
K Annamalai BJP Resignation: દિલ્હીના હુકમ ચલાવતા શાસકોને તમિલનાડુની ધરતી પર ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા અને દક્ષિણ ભારતમાં પાર્ટીનો આક્રમક ચહેરો ગણાતા કે. અન્નામલાઈએ ભાજપની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપીને દિલ્હીના હાઈકમાન્ડને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને શુક્રવારે નવી દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે બંધ બારણે બેઠકોનો દોર ચલાવ્યા બાદ અન્નામલાઈનું રાજીનામું ઔપચારિક રીતે સ્વીકારી લીધું છે. પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપે દક્ષિણમાં પોતાનો સૌથી મોટો મોહરો ગુમાવી દીધો છે. ૨૦૨૬ ની ચૂંટણીઓમાં ભાજપના રકાસ બાદ પક્ષની અંદર ફાટી નીકળેલો જ્વાળામુખી આખરે બહાર આવ્યો છે.
દિલ્હીના એસી રૂમોમાં બેસતા નેતાઓ સાથે મતભેદ
રાજીનામું આપતા પહેલા અન્નામલાઈ આ અઠવાડિયાની શરૂઆતમાં દિલ્હી દરબારમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ નિતિન નવીન અને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ સાથે મુલાકાતો કરી હતી. આ બેઠકો માત્ર ઔપચારિકતા નહોતી, પરંતુ દિલ્હીની થોપવામાં આવતી રાજનીતિ સામેનો આક્રોશ હતો. અન્નામલાઈએ પક્ષમાંથી મુક્ત થઈને પાછલા છ વર્ષની તકો માટે આભાર તો માન્યો, પણ સાથે જ પોતાના રાજીનામાના પત્રમાં કેન્દ્રીય નેતૃત્વની શરણાગતિવાળી રાજકીય વ્યૂહરચના અને પ્રાદેશિક ગઠબંધન અંગેના ‘ગંભીર મતભેદો’ જાહેરમાં લાવી દીધા. શાસકોના અહંકાર અને સ્થાનિક નેતાઓની બાદબાકી કરવાની નીતિ સામે અન્નામલાઈએ ઝૂકવાને બદલે લડી લેવાનો માર્ગ પસંદ કર્યો છે.
ખુરશી છોડીને હવે નવું આંદોલન
શુક્રવારે ભાજપના બંધનમાંથી મુક્ત થતાંની સાથે જ અન્નામલાઈએ સત્તાધારી પક્ષોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. તેમણે એક સનસનાટીપૂર્ણ વીડિયો સંદેશ જાહેર કરીને જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં જ એક નવું “રાજકીય આંદોલન” શરૂ કરવા જઈ રહ્યા છે. અન્નામલાઈએ સીધો પડકાર ફેંકતા કહ્યું કે, “અમારી આ નવી રાજકીય પાર્ટી તમિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણીમાં પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.” દિલ્હીના ઈશારે ચાલતા પ્રાદેશિક પક્ષો અને રાષ્ટ્રીય સંગઠનોથી કંટાળેલી જનતા માટે આ જાહેરાત એક મોટા રાજકીય ભૂકંપ સમાન છે. સત્તા માટે કટોકટી વેઠતા તમિલનાડુમાં હવે એક નવો પ્રાદેશિક મોરચો મજબૂત થઈ રહ્યો છે.
IPS ની ખાખી વર્દી ફગાવીને આવ્યા હતા, પણ ભાજપની દલાલીવાળી નીતિ ન નભી
કે. અન્નામલાઈ કોઈ પરંપરાગત લાંચિયા નેતા નથી, પરંતુ ભારતીય પોલીસ સેવા (IPS) ના પૂર્વ સક્ષમ અધિકારી છે. કર્ણાટકમાં સિંઘમ તરીકે ઓળખાતા આ અધિકારીએ ૨૦૧૯ માં તંત્રના ભ્રષ્ટાચારથી કંટાળીને નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું અને ‘We The Leaders Foundation’ નામની એનજીઓ દ્વારા સામાજિક કામો શરૂ કર્યા હતા. ૨૦૨૦ માં રાષ્ટ્રવાદ અને યોગ્યતા આધારિત રાજનીતિના મોટા-મોટા વચનોથી અંજાઈને તેઓ ભાજપમાં જોડાયા હતા. પક્ષે ૨૦૨૧ માં તેમને તમિલનાડુના પ્રમુખ બનાવ્યા. અન્નામલાઈએ શાસક ડીએમકે (DMK) સરકારના ભ્રષ્ટાચાર સામે ‘એન મન્નુ, એન મક્કલ’ (મારી માટી, મારા લોકો) યાત્રા કાઢીને જનતામાં ભાજપની ઓળખ તો ઊભી કરી, પરંતુ દિલ્હી બેઠેલા નેતાઓની મિલીભગતને કારણે ચૂંટણીમાં સફળતા ન મળી.
