉનલોડ કરી, ત્યારે ખબર પડી કે તે તેની નહીં પણ કોઈ અન્ય વિદ્યાર્થીની જ કોપી હતી, જેમાં બાદમાં બોર્ડે ભૂલ સ્વીકારવી પડી હતી. ઉત્તર પ્રદેશના બરેલીની એક વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોતાની કોપી તદ્દન ‘બ્લર’ (ઝાંખી) છે. વિદ્યાર્થિનીએ સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યો છે કે, “જ્યારે સ્કેનિંગ એટલું ખરાબ છે કે પોતાના અક્ષરો પોતે વાંચી શકાતા નથી, તો પછી પેપર તપાસનાર શિક્ષકે કમ્પ્યુટર સ્ક્રીન પર જોઈને કયા આધારે માર્કસ આપ્યા હશે?” આ જ ગંભીર ક્ષતિઓને કારણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ૨૫ મેના રોજ એક્સ પર વીડિયો પોસ્ટ કરીને ડિજિટલ નાટક બંધ કરી કોપીઓનું મેન્યુઅલ (હાથથી) રીચેકિંગ કરવાની અને આ પ્રક્રિયા મફત કરવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીના સનસનાટીભર્યા આક્ષેપો
આ સમગ્ર મામલામાં હવે મોટું રાજકીય કૌભાંડ બહાર આવ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૭ મેના રોજ સીબીએસઈના પરિણામોમાં ‘હેરાફેરી’નો સીધો આક્ષેપ લગાવતા કેન્દ્ર સરકાર અને ‘કોએમ્પ્ટ એડુટેક’ નામની ખાનગી કંપનીને કટઘરામાં ઉભા કર્યા છે. તેમણે દાવો કર્યો કે આ કંપની પહેલા ‘ગ્લોબારીના’ ના નામે તેલંગાણામાં ૨૦૧૯ માં મોટા વિવાદોમાં આવી ચૂકી છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે તમામ નિયમો અને પ્રક્રિયાઓને બાજુ પર મૂકીને આ કંપનીને કરોડોનો કોન્ટ્રેક્ટ કોના ઈશારે અપાયો? તેમણે આ મામલે એસઆઈટી (SIT) તપાસની માંગ કરી છે. બીજી તરફ, બોર્ડે પોતાની આબરૂ બચાવવા આ આક્ષેપોને ભ્રામક ગણાવતા ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ નિયમ મુજબ ટેન્ડર આપ્યું હોવાની સફાઈ પેશ કરી છે. ૧૯ વર્ષના એક યુવકે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ પોર્ટલ હેક થવાનો દાવો પણ કર્યો હતો, જેને બોર્ડે માત્ર ટેસ્ટિંગ પ્લેટફોર્મ ગણાવીને ફગાવી દીધો છે.
નવી વ્યવસ્થાની આડમાં સમય બચાવવાનો ખેલ ફ્લોપ
સીબીએસઈ બોર્ડે સ્વીકાર્યું છે કે ઓનસ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમનો ઉપયોગ વર્ષ ૨૦૧૪ માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરાયો હતો, પરંતુ પેજ આડા-અવળા થવાની આશંકા અને સ્કેનિંગ ટેકનિકના અભાવે તેને બંધ કરાયો હતો. વર્ષ ૨૦૨૫ માં આ ડિજિટલ મૂલ્યાંકન પ્રણાલીને ફરીથી દેશવ્યાપી સ્તરે સારી ટેકનિકના બહાના હેઠળ લાગુ કરી દેવાઈ. બોર્ડની દલીલ છે કે કમ્પ્યુટર સ્ક્રીન પર તપાસ કરવાથી ડેટા એન્ટ્રી અને સરવાળાની ભૂલો અટકે છે અને પરિણામો ઝડપી આવે છે. પરંતુ પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે સ્વીકારવું પડ્યું કે ૧.૨૫ કરોડ કોપીઓ તપાસવામાં ભૂલો થઈ શકે છે. વાસ્તવિકતા એ છે કે શિક્ષકોને યોગ્ય તાલીમ આપ્યા વગર, માત્ર ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધારામાં ધકેલી દેવાયું છે.
દિગ્વિજય સિંહની આગેવાનીમાં સંસદીય સમિતિ એક્શનમાં
આ ચોંકાવનારા ડિજિટલ છબરડા અને નીટ-યુજી (NEET-UG) વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાબડતોબ ૨૬ મેના રોજ એસબીઆઈ, બેંક ઓફ બરોડા સહિત ચાર મોટી બેંકોના અધિકારીઓ સાથે બેઠક કરી પેમેન્ટ ગેટવેની ખામીઓ પર ચર્ચા કરી હતી અને સીબીએસઈ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ, આ મામલે સંસદની ૩૧ સદસ્યોની શક્તિશાળી સ્થાયી સમિતિ પણ મેદાને આવી છે. કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહના અધ્યક્ષપણા હેઠળની આ કમિટીએ ૧ અને ૨ જૂને શિક્ષણ મંત્રાલય, સીબીએસઈ અને એનટીએ (NTA) ના વરિષ્ઠ અધિકારીઓને તેડું મોકલ્યું છે. ૨ જૂને યોજાનારી બેઠકમાં દિગ્વિજય સિંહ સીબીએસઈને ભીંસમાં લેવાના છે કે આ આખી ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ કોણે ડિઝાઇન કરી? તેનો વેન્ડર કોણ હતો અને તેને કયા આધારે કોન્ટ્રેક્ટ અપાયો?
આ પણ વાંચો:
Partyless Election India: 8 વર્ષથી ગુજરાતમાં એક જ માંગ — પક્ષ વગરની ચૂંટણી! – thegujaratreport.com







