
Siddaramaiah Resigns Karnataka: કર્ણાટકની રાજનીતિમાં દિલ્હી દરબારની દાદાગીરી અને આંતરિક ખેંચતાણનો વધુ એક મોટો ભોગ લેવાયો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેના કથિત સત્તાના હસ્તાંતરણના વાયદા મુજબ આખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી મુખ્યમંત્રીનો પાંચ વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા અને ૨૦ મેના રોજ પોતાના બીજા કાર્યકાળના ત્રણ વર્ષ પૂરા કરી ચૂકેલા સિદ્ધારમૈયાને અધવચ્ચેથી ખુરશી ખાલી કરવા મજબૂર કરાયા છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત રાજ્યની બહાર હોવાથી સિદ્ધારમૈયાએ તેમના વિશેષ સચિવ પ્રભુ શંકરને રાજીનામું સોંપવું પડ્યું હતું. રાજીનામા બાદ તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનો ઉપરછલ્લો આભાર માન્યો હતો, પરંતુ તેમની વિદાયથી રાજ્યના પછાત વર્ગમાં દિલ્હીના નેતૃત્વ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
કેબિનેટ બેઠકમાં નારાજગી અને આંસુઓનું પૂર
ગુરુવારે સવારે મુખ્યમંત્રી આવાસ પર યોજાયેલી કેબિનેટ સહયોગીઓની નાસ્તાની બેઠક ભારે અને ભાવુક વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી. મુખ્યમંત્રી પદ માટે સતત દબાણ લાવનારા ડીકે શિવકુમાર સત્તા મળવાની ખુશી કે પસ્તાવામાં સિદ્ધારમૈયાને ભેટી પડ્યા હતા અને તેમના પગે પડીને આશીર્વાદ લીધા હતા. બેઠકમાં હાજર એક મંત્રીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, જ્યારે સિદ્ધારમૈયાએ મંત્રીઓનો આભાર માન્યો ત્યારે તમામની આંખો ભરાઈ આવી હતી અને ખુદ સિદ્ધારમૈયા પણ ભાવુક થઈ ગયા હતા. વાસ્તવમાં આ રાજીનામું બુધવારે બપોરે ૩ વાગ્યે થવાનું હતું, પરંતુ રાજ્યપાલ મંગળવારે રાત્રે ૧૧:૪૫ વાગ્યે અચાનક દિલ્હી રવાના થઈ જતાં આ હકાલપટ્ટીનો ક્લાઈમેક્સ થોડો લંબાયો હતો.
૧૦૦ થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવા છતાં જનતાના નેતાની બલી ચડાવાઈ
સિદ્ધારમૈયા પાસે વિધાનસભાની ૧૩૬ બેઠકોમાંથી ૧૦૦ થી વધુ ધારાસભ્યોનું મજબૂત સમર્થન હોવા છતાં, હાઈકમાન્ડે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારની હઠ સામે ઘૂંટણ ટેકવી દીધા છે. વર્ષ ૨૦૨૩ ની ચૂંટણી જીત્યા બાદ થયેલા અઢી-અઢી વર્ષના ગુપ્ત કરારને અંજામ આપવા માટે રાહુલ ગાંધીએ મંગળવારે દિલ્હીમાં બંને નેતાઓની કટોકટી બેઠક બોલાવી હતી. કાનૂન મંત્રી એચકે પાટિલ અને પૂર્વ મંત્રી આરવી દેશપાંડેએ સ્વીકાર્યું કે મોટી સંખ્યામાં કાર્યકરો અને ધારાસભ્યો આ નિર્ણયથી અત્યંત વ્યથિત છે. સિદ્ધારમૈયા પોતાના સમર્થકોને સતત એ જ આશ્વાસન આપતા રહ્યા કે તેઓ હાઈકમાન્ડને આપેલો વાયદો પાળી રહ્યા છે.