દ્રવિડિયન પક્ષો સામે નમતું જોખવાની હાઈકમાન્ડની લાચારી સામે અન્નામલાઈનો બળવો
અન્નામલાઈ શરૂઆતથી જ તમિલનાડુમાં ભાજપની પોતાની સ્વતંત્ર અને સ્વાભિમાની ઓળખ બનાવવા માંગતા હતા. તેઓ શાસન, ભ્રષ્ટાચાર અને રાજકીય સુધારા પર દ્રવિડિયન શાસકોને ઘેરતા હતા, પરંતુ દિલ્હીમાં બેઠેલા લલચુ નેતાઓ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (AIADMK) ના શરણે જવા મજબૂર હતા. ભાજપના જ સ્થાનીય નેતાઓએ ખુલાસો કર્યો છે કે અન્નામલાઈ ભ્રષ્ટ AIADMK સાથેના ગઠબંધનની સખત વિરુદ્ધ હતા. તેમનું સ્પષ્ટ માનવું હતું કે ભાજપે અન્ય પક્ષોની બેઠકોની ભીખ માંગવાના બદલે પોતાના ચૂંટણી ચિહ્ન પર ગૌરવભેર લડવું જોઈએ. AIADMK દ્વારા ભાજપને નહિવત જેવી ઓછી બેઠકો આપીને અપમાનિત કરવામાં આવતું હતું, જે અન્નામલાઈ જેવા સ્વાભિમાની નેતાને મંજૂર નહોતું.
વર્ષ ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણી પહેલા જ અન્નામલાઈએ હાઈકમાન્ડની નીતિઓ સામે અસહકાર શરૂ કરી દીધો હતો. ફેબ્રુઆરીમાં તેમણે છ વિધાનસભા બેઠકોના ચૂંટણી પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું અને સત્તાવાર રીતે પિતાની ખરાબ તબિયતનું બહાનું કાઢ્યું હતું, જે વાસ્તવમાં પક્ષની અંદરનો વિખવાદ હતો. આ પહેલા એપ્રિલ ૨૦૨૫ માં પણ તેમણે પ્રમુખ પદ છોડવાની તૈયારી બતાવી હતી જેથી દિલ્હીના નેતાઓ તમિલનાડુમાં AIADMK સાથે ગઠબંધનની પિચ સાફ કરી શકે. આ વિવાદ ત્યારે વધુ વકર્યો હતો જ્યારે પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના ભ્રષ્ટાચાર અંગે અન્નામલાઈએ કરેલી ટિપ્પણીથી નારાજ થઈને AIADMK નેતા એડપ્પાદી પલાનીસ્વામીએ દિલ્હી સુધી દોડ લગાવવી પડી હતી.
૪ ધારાસભ્યોમાંથી માત્ર ૧ બચ્યો
અન્નામલાઈની આશંકાઓ ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સાચી સાબિત થઈ. દિલ્હીના ઈશારે થયેલા ગઠબંધન અને તમિલનાડુમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના શરમજનક પ્રદર્શને સાબિત કરી દીધું કે ભાજપની વર્તમાન નીતિઓ જનતાએ નકારી દીધી છે. ૨૦૨૬ ની ચૂંટણી પહેલા તમિલનાડુ વિધાનસભામાં ભાજપના ચાર ધારાસભ્યો હતા, જે આ ભ્રષ્ટ વહીવટ અને નકામી વ્યુહરચનાના કારણે ઘટીને માત્ર એક (૧) પર આવી ગઈ છે. આ કારમી હારે સાબિત કર્યું કે જનતા સત્તાના જોરે ચાલતી દિલ્હીની રાજનીતિ સ્વીકારવા તૈયાર નથી. ભાજપના આ પતન બાદ અન્નામલાઈએ પક્ષને કચરાટોપલીમાં ફેંકી પોતાનો નવો સાર્વભૌમ માર્ગ પકડ્યો છે.
આ પણ વાંચો:







