
Indian Passport Citizenship: વિદેશ મંત્રાલયના તાજેતરના એક સ્પષ્ટીકરણે દેશભરમાં નાગરિકતા અને ઓળખના પુરાવાઓને લઈને એક મોટી ચર્ચા અને મૂંઝવણ ઉભી કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પાસપોર્ટ એ માત્ર એક મુસાફરીનો દસ્તાવેજ (Travel Document) છે, તે નાગરિકતાનો કોઈ અંતિમ કે પાક્કો પુરાવો નથી. દાયકાઓથી આપણે પાસપોર્ટને દેશનો સૌથી ભરોસાપાત્ર અને મજબૂત દસ્તાવેજ માનતા આવ્યા છીએ, કારણ કે તે પોલીસ અને સરકારી એજન્સીઓની કડક તપાસ બાદ જ જારી થાય છે. પરંતુ, જ્યારે અલગ-અલગ રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) જેવી પ્રક્રિયાઓ દરમિયાન મતદાર યાદીમાંથી પાસપોર્ટ ધારકોનાં નામ પણ કપાઈ રહ્યાં છે, ત્યારે સવાલ એ થાય છે કે જો આટલી તપાસ પછી મળેલો પાસપોર્ટ પણ નાગરિકતા સાબિત ન કરી શકે, તો સામાન્ય નાગરિકે ક્યાં જવું? સરકારનું આ વલણ કાનૂની રીતે ભલે સાચું હોય, પણ તે નાગરિકોની સુરક્ષા અને અસ્તિત્વના સવાલો પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કરે છે.
બે અલગ-અલગ કાયદા અને સરકારી દાવપેચ
ભારતીય કાયદા મુજબ પાસપોર્ટ અને નાગરિકતા બંને અલગ-અલગ કાયદાઓ હેઠળ ચાલે છે. પાસપોર્ટ એક્ટ ૧૯૬૭ હેઠળ પાસપોર્ટ જારી થાય છે, જ્યારે નાગરિકતાનો નિર્ણય સિટિઝનશિપ એક્ટ ૧૯૫૫ દ્વારા થાય છે. કાનૂની નિષ્ણાતો અને પૂર્વ વિદેશ સચિવ નિરુપમા મેનન રાવના જણાવ્યા અનુસાર, જો અદાલતમાં કોઈની નાગરિકતા પર પ્રશ્ન ઉઠે, તો પાસપોર્ટ એ અંતિમ નિર્ણય નથી. આવી સ્થિતિમાં ન્યાયાધીશ જન્મના પ્રમાણપત્રો, માતા-પિતાની માહિતી અને અન્ય વંશાવળીના દસ્તાવેજો તપાસે છે. સરકારની આ દલીલ કાગળ પર ભલે તર્કબદ્ધ લાગે, પરંતુ જમીની હકીકત એ છે કે સામાન્ય માણસ માટે આટલા બધા દસ્તાવેજો એકઠા કરવા અને તેને વર્ષો સુધી જાળવી રાખવા એ એક મોટી કસોટી સમાન છે. શું સરકાર સામાન્ય નાગરિકોને કાયદાકીય જાળમાં ફસાવી રહી છે?
કલમ ૨૦ નો ખેલ: ગેર-નાગરિકો પણ મેળવી શકે પાસપોર્ટ?
સૌથી ચોંકાવનારી બાબત પાસપોર્ટ એક્ટની કલમ ૨૦ માં છુપાયેલી છે. આ કલમ સરકારને એવો અધિકાર આપે છે કે તે “જાહેર હિત” માં કોઈ એવી વ્યક્તિને પણ પાસપોર્ટ આપી શકે જે ભારતનો નાગરિક નથી. ૨૦૨૩ માં મદ્રાસ હાઈકોર્ટે પણ આ કલમનો ઉપયોગ કરીને એક સ્ટેટલેસ મહિલાને પાસપોર્ટ આપવા પર વિચાર કરવા સરકારને નિર્દેશ આપ્યો હતો, જેમના માતા-પિતા શ્રીલંકાના શરણાર્થી હતા. આ કાનૂની જોગવાઈ સાબિત કરે છે કે પાસપોર્ટ આપવો એ સંપૂર્ણપણે સરકારની મરજી અને વ્યૂહરચના પર નિર્ભર છે. જે દસ્તાવેજને આપણે રાષ્ટ્રપ્રેમ અને નાગરિકતાની નિશાની માનતા હતા, તે હવે એક એવું સાધન બની ગયું છે જેનો ઉપયોગ સરકાર પોતાની સગવડ મુજબ કરી શકે છે. જ્યારે કાયદો જ આટલો છૂટછાટ વાળો હોય, ત્યારે સામાન્ય નાગરિકની ‘પાક્કા પુરાવા’ની ધારણા ખોટી પડવી જ નક્કી છે.
એકલ સિસ્ટમનો અભાવ અને નાગરિકોની લાચારી
ભારતમાં સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં નાગરિકતા માટે કોઈ એકલ અને સર્વવ્યાપી પ્રમાણપત્ર પ્રણાલી (Single Certification System) નથી. કોઈ વ્યક્તિની નાગરિકતા જન્મ પ્રમાણપત્ર પર, કોઈની સ્કૂલ રેકોર્ડ પર તો કોઈની વોટર આઈડી પર નિર્ભર છે. લાખો ભારતીયો એવા છે જેમના જન્મ સમયે કોઈ રજિસ્ટ્રેશન થયું જ નહોતું, અથવા તેમના દસ્તાવેજોમાં નામ-જન્મતારીખની ભૂલો છે. અસમમાં NRC પ્રક્રિયાએ આ ડરને સાચો સાબિત કરી દીધો છે, જ્યાં દસ્તાવેજોના અભાવે લાંબા સમયથી રહી રહેલા લોકોએ પણ પોતાની નાગરિકતા સાબિત કરવા માટે દર દર ભટકવું પડ્યું હતું. આ પ્રકારની વહીવટી અરાજકતા વચ્ચે પાસપોર્ટને ‘અપૂર્ણ પુરાવો’ ગણાવવો એ નાગરિકોને પોતાની જ માતૃભૂમિમાં શંકાના દાયરામાં લાવવા જેવું છે.
શું ભારતને મજબૂત રજિસ્ટ્રેશન સિસ્ટમની જરૂર છે?
નિષ્ણાતો માને છે કે પાસપોર્ટનું મૂલ્ય ઓછું નથી થયું, પણ ભારતની વર્તમાન રેકોર્ડ સિસ્ટમ અત્યંત નબળી છે. જ્યારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA), NRC અને હવે SIR જેવી પ્રક્રિયાઓ ચાલી રહી હોય, ત્યારે લોકોમાં દસ્તાવેજોને લઈને ફફડાટ વ્યાપવો સ્વાભાવિક છે. એક મજબૂત અને વ્યાપક સાર્વત્રિક જન્મ રજિસ્ટ્રેશન સિસ્ટમ હોવી જોઈએ, જેથી નાગરિકતા કોઈના દયા કે વહીવટી ભૂલને આધીન ન રહે. પાસપોર્ટ માત્ર એક મુસાફરીનું સાધન બનીને ન રહી જાય અને નાગરિકોને દરરોજ પોતાની ઓળખ સાબિત કરવા માટે સંઘર્ષ ન કરવો પડે, તેવી સિસ્ટમ બનાવવાની જવાબદારી સરકારની છે. અત્યારે તો સ્થિતિ એવી છે કે ભારતનો નાગરિક પાસપોર્ટ લઈને દુનિયામાં ગમે ત્યાં ફરી શકે છે, પરંતુ પોતાના જ દેશમાં તે ક્યારે ‘વિદેશી’ કે ‘શંકાસ્પદ’ બની જશે, તેની તેને ખુદને પણ ખબર નથી.
આ પણ વાંચો:







