Kalpasar Project Gujarat: “કલ્પસર” PROJECT ના ઘોડા મન ફાવે એટલા દોડાવો પણ હકિકત એ છે કે તેને નેધરલેન્ડ પણ બનાવી શકે તેમ નથી!

Kalpasar Project Gujarat: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય પ્રતિનિધિમંડળે નેધરલેન્ડની મુલાકાત લીધી હતી. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે ખંભાતના અખાતમાં સાકાર થનારી અદ્વિતીય ‘કલ્પસર યોજના’ માટે નેધરલેન્ડ સાથે ટેકનિકલ સહયોગની મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, નેધરલેન્ડની વિશ્વવિખ્યાત ડચ હાઈડ્રોલિક અને મરીન એન્જિનિયરિંગ નિષ્ણાતોની ટીમ કલ્પસરના ડિઝાઇન રિવ્યુ પર કામ કરશે. મૂળ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના આ ડ્રીમ પ્રોજેક્ટને હવે ડચ ટેકનોલોજીની નવી પાંખો મળી હોવાનો દાવો સરકાર કરી રહી છે. પરંતુ જમીની હકીકત એ છે કે આ માત્ર એક વહીવટી સમજૂતી (MOU) છે, કોઈ પાકો સત્તાવાર કરાર નથી, જે આ યોજનાની ગોકળગાય ગતિ પર સવાલો ઉભા કરે છે.

ચૂંટણી લક્ષી ગતકડું કે કલ્પનાના ઘોડા? ૨૨ વર્ષથી માત્ર ખાતમુહૂર્ત અને જાહેરાતોનો ખેલ

કલ્પસર યોજનાનો ઇતિહાસ તપાસીએ તો એક પત્રકાર તરીકે વર્ષ ૨૦૦૪ના દિવસો યાદ આવે છે. પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૫મી ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ ગાંધીનગરમાં સત્તાવાર રીતે કલ્પસરની પ્રેસનોટ અને પ્રોમો ફિલ્મ જાહેર કરી હતી. આજે વર્ષ ૨૦૨૬ ચાલી રહ્યું છે અને રાજ્યમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે બરાબર આ જ સમયે ફરી એકવાર કલ્પસરના નામે રાજકીય માહોલ ગરમ કરવામાં આવી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, અત્યાર સુધીમાં ભાવનગર ખાતે ત્રણ-ત્રણ વખત આ યોજનાના ફાઉન્ડેશન સ્ટોન (ખાતમુહૂર્ત) મૂકવામાં આવ્યા છે, પરંતુ ૨૨ વર્ષના લાંબા સમયગાળા પછી પણ ખંભાતના દરિયામાં આ પ્રોજેક્ટની એક ઈંટ પણ મુકાઈ નથી. આથી પ્રજાના મનમાં સવાલ થાય છે કે શું આ યોજના પણ માત્ર ચૂંટણી જીતવાનું એક મોટું ગતકડું જ છે?

સરકારી દાવાઓનું ગણિત: અંતર ઘટશે, સૌર-પવન ઉર્જા મળશે પણ પોર્ટ પ્રોજેક્ટ સાવ ગાયબ

ખંભાતના અખાતમાં પૂર્વ કિનારે હાસોટ (ભરૂચ) અને પશ્ચિમ કિનારે ઘોઘા (ભાવનગર) ને જોડતા ૬૪ કિલોમીટર લાંબા મસમોટા બંધ દ્વારા કલ્પસર સમૃદ્ધિનું સરોવર બનાવવાનું સરકારી આયોજન છે. આ યોજનાથી સૌરાષ્ટ્રના ૯ જિલ્લા અને ૪૨ તાલુકાના અંદાજે ૧૦ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચાડવાનો દાવો છે. જોકે, સંશોધિત ડ્રાફ્ટ પ્લાન મુજબ તેનાથી માત્ર ૨ લાખ હેક્ટર નવી જમીન જ સંપાદિત થશે. આ બંધ પર બનનારા ૧૬ લેનના હાઈવેના કારણે સુરત અને ભાવનગર વચ્ચેનું અંતર સાવ ઘટી જશે, જેનાથી પરિવહનનો સમય ૯ કલાકથી ઘટીને માત્ર ૪.૫ કલાક થઈ જશે. આ સિવાય ૧૫૦૦ મેગાવોટ પવન ઉર્જા, ૧૦૦૦ મેગાવોટ સૌર ઉર્જા અને વાર્ષિક ૧૦૦૦૦ ટન માછલીઓના ઉત્પાદનની વાતો ફિલ્મમાં કરાઈ છે. પરંતુ વર્તમાન મુખ્યમંત્રીની નવી જાહેરાતોમાં અગાઉ વચન અપાયેલા આંતરરાષ્ટ્રીય પોર્ટ (બંદર) કે ટાઈડલ પાવર પ્રોજેક્ટનો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી, જે સૂચવે છે કે પ્રોજેક્ટના કદમાં ધરખમ કાપ મુકાયો છે.

૩ લાખ કરોડનું અંધાધૂંધ બજેટ અને વર્ષ ૨૦૨૮ સુધી લંબાયેલા માત્ર પ્રાથમિક સર્વે

કલ્પસર પ્રોજેક્ટના આર્થિક પાસાંઓ પર નજર કરીએ તો તે કોઈ પણ સામાન્ય અર્થતંત્રના કમર તોડી નાખે તેવા છે. નિષ્ણાતો અને સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, જો આજે પણ બંધનું બાંધકામ શરૂ કરવામાં આવે તો વર્તમાન સ્થિતિએ લઘુત્તમ ૧,૭૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. પરંતુ હજુ સુધી ડેમની ફાઈનલ ઇજનેરી ડિઝાઇન જ તૈયાર થઈ શકી નથી, જેના કારણે આગામી ૫ વર્ષ સુધી વાસ્તવિક બાંધકામ શરૂ થવાની કોઈ શક્યતા નથી. જો પાંચ વર્ષ પછી કામ શરૂ થાય અને તે પૂરું થાય ત્યાં સુધીમાં મોંઘવારીના કારણે આ ખર્ચ અંદાજે ૨.૫ લાખ કરોડથી લઈને ૩ લાખ કરોડ રૂપિયા સુધી આંબી જશે. આ યોજના માટે અત્યાર સુધીમાં ૨૦ જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ૫૧ જેટલા વિવિધ ભૌગોલિક અને પર્યાવરણીય અભ્યાસો પૂરા કરાયા છે અને બાકીના ૩ મહત્વના સર્વે જૂન ૨૦૨૮ સુધીમાં પૂરા થવાનો અંદાજ છે. એટલે કે હજુ બે વર્ષ તો માત્ર કાગળ પર રિપોર્ટ જ બનશે.

પ્રદૂષિત પાણીની શુદ્ધતાનો મોટો પડકાર અને ૧૭૦૦ ઘન મીટર વપરાશનું લક્ષ્ય

કલ્પસર સરોવરમાં ગુજરાતની મોટી નદીઓ જેવી કે સાબરમતી, મહી, નર્મદા અને ઢાઢર, તેમજ સૌરાષ્ટ્રની નાની નદીઓ જેવી કે લીમડી ભોગાવો, સુખભાદર, ઉતાવડી, કેરી, ઘેલો અને કાળુભારનું પાણી એકત્રિત થવાનું છે. આ નદીઓ દર વર્ષે અંદાજે ૩૦,૦૦૦ એમસીએમ (MCM) મીઠું પાણી દરિયામાં વહાવી દે છે, જેને રોકવું જળ કટોકટીના નિવારણ માટે અનિવાર્ય છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતમાં પાણીની ભયાનક તંગી સર્જાવાની સંભાવના હોવાથી માથાદીઠ વાર્ષિક વપરાશ ૯૨૦ ઘન મીટરથી વધારીને ૧૭૦૦ ઘન મીટર કરવો જરૂરી છે. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે આ નદીઓમાં ઉદ્યોગો અને શહેરોનું અત્યંત કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી આવે છે. કલ્પસરને પીવાલાયક મીઠા પાણીનું સરોવર બનાવવા માટે આ પાણીમાં ૦% અશુદ્ધતા હોવી જોઈએ, જેના માટે હજારો કરોડના અલગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવા પડશે, જેની કોઈ ચોક્કસ યોજના હાલ તંત્ર પાસે નથી.

રેલવે મંત્રાલયનું રહસ્યમય મૌન અને સમુદ્રની પ્રચંડ વેલોસિટીનો ઇજનેરી પડકાર

આ પ્રોજેક્ટની સફળતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલનનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે. ગુજરાત સરકારે આ ૬૧ કિલોમીટર લાંબા બંધ પર રેલવે ટ્રેક (પાટા) નાખવા માટે કેન્દ્રના રેલવે મંત્રાલયને લેખિત દરખાસ્ત મોકલીને આર્થિક ભાગીદારી માંગી હતી, પરંતુ આજ દિન સુધી કેન્દ્રીય રેલવે વિભાગે ગુજરાત સરકારના પત્રનો કોઈ જવાબ સુદ્ધાં આપ્યો નથી. આ સિવાય ભૌગોલિક દ્રષ્ટિએ ખંભાતનો અખાત વિશ્વમાં સૌથી વધુ ભરતી-ઓટ ધરાવતો વિસ્તાર છે. જ્યારે બંને છેડેથી બંધ બાંધવાનું શરૂ થશે અને વચ્ચેનો સમુદ્ર સાંકડો થશે, ત્યારે દરિયાઈ પ્રવાહની વેલોસિટી (ઝડપ) ૬૦ ફૂટ સુધી પહોંચી જશે. આ પ્રચંડ ફોર્સ એટલો શક્તિશાળી હશે કે મોટા-મોટા લોખંડના સળિયા અને પથ્થરો પણ ધોવાઈ જશે. વિશ્વમાં આજ સુધી આવા પ્રચંડ વેગવાળા દરિયા પર કોઈ ડેમ બન્યો નથી, જેના કારણે આખી નવી જ અને જોખમી ડિઝાઇન બનાવવી પડશે.

નેધરલેન્ડની મર્યાદા અને કલ્પસર વિભાગમાં સ્ટાફની ઘોર અછત

સરકાર ભલે નેધરલેન્ડના સહયોગના ઢોલ પીટતી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે નેધરલેન્ડની પોતાની યોજનાઓ માત્ર નીચાણવાળા વિસ્તારોમાં દરિયાનું પાણી રોકવા માટેની છે, જ્યારે કલ્પસર એ દરિયાની અંદર મીઠા પાણીનો ડેમ બનાવવાનો પ્રોજેક્ટ છે. નેધરલેન્ડ પાસે આટલો મોટો બંધ બનાવવાનો ન તો કોઈ જમીની અનુભવ છે કે ન તો તેવી આર્થિક ક્ષમતા. તેથી સરકારે અંતે તો ગ્લોબલ (વૈશ્વિક) ટેન્ડર જ બહાર પાડવું પડશે. વધુમાં, ગુજરાત સરકારના કલ્પસર વિભાગ પાસે આટલા મોટા પ્રોજેક્ટને હેન્ડલ કરવા માટે પૂરતો સત્તાવાર ટેકનિકલ સ્ટાફ કે એન્જિનિયરો જ ઉપલબ્ધ નથી. બધું જ કામ આઉટસોર્સિંગથી ચાલી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી’ (NIOT) જેવી ભારતીય સંસ્થાઓ જ આ ક્ષમતા ધરાવે છે.

એક જાગૃત પત્રકાર તરીકે ઉભા થતા સવાલો

ગુજરાતના વિકાસ અને પ્રજાના ટેક્સના અબજો રૂપિયા સાથે જોડાયેલી આ યોજના પર એક જાગૃત પત્રકાર તરીકે સરકાર સામે પ્રશ્નો પૂછવા અનિવાર્ય છે:

૧. જ્યારે વર્ષ ૨૦૦૪માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્પસર યોજનાની સત્તાવાર જાહેરાત કરીને ફિલ્મ લોન્ચ કરી હતી, તો આજે ૨૨ વર્ષ (૨ દાયકા) વીતી જવા છતાં આ યોજના માત્ર કાગળ પર જ કેમ સીમિત છે? ત્રણ-ત્રણ વખત ખાતમુહૂર્ત કર્યા પછી પણ દરિયામાં એક પણ ઈંટ કેમ નથી મુકાઈ? શું દર વખતે ચૂંટણી નજીક આવતા જ આ યોજનાને માત્ર વોટબેંકના રાજકારણ માટે જ ‘કબરમાંથી’ બહાર કાઢવામાં આવે છે?

૨. કલ્પસરમાં ભળનારી સાબરમતી અને મહી જેવી નદીઓ આજે કેમિકલ અને ફેક્ટરીઓના ઝેરી કચરાથી ગંભીર રીતે પ્રદૂષિત છે. આ પ્રદૂષિત પાણીને ૦% શુદ્ધ કર્યા વિના સરોવરમાં ભેગું કરવાથી તે પીવાલાયક તો દૂર, સિંચાઈ માટે પણ ઝેર સમાન સાબિત થશે. તો આ અશુદ્ધિ દૂર કરવા માટેનો વાસ્તવિક માસ્ટર પ્લાન અને તેનો અલગ નાણાકીય ખર્ચ સરકાર કેમ જાહેર નથી કરતી?

૩. કેન્દ્રમાં અને રાજ્યમાં બંને જગ્યાએ એક જ પક્ષની ‘ડબલ એન્જિન’ સરકાર હોવા છતાં, કલ્પસર ડેમ પર રેલવે ટ્રેક બનાવવા અંગે ગુજરાત સરકારે મોકલેલા પ્રસ્તાવનો કેન્દ્રીય રેલવે મંત્રાલયે આજ સુધી કોઈ જવાબ કેમ નથી આપ્યો? આ વહીવટી ઉદાસીનતા શું દર્શાવે છે? કલ્પસર વિભાગમાં કાયમી સ્ટાફની અછત વચ્ચે, ૨.૫ લાખ કરોડનો આ અતિ-જટિલ પ્રોજેક્ટ માત્ર આઉટસોર્સિંગના ભરોસે કઈ રીતે અને ક્યારે પૂરો થશે? જનતાને વાસ્તવિક પાણી મળશે કે માત્ર જાહેરાતોનું ગતકડું?

આ પણ વાંચો: 

Jairam Ramesh: નીટ પરીક્ષા રદ થયા બાદ ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદન પર રાજકીય વિવાદ, કોંગ્રેસે રાજ્યસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપી – thegujaratreport.com

Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે! – thegujaratreport.com

Beed Women Hysterectomy: ‘પીરિયડ્સ કામમાં અવરોધ’ કહી મહિલાઓના ઓપરેશન? બીડ જિલ્લાના શેરડી ઉદ્યોગ પર ગંભીર સવાલો – thegujaratreport.com

Related Posts

Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ
  • August 19, 2026

Ahmedabad Hiteshbhai Pandya accident: ગુજરાતમાં પોલીસ ફરિયાદ અને FIRની સ્થિતિમાં પારદર્શિતા લાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ફરિયાદ નોંધાયા બાદ અરજદારને મોબાઇલ પર મેસેજ દ્વારા FIR નંબર,…

Continue reading
Cyber Crime Network: 26 રાજ્યોમાં સાયબર ઠગોનું સામ્રાજ્ય! ચીન-પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ, 21 હજાર OTPના સોદાથી કરોડોની છેતરપિંડી
  • August 19, 2026

Cyber Crime Network: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ 26 ભારતીય રાજ્યોમાં સક્રિય એક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parents birthplace Census 2027: જ્ઞાતિ, ધર્મ અને પરિવારની વિગતો બાદ હવે માતા-પિતાની જન્મ માહિતી કેમ?

  • August 19, 2026
  • 2 views
Parents birthplace Census 2027: જ્ઞાતિ, ધર્મ અને પરિવારની વિગતો બાદ હવે માતા-પિતાની જન્મ માહિતી કેમ?

Azam Khan ED raid: આઝમ ખાન પર EDના દરોડા, ચૂંટણી પહેલાં ફરી ગરમાયું UPનું રાજકારણ

  • August 19, 2026
  • 5 views
Azam Khan ED raid: આઝમ ખાન પર EDના દરોડા, ચૂંટણી પહેલાં ફરી ગરમાયું UPનું રાજકારણ

Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ

  • August 19, 2026
  • 8 views
Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ

Modi vs Nehru: નેહરુને ભૂંસવાની રાજનીતિ વચ્ચે સંસદથી અંતર કેમ? મોદી સરકારની સંસદીય કાર્યશૈલી પર મોટા સવાલ

  • August 19, 2026
  • 7 views
Modi vs Nehru: નેહરુને ભૂંસવાની રાજનીતિ વચ્ચે સંસદથી અંતર કેમ? મોદી સરકારની સંસદીય કાર્યશૈલી પર મોટા સવાલ

Cyber Crime Network: 26 રાજ્યોમાં સાયબર ઠગોનું સામ્રાજ્ય! ચીન-પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ, 21 હજાર OTPના સોદાથી કરોડોની છેતરપિંડી

  • August 19, 2026
  • 7 views
Cyber Crime Network: 26 રાજ્યોમાં સાયબર ઠગોનું સામ્રાજ્ય! ચીન-પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ, 21 હજાર OTPના સોદાથી કરોડોની છેતરપિંડી

Delhi Medical Scam: દિલ્હીના હેલ્થ વિભાગમાં ₹750 કરોડથી વધુનું કથિત કૌભાંડ? ટેન્ડરથી બેંક ખાતાઓ સુધી ઉઠ્યા ગંભીર સવાલ

  • August 19, 2026
  • 7 views
Delhi Medical Scam: દિલ્હીના હેલ્થ વિભાગમાં ₹750 કરોડથી વધુનું કથિત કૌભાંડ? ટેન્ડરથી બેંક ખાતાઓ સુધી ઉઠ્યા ગંભીર સવાલ