
Gujarat Local Body Election Analysis: ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય ભવિષ્યના સંકેતો આપી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ કુલ ૯,૯૯૨ બેઠકોમાંથી સિંહફાળો મેળવીને તમામ મહાનગરો અને મોટાભાગની પંચાયતો પર પોતાનું એકહથ્થુ શાસન જાળવી રાખ્યું છે. આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી છે કે કોંગ્રેસનો વોટ શેર ગત ચૂંટણીની સરખામણીએ સુધર્યો છે, જ્યારે ‘ત્રીજા મોરચા’ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટીના વોટ શેરમાં ગાબડું પડ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ પરિણામો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે પાયાની ભૂમિકા ભજવશે, કારણ કે મતદારોએ પક્ષોની સંગઠન શક્તિ અને સામાજિક ગણિત પર મહોર મારી છે.
ભાજપનો અજેય ગઢ અને વિપક્ષ માટે સંગઠનનો પડકાર
રાજકીય વિશ્લેષકોના મતે ભાજપની આ પ્રચંડ જીત પાછળ તેનું મજબૂત સંગઠન અને પાયાના સ્તર સુધી ફેલાયેલું કાર્યકરોનું નેટવર્ક જવાબદાર છે. ચૂંટણી પહેલા જ ૭૦૦થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા, જેણે વિપક્ષના લડાયક જુસ્સાને મનોવૈજ્ઞાનિક રીતે નબળો પાડી દીધો હતો. બીજી તરફ કોંગ્રેસ ભલે ઓબીસી, દલિત અને આદિવાસી મતોની વાત કરતી હોય, પણ શહેરી વિસ્તારોમાં હજુ પણ તે ભાજપને મજબૂત ટક્કર આપવામાં નિષ્ફળ રહી છે. અમદાવાદના ખાડિયા અને રાજકોટના જંગલેશ્વર જેવા ખિસ્સાઓમાં કોંગ્રેસની જીત ઉત્સાહવર્ધક છે, પરંતુ વિધાનસભામાં ભાજપના ૧૫૬ બેઠકોના જંગી આંકડાને પડકારવા માટે કોંગ્રેસે તેના જૂના સંગઠનને ફરીથી બેઠું કરવું પડશે, જે હાલમાં તેની સૌથી મોટી નબળાઈ દેખાઈ રહી છે.
સુરતમાં ‘આપ’ ના વળતા પાણી અને ઉત્તર ગુજરાતમાં નવી આશા
દક્ષિણ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા મથતી આમ આદમી પાર્ટીને સુરતમાં મોટો ફટકો પડ્યો છે. ૨૦૨૧માં પાટીદાર મતોના સહારે આપે જે જાદુ કર્યો હતો, તે આ વખતે ઓસરી ગયો હોય તેમ લાગે છે. અલ્પેશ કથીરિયા જેવા મજબૂત પાટીદાર ચહેરાઓનો સાથ છૂટતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પક્ષપલટાને કારણે મતદારોનો વિશ્વાસ ડગમગ્યો છે. જોકે, આ નિરાશા વચ્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં આપનું પ્રદર્શન અણધાર્યું અને સારું રહ્યું છે. વિશ્લેષકો માને છે કે જો આપ ઉત્તર ગુજરાતમાં મજબૂત સંગઠન ઉભું કરે તો ત્યાં કોંગ્રેસ માટે મુશ્કેલી વધી શકે છે. હાલમાં આપની સોશિયલ મીડિયા ટીમ મજબૂત છે, પણ જમીની સ્તરે કાર્યકરોની અછત તેને બીજા ક્રમની પાર્ટી બનતા રોકી રહી છે.
૨૦૨૭ની વિધાનસભાનો રોડમેપ અને સોશિયલ એન્જિનિયરિંગ
ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો મહાનગરોમાં ભાજપને ૫૯.૩૬ ટકા જેટલા પ્રચંડ મતો મળ્યા છે, જે શહેરી વિસ્તારોમાં તેની પકડ મજબૂત હોવાનું સાબિત કરે છે. કોંગ્રેસ માટે રાહતના સમાચાર એ છે કે લઘુમતી અને ગ્રામીણ મતદારો ફરીથી પક્ષ તરફ વળી રહ્યા છે, જે ઓવૈસી જેવા પક્ષોની રણનીતિને નિષ્ફળ બનાવી રહ્યા છે. કોંગ્રેસે આ વખતે યુવા અને ભણેલા ઉમેદવારોને મેદાનમાં ઉતારીને ‘લિટમસ ટેસ્ટ’ કર્યો હતો, જેમાં તેને સફળતા મળી છે. ભાજપ ૨૦૨૨ના પરિણામોના પુનરાવર્તનની આશા રાખી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ અને આપ પોતપોતાના ગઢ મજબૂત કરવા મથશે. આગામી સમયમાં જે પક્ષ જ્ઞાતિગત સમીકરણો અને સંગઠનની મજબૂતી પર વધુ ધ્યાન આપશે, તેનો રસ્તો વિધાનસભા માટે સરળ બનશે.






