
■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું
UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ પસાર થયું. ભાજપે તેને સમાનતા સુનિશ્ચિત કરતા ઐતિહાસિક સુધારા તરીકે વખાણ્યું, જ્યારે કોંગ્રેસે તેનો સખત વિરોધ કર્યો, દલીલ કરી કે તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે તેને “મુસ્લિમ વિરોધી” ગણાવ્યું.
આ બિલમાં તમામ ધર્મોમાં લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધો માટે એક સમાન કાયદાની જોગવાઈ છે, આ બિલ વિધાનસભામાં ધ્વનિ મતદાન(હાથ ઊંચો કરી ‘હા’ કે ‘ના’ માં બોલાતું મતદાન Voice Vote) દ્વારા પસાર થયું હતું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો અને તેને પસંદગી સમિતિ (Select Committee)
ને મોકલવાની માંગ કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે આ બિલ રજૂ કર્યું હતું ત્યારબાદ સાત કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી ચર્ચા બાદ બિલ પસાર થયું હતું આ સાથેજ ગુજરાત ઉત્તરાખંડ પછી યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું છે. ફેબ્રુઆરી 2024 માં યુસીસી પસાર કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું.
આ બિલને ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ 2026’ નામ આપવામાં આવ્યું છે. એકવાર અમલમાં આવ્યા પછી, તે સમગ્ર રાજ્ય અને રાજ્યની બહાર રહેતા ગુજરાતીઓને પણ લાગુ પડશે. જો કે, આ પ્રસ્તાવિત કાયદો અનુસૂચિત જનજાતિ (ST) અને અમુક સમુદાયોને લાગુ પડશે નહીં જેમના પરંપરાગત અધિકારો બંધારણ હેઠળ સુરક્ષિત છે.
બિલના “ઉદ્દેશ્ય અને કારણો” માં જણાવાયું છે કે આ કોડનો ઉદ્દેશ્ય એક સમાન કાનૂની માળખું બનાવવાનો છે. તે લિવ-ઇન સંબંધોની નોંધણી તેમજ ઔપચારિક ઘોષણા દ્વારા તેમના સમાપ્તિની જોગવાઈ કરે છે આ બિલ બહુપત્નીત્વ પર પણ પ્રતિબંધ મૂકે છે. આનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનસાથી જીવિત હોય ત્યારે ફરીથી બીજા લગ્ન કરી શકતી નથી. તેમાં જણાવાયું છે કે આ સંહિતા હેઠળ લગ્ન ફક્ત ત્યારે જ માન્ય રહેશે જો લગ્ન સમયે બંને પક્ષોમાંથી કોઈનો જીવનસાથી જીવિત ન હોય, બિલ રજૂ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક સંયુક્ત અને અવિભાજિત રાષ્ટ્ર માટે એક સમાન કાનૂની માળખું આવશ્યક છે.
તેમણે કહ્યું, “આપણા પ્રાચીન શ્લોકોમાં પણ કહેવામાં આવ્યું છે કે સત્ય એક જ છે, ભલે તે અલગ અલગ રીતે વ્યક્ત કરવામાં આવે. અને જો સત્ય એક જ હોય, તો ભલે ઘણા ધર્મો હોય, ન્યાય એક જ હોવો જોઈએ.” બંધારણનો ઉલ્લેખ કરતા તેમણે વધુમાં કહ્યું, “બંધારણની કલમ 14 દરેક નાગરિક માટે કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપે છે. અને તે જ બંધારણની કલમ 44 રાજ્યને સમાન નાગરિક સંહિતા તરફ આગળ વધવાનો નિર્દેશ આપે છે. હવે, યુસીસીના અમલીકરણ સાથે, ધર્મ અથવા જાતિના આધારે નાગરિકો વચ્ચે વિભાજન અથવા ભેદભાવ સંબંધિત કોઈપણ નીતિ અથવા વિવાદ દૂર થશે.”
જોકે, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે તેનો વિરોધ કરતા કહ્યું કે, “તમે 2027 માં આવનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં આ બિલ રજૂ કર્યું છે. અમે માંગ કરીએ છીએ કે તેને વિધાનસભાની પસંદગી સમિતિને મોકલવામાં આવે.” કોંગ્રેસના અન્ય ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે આ બિલ બંધારણીય ગેરંટીઓનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું, “બંધારણની કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને તમામ નાગરિકોને કાયદાનું સમાન રક્ષણ સુનિશ્ચિત કરે છે. આ બિલ આ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતું દેખાય છે. તમે ગૃહમાં તમારી બહુમતીનો ઉપયોગ કરીને લોકોના અધિકારો છીનવી લેવા માંગો છો.” કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કાયદાને “મુસ્લિમ વિરોધી” ગણાવ્યો હતો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








