
Surat: સુરતની યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં આજીવન સજા ભોગવી રહેલા આસારામને હાઇકોર્ટ તરફ મોટી રાહત મળી છે. તબીબી કારણોસર હાઇકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવ્યા છે.
સુરત દુષ્કર્મ કેસમાં આસારામને રાહત
સુરતની યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરતા આસારામને તબીબી કારણોસર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમજ વધુ જરૂર પડે તો સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી. જેથી ગુજરાત હાઇકોર્ટે આસારામની અરજી ઉપર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના 3 મહિનાના જામીન મંજુર કર્યા હતા ત્યારે આ જામીનની મુદત પુરી થતા આસારામે જામીન અરજીને લંબાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આસારામે વધુ 3 મહિના જામીન વધારાની કરી હતી માંગ
આસારામની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે આસારામની હંગામી જામીન વધારવાની અરજી ઉપર દોઢ કલાક કરતા વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન આસારામે વધુ 3 મહિના જામીન વધારવા માટે માંગ કરી હતી. જો કે હાઇકોર્ટમાં ડબલ જજની બેંચે આ જામીન છેલ્લી વખત 1 મહિનાના જામીન લંબાવ્યા છે.
સુરતનો શું હતો કેસ?
ઉલ્લેખનીયછે કે, ઓક્ટોબર 2013 માં, સુરતની છોકરીઓએ આસારામ અને અન્ય સાત લોકો સામે બળાત્કાર અને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાનો કેસ દાખલ કર્યો હતો. નાની બહેને નારાયણ સાંઈ અને મોટી બહેન વિરુદ્ધ આસારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ગાંધીનગર સેશન્સ કોર્ટે 2013માં સુરતની બે બહેનો પર બળાત્કાર કરવાના કેસમાં આસારામને દોષિત ઠેરવ્યા હતા. અને આજીવન કેદની સજા ફટકારી હતી.
આસારામને બે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા
તમને જણાવી દઈએ કે આસારામ વિરુદ્ધ ગુજરાતના ગાંધીનગર અને રાજસ્થાનના જોધપુરમાં બળાત્કારના કેસ નોંધાયેલા છે. બંને કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જો કે, તેઓ તબીબી કારણોસર બંન્ને કેસમાં હાલ જેલમાંથી બહાર છે.









