
Surat BG Wealth MLM scam: સુરત શહેરમાં સાયબર ગુનેગારોએ નિર્દોષ લોકોને છેતરવા માટે ‘મલ્ટી લેવલ માર્કેટિંગ’ (MLM) અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો નવો કીમિયો અપનાવ્યો છે. સુરત સાયબર ક્રાઈમ સેલે ઉધના-બમરોલી રોડ પર ચાલતા એક મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ‘અંશ એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીની આડમાં ‘BG Wealth Sharing’ નામનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું, જે લોકોને પોતાની મૂડી ટૂંકા સમયમાં બમણી કરવાની લાલચ આપતું હતું. આ ટોળકી એટલી બેફામ બની હતી કે જ્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો, ત્યારે ઓફિસમાં ૨૫ જેટલા રોકાણકારો રોકાણ કરવા માટે હાજર હતા, જેમને પોલીસે છેતરાતા બચાવ્યા છે.
ફેક લિંક અને વર્ચ્યુઅલ નફાની ડિજિટલ માયાજાળ
આ કૌભાંડ પાછળની ટેકનિકલ છેતરપિંડી પણ ચોંકાવનારી છે. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું કે આ ટોળકી RBI દ્વારા પ્રતિબંધિત ‘DSJ એક્સચેન્જ’ ની ફેક લિંકનો ઉપયોગ કરતી હતી. રોકાણકારોને ૩૦૦ થી ૧૦૦૦ યુએસ ડોલર જેવી મોટી રકમ રોકાણ કરવા દબાણ કરવામાં આવતું અને દરરોજ ૧.૩% જેટલું ઊંચું વળતર આપવાની ખાતરી અપાતી હતી. ‘BonChat’ નામની એક એપ દ્વારા ગ્રાહકોને તેમના વોલેટમાં નફો થતો હોવાનું દેખાડવામાં આવતું હતું. જોકે, આ નફો માત્ર વર્ચ્યુઅલ આંકડા હતા. હકીકતમાં રોકાણકારોના મહેનતના નાણાં સીધા આરોપીઓના ખિસ્સામાં અને હવાલા મારફતે વિદેશ મોકલાતા હતા.
બે મુખ્ય આરોપીઓની ધરપકડ અને જપ્ત કરાયેલા મુદ્દામાલ
પોલીસે આ કેસમાં બે મુખ્ય સૂત્રધારો, ૪૩ વર્ષીય નિરજ સિંહ રાજપૂત અને ૪૪ વર્ષીય અજયસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે નિરજ સિંહે ૧૦૦૦ થી વધુ અને અજયસિંહે ૫૦૦ થી વધુ ફેક આઈડી બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી હતી. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી ૩,૭૧,૯૦૦ રૂપિયા રોકડા, મોબાઈલ ફોન અને સૌથી મહત્વનું એવું ‘કેશ કાઉન્ટિંગ મશીન’ મળી આવ્યું છે. આ મશીનની હાજરી જ એ વાતનો પુરાવો છે કે અહીં દરરોજ લાખો રૂપિયાની રોકડમાં હેરાફેરી થતી હતી. આ નાણાં મુખ્ય સૂત્રધાર સુપારસ શેઠીયાને મોકલાતા હતા, જે હાલ પોલીસ પકડથી દૂર છે.
હવાલા નેટવર્ક અને ફરાર આરોપીઓની શોધખોળ
આ કૌભાંડ માત્ર સુરત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેના તાર હવાલા નેટવર્ક સાથે જોડાયેલા છે. ઉઘરાવેલી રકમ સુપારસ શેઠીયા ઉપરાંત અલાઉદ્દીન અને ઈમરાન વોરા જેવા આરોપીઓ સુધી પહોંચતી હતી. પોલીસે આ ત્રણેયને પકડવા માટે ચક્રગતિમાન કર્યા છે. આ ટોળકી રોકાણકારોને આકર્ષવા માટે ટ્રેડિંગ સિગ્નલ આપવાના બહાને ડિજિટલ માયાજાળ રચી રહી હતી. પોલીસ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં કુલ કેટલા કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અન્ય કેટલા લોકો આ જાળમાં ફસાયા છે.
આ કિસ્સો સામે આવ્યા બાદ કેટલાક ગંભીર સવાલો ઉભા થાય છે. શું શહેરમાં ચાલી રહેલી આવી પેઢીઓની નોંધણી કે તપાસ માટે તંત્ર પાસે કોઈ મજબૂત મિકેનિઝમ નથી? જ્યારે RBI દ્વારા અમુક એક્સચેન્જ કે લિંક્સ પર પ્રતિબંધ હોય, ત્યારે સામાન્ય જનતા સુધી તેની માહિતી કેમ નથી પહોંચતી? લોકોએ પણ સમજવું પડશે કે જો કોઈ સ્કીમ રાતોરાત અમીર બનાવવાની વાત કરતી હોય, તો તેમાં જોખમ વધુ હોય છે. સોશિયલ મીડિયા પર મળતી અજાણી લિંક્સ કે ટ્રેડિંગ ટિપ્સ પર આંધળો વિશ્વાસ કરવો એ આર્થિક આત્મહત્યા સમાન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તે સંસ્થા SEBI માન્ય છે કે નહીં તેની ચકાસણી કરવી અનિવાર્ય છે.
લાલચમાં ન ફસાવવા પોલીસની અપિલ
સુરત સાયબર ક્રાઈમ દ્વારા આ મોટો પર્દાફાશ કરીને અનેક પરિવારોને પાયમાલ થતા બચાવ્યા છે. ડીસીપી બિશાખા જૈને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ટૂંકા રસ્તા અપનાવવાની લાલચમાં ન આવે. સાયબર ક્રાઈમની આ દુનિયામાં આરોપીઓ હંમેશા એક ડગલું આગળ રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ જનતાની જાગૃતિ જ આવા ગુનેગારોને રોકી શકે છે. જો કોઈ વ્યક્તિ આવી છેતરપિંડીનો ભોગ બની હોય, તો તેણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર પર જાણ કરવી જોઈએ જેથી કરીને સમયસર પગલાં લઈ શકાય.
આ પણ વાંચો:








