
Nepal News: પોખરાથી કાઠમંડુ જઈ રહેલી એક પ્રવાસી બસ નેપાળના ધાડિંગ જિલ્લામાં ત્રિશુલી નદીમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા અને 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. ઘટના બાદ નેપાળ સેના, પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા બચાવ કામગીરીમાં હાથ ધરાઈ છે, પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે.
વિગતો મુજબ આજે સોમવારે વહેલી સવારે નેપાળના ધાડિંગ જિલ્લામાં પોખરાથી કાઠમંડુ જઈ રહેલી એક પ્રવાસી બસ ત્રિશુલી નદીમાં અકસ્માતે ખાબકતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના ભારતીય સમય (IST) અનુસાર મોડી રાત્રે 1 વાગ્યે ચિન્નાધરા વિસ્તાર નજીક બની હતી. બસમાં આશરે 40 થી 45 મુસાફરો સવાર હતા, જેમાં કેટલાક વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
મૃતકોમાં છ મહિલાઓ અને ૧૧ પુરુષ મુસાફરોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલાઓને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે,ઘાયલોમાં 8 મહિલાઓ, 18 પુરુષો અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે.
■ અકસ્માત કેવી રીતે થયો?
બસ પૃથ્વી હાઇવે પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બેનીઘાટ રોરાંગ ગ્રામીણ મ્યુનિસિપાલિટી-5 ના ભૈસેપતિ વિસ્તાર નજીક વળાંક ઉપર અચાનક બસ ચાલકે કાબુ ગુમાવ્યો અને બસ હાઇવેથી લગભગ 300 મીટર નીચે ઉતરી ગઈ અને બેકાબુ બસ નદીમાં ખાબકી હતી. બસ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત મળી આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હોવાનું અથવા રસ્તાની સ્થિતિ ખરાબ હોવાનું અનુમાન છે. બસમાં ઓવરલોડ હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. વહીવટીતંત્રે મૃતકોની ઓળખ કરી તેઓના પરિવારજનોને જાણ કરી છે.
આ અકસ્માત મોડી રાત્રે થયો હોય બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. નેપાળ આર્મી, સશસ્ત્ર પોલીસ દળ, નેપાળ પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી. હાઇવે રેસ્ક્યુ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રાજકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંધારું અને નદીના પ્રવાહને કારણે બચાવ કાર્ય માટે પડકારો ઉભા થયા હતા.
આ ઘટનાને લઈ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.