દિલ્હીની દરબારી સંસ્કૃતિ સ્વીકારવાનો ઇનકાર
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ છોડીને દિલ્હી આવવા અને રાજ્યસભાના સાંસદ બનીને કેન્દ્ર સામે મોરચો સંભાળવાની લાલચ આપી હતી. પરંતુ કર્ણાટકના માટીના લાલ એવા ૭૮ વર્ષીય સિદ્ધારમૈયાએ આ ઓફર ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે તેમને રાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ રસ નથી અને તેઓ કર્ણાટકમાં જ રહીને જનતાની સેવા કરશે. રાજકીય વિશ્લેષક પ્રોફેસર સંદીપ શાસ્ત્રીએ જણાવ્યું કે સિદ્ધારમૈયા દિલ્હીની એ ‘દરબારી સંસ્કૃતિ’ માં ફિટ થઈ શકે તેમ નથી જ્યાં હિન્દી જાણવું અનિવાર્ય શરત માનવામાં આવે છે. વર્ષ ૧૯૯૬ માં જ્યારે એચડી દેવગૌડા પીએમ બન્યા ત્યારે પણ દિલ્હીના મીડિયાએ તેમની ભાષા પર જ સવાલો ઉઠાવ્યા હતા. હવે કોંગ્રેસ ૨૦૨૮ ની ચૂંટણી માટે ૬૪ વર્ષના શિવકુમારને આગળ ધરીને પેઢીગત બદલાવનો દાવો કરી રહી છે.
પછાત વર્ગો સાથે કોંગ્રેસનો મોટો દગો
સિદ્ધારમૈયાની આ હકાલપટ્ટી બાદ વિપક્ષી નેતા અને પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઈએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. બોમ્મઈએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “રાહુલ ગાંધી દેશભરમાં ઓબીસીના નામે મગરના આંસુ સારે છે અને કર્ણાટકમાં પોતાના જ એક સક્ષમ ઓબીસી મુખ્યમંત્રીની ખુરશી આંચકી લીધી છે, જે પછાત વર્ગો સાથે ઘોર વિશ્વાસઘાત છે.” સિદ્ધારમૈયા કર્ણાટકમાં ‘અહિંદા’ (ઓબીસી, દલિત અને અલ્પસંખ્યકો) ના નિર્વિવાદ નેતા છે અને ખાસ કરીને કુરુબા (ભરવાડ) સમુદાયના મતો તેમના કારણે જ કોંગ્રેસને મળ્યા હતા. હવે સિદ્ધારમૈયા સત્તા વગર પણ પોતાના આ વફાદાર વોટબેંકને સાચવવા માટે એકજૂથતાનું કેન્દ્ર બની રહેશે.
છેલ્લા દિવસે ઓબીસી અનામત વધારવાનો માસ્ટરસ્ટ્રોક
પોતાની સત્તાના છેલ્લા દિવસે પણ સિદ્ધારમૈયાએ હાઈકમાન્ડ અને વિરોધીઓને મોટો રાજકીય ઝાટકો આપ્યો છે. બુધવારે પોતાના છેલ્લા સત્તાવાર કાર્યક્રમમાં તેમણે રાજ્ય પછાત વર્ગ આયોગનો સામાજિક-આર્થિક-શૈક્ષણિક સર્વેક્ષણ (જાતિ જનગણના) રિપોર્ટ સ્વીકારી લીધો હતો. આ રિપોર્ટમાં ઓબીસી માટેની અનામત ૩૨ ટકાથી વધારીને છેક ૪૨ ટકા કરવાની ભલામણ કરાઈ છે. સિદ્ધારમૈયાએ આ સળગતો મુદ્દો સ્વીકારીને હવે તેના અમલની તમામ જવાબદારી આવનારી નવી મંત્રીપરિષદ અને નવા મુખ્યમંત્રીના માથે ઢોળી દીધી છે, જેનાથી આગામી દિવસોમાં કર્ણાટક કોંગ્રેસમાં મોટો આંતરિક વિસ્ફોટ થવો નક્કી છે.
આ પણ વાંચો:







