
Rajkumar Jat Case: ગોંડલમાં વર્ષોથી સ્થાયી થયેલા મૂળ રાજસ્થાની પરિવારના યુવાન રાજકુમાર જાટના રહસ્યમય મોતના કેસમાં હવે તપાસ અને કોર્ટની કાર્યવાહી વચ્ચે નવો વળાંક આવ્યો છે. રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો અને 3 માર્ચ 2025ના રોજ ઘરેથી ગુમ થયો હતો. પરિવાર દ્વારા શોધખોળ અને પોલીસ ફરિયાદ બાદ 4 માર્ચની રાત્રે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે, પરિવારજનોએ શરૂઆતથી જ ઘટનાક્રમ અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.
પરિવારની ફરિયાદ અને ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો
રાજકુમારના પિતા રતનલાલ જાટ ગોંડલના ત્રણ ખૂણિયા વિસ્તાર પાસે શ્રીજી પાવભાજીની દુકાન ચલાવે છે. 3 માર્ચે રાજકુમાર ઘરે પરત ન ફરતાં 5 માર્ચે પિતાએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને ગ્રામ્ય પોલીસને પણ જાણ કરી હતી. ત્યારબાદ બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ રાજકુમાર ગુમ થયાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. 9 માર્ચે પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી અને જરૂરી કાર્યવાહી બાદ તેને સ્વીકાર્યો હતો.
પરિવારના ગંભીર આક્ષેપો અને ગણેશ ગોંડલનું નામ
પરિવારનો આક્ષેપ હતો કે 2 માર્ચે રાજકુમાર અને પરિવાર વચ્ચેની બોલાચાલી બાદ તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થતો હતો ત્યારે તેને રોકવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે ત્યાં ગણેશ ગોંડલ સહિત કેટલાક લોકો સાથે તેની મારામારી થઈ હતી. ત્યારબાદ રાજકુમાર ફરી ફરિયાદ કરવા બંગલા તરફ ગયો અને ત્યાર પછી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ આક્ષેપોને પગલે CCTV ફૂટેજ સહિતના પુરાવાની તપાસની માંગ ઉઠી હતી.
હાઈકોર્ટમાં પહોંચ્યો કેસ અને તપાસમાં ફેરફાર
સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસથી પરિવાર સંતુષ્ટ ન થતાં મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. પરિવારના સવાલો બાદ ઓક્ટોબર 2025માં કેસની તપાસ રાજકોટ બહારના અધિકારી અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી હતી. તેમની દેખરેખ હેઠળ SIT દ્વારા CCTV ફૂટેજ, FSL રિપોર્ટ અને અન્ય મહત્વના પુરાવાઓની તપાસ કરવામાં આવી હતી. હાલ તપાસ DYSP જે.ડી. પુરોહિત કરી રહ્યા હોવાનું કોર્ટમાં રજૂ થયેલા સ્ટેટસ રિપોર્ટમાં જણાવાયું છે.
CCTV ફૂટેજ અને 51 કિમીની મુસાફરીનો સવાલ
હાઈકોર્ટમાં સૌથી મહત્વના સવાલોમાંથી એક એ હતો કે રાજકુમાર અકસ્માત પહેલાં અલગ-અલગ સ્થળોએ કેવી રીતે અને કેટલી ઝડપે પહોંચ્યો હતો. તપાસમાં એકત્ર કરાયેલા 21 CCTV ફૂટેજમાં તે એકલો ચાલતો જોવા મળ્યો હોવાનું સરકારી પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે રાજકુમારે આશરે 11 કલાક અને 39 મિનિટમાં 51 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હોવાનું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. આ અંતર રાજકોટ-અમદાવાદ હાઈવે અને અન્ય વિસ્તારોને જોડતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
નશાની સ્થિતિ અંગે તપાસમાં શું સામે આવ્યું
સરકારી પક્ષે કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ મુજબ રાજકુમાર ગાંજાના સેવનનો વ્યસની હોવાનું તપાસમાં જણાવાયું છે. કેટલાક CCTV અને અન્ય વીડિયોમાં તે મિત્રો સાથે વાતચીત કરતો તેમજ પોતાની જાતે કપડાં ઉતારતો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ફૂટેજ મનોચિકિત્સકને પણ બતાવવામાં આવ્યા હતા. મનોચિકિત્સકના અભિપ્રાય મુજબ રાજકુમાર વ્યસની હોઈ શકે છે અને તેની ચાલવાની રીત સામાન્ય નહોતી. તે સમયે તે સંપૂર્ણ માનસિક રીતે સચેત ન હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આશ્રમ અને ગાંજાની શોધ અંગેના સવાલો
તપાસમાં એવું પણ જણાવાયું છે કે અકસ્માત પહેલાં રાજકુમાર નશાની શોધમાં ઘરેથી નીકળ્યો હતો અને એક આશ્રમમાં જઈને ગાંજાની માંગણી કરી હતી. તે અગાઉ ગિરનાર જતી વખતે ગાંજો લેતો હોવાની વાત પણ તપાસમાં સામે આવી છે. જોકે, તેણે ચોક્કસપણે ગાંજાનું સેવન કર્યું હતું કે નહીં અને તેને ગાંજો કોણે આપ્યો હતો તે અંગે હજુ સવાલો બાકી છે. પરિવારનું કહેવું છે કે જો તેનો મોબાઈલ ઘરે જ રહી ગયો હતો તો તેણે નશાની વસ્તુ માટે કોનો સંપર્ક કર્યો હતો તે પણ તપાસનો મહત્વનો મુદ્દો છે.
કપડાં, વાહન અને FSL રિપોર્ટ અંગે હજુ સવાલો
પરિવાર તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે CCTVમાં રાજકુમાર કપડાં વગર જોવા મળતો હોય તો અકસ્માત બાદ તેના કપડાં ક્યાં ગયા તે સ્પષ્ટ થવું જોઈએ. કાળા કાચવાળી કેટલીક ગાડીઓ, હાઈવે પરની હિલચાલ, બસ, ડ્રાઇવિંગ લાયસન્સ અને બસના FSL રિપોર્ટ સહિતના મુદ્દાઓ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદાર પક્ષનું કહેવું છે કે શરૂઆતની પોલીસ તપાસમાં કેટલાક વીડિયો સામે આવ્યા નહોતા, જ્યારે સરકારી પક્ષે નવા પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.
25 ઓગસ્ટની સુનાવણી બાદ નવી સ્થિતિ
25 ઓગસ્ટે થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે તપાસનો નવો સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. તેમાં CCTV, વીડિયો, નિષ્ણાતોના અભિપ્રાય અને અન્ય દસ્તાવેજો અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસ તરફથી આ પુરાવાઓ પેનડ્રાઇવ સહિત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જોકે, પરિવાર તરફથી હજુ કેટલાક મહત્વના પ્રશ્નોના જવાબ માંગવામાં આવી રહ્યા છે. પોલીસ રિપોર્ટ પર જવાબ આપવા માટે અરજદાર પક્ષે સમય માંગ્યો છે.
ગણેશ ગોંડલને બે કેસમાં રાહત
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ગણેશ ગોંડલને બે અલગ કેસોમાં રાહત મળી હોવાની માહિતી સામે આવી છે. રાજકુમાર જાટ કેસમાં હાલ રજૂ થયેલા તપાસ રિપોર્ટથી અગાઉના આરોપોની તપાસને નવો વળાંક મળ્યો છે, પરંતુ કેસનો અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી. બીજી તરફ જૂનાગઢના રાજુ સોલંકી અને તેના પુત્ર સાથે મારામારીના કેસમાં સમાધાન થયા બાદ ગણેશ ગોંડલને રાહત મળી હોવાનું જણાવાયું છે.
આગામી સુનાવણી પર નજર
રાજકુમાર જાટ કેસમાં હજુ અનેક મુદ્દાઓ તપાસ હેઠળ છે. રાજકુમારને ખરેખર માર મારવામાં આવ્યો હતો કે નહીં, પરિવારના આક્ષેપોમાં કેટલું તથ્ય છે, CCTV ફૂટેજની સંપૂર્ણ કડી શું છે, 51 કિલોમીટરની મુસાફરી કેવી રીતે થઈ અને અકસ્માત સુધી પહોંચતા પહેલાં તેની સાથે શું બન્યું જેવા પ્રશ્નોના જવાબ તપાસ અને કોર્ટની કાર્યવાહીથી જ સ્પષ્ટ થશે. હવે આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે થવાની છે. હાઈકોર્ટ સમક્ષ રજૂ થનારા પુરાવા અને તપાસના આગળના રિપોર્ટ પર સમગ્ર કેસની દિશા નક્કી થવાની શક્યતા છે.









