
Lok Sabha: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ વખતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણ વખતે ચીંનની ટેન્ક લદાખ સુધી ઘૂસી ગયાનો મુદ્દો ઉઠાવતા ભાજપે રાહુલ સામે ગૃહની મર્યાદા તોડવાનો અને લોકસભા અધ્યક્ષનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને આ મામલે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને જાહેર માફી માંગવા જણાવ્યું છે.કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વધુમાં જણાવ્યું હતુ કે રાહુલ ગાંધીએ વિપક્ષી નેતા તરીકે લોકસભામાં બોલવાના અધિકારનો દુરુપયોગ કર્યો છે કેમકે તેઓએ એક એવા પુસ્તકનો ઉલ્લેખ કર્યો જેનું પ્રકાશન પણ થયું નથી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે રાહુલ ગાંધી કોઈ અપ્રકાશિત પુસ્તકનો લોકસભામાં હવાલો આપી શકે નહીં કારણ કે તે સંસદીય નિયમોની વિરુદ્ધ છે.ભાજપના સાંસદ જગદંબિકા પાલની પણ પ્રતિક્રિયા સામે આવી જેમાં તેઓએ રાહુલ ગાંધીના ભાષણને શરમજનક ગણાવ્યુ અને રાહુલ સામે કાર્યવાહીની માંગ કરી છે.
જોકે ભાજપના જોરદાર આક્રમણ સામે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પણ વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું કે મોદી સરકાર તેમની નિષ્ફળતા છુપાવવા માટે રાહુલ ગાંધીને બોલતા અટકાવી રહી છે અને તેથીજ પૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ નરવણેના પુસ્તકના પ્રકાશનને રોકવાના પ્રયાસો થઈ રહયા છે.
આ સિવાય રાજ્યસભા સાંસદ અને આરજેડી નેતા મનોજ ઝાએ પણ રાહુલનું સમર્થન કરતા કહ્યું કે ‘ગૃહ પોતાના જ બનાવેલા નિયમોથી દૂર જઈ રહ્યું છે જનરલ એમ.એમ. નરવણેની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ ભવિષ્યમાં પ્રકાશિતતો થવાની જ છે તેમાં તેઓએ પોતાના અનુભવ લખ્યા છે તે વાત રાહુલ ગાંધીએ કહી છે.
સાથેજ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી પણ રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા અને જણાવ્યું કે લોકપ્રતિનિધિઓના બોલવાના અધિકારો છીનવાઈ રહ્યા છે અને પંડિત નેહરુના નામે વિપક્ષના અસ્તિત્વ પર સવાલો ઉઠાવવા તે પણ સંસદીય ગરિમાની વિરુદ્ધ હોવાની વાત કરી હતી આમ,પૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ નરવણેના પુસ્તકનો મામલો હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








