
Surendranagar Mining Royalty Scam: ગુજરાતમાં હાલના સમયમાં ખનીજ સંપદાની સરેઆમ લૂંટફાટ ચાલી રહી છે, જેમાં માત્ર બહારના ગુનેગારો કે માફિયાઓ જ નહીં પરંતુ સરકારી અધિકારીઓ અને કેટલાક વગદાર રાજકીય નેતાઓ પણ સીધી ભૂમિકા ભજવી રહ્યા છે. નેતાઓ અને તંત્રના આશીર્વાદથી બેફામ બનેલા ખનીજ માફિયાઓ રાજ્યની કુદરતી સંપત્તિને ખોતરી રહ્યા છે. આ ગેરકાયદેસર કાળા કારોબારનું સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લો છે, જ્યાંથી બાંધકામ ઉદ્યોગ અને રોડ-રસ્તા બનાવવા માટે વપરાતી કપચી (બ્લેક ટ્રેપ) ની મોટા પાયે અબજો રૂપિયાની ચોરી થઈ રહી છે. ગ્રાઉન્ડ લેવલ પર આખી સિસ્ટમ જ માફિયા બની ગઈ હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
૫,૦૦૦ કરોડની આવક સામે સરકારને મળી માત્ર ૧ ટકા રોયલ્ટી
નિષ્ણાતો અને માઇનિંગ એડવાઇઝર્સના આંકડાકીય કેલ્ક્યુલેશન પ્રમાણે, ગુજરાતમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, જિલ્લા-ગ્રામ્ય રસ્તાઓ અને શહેરી વિસ્તારોમાં થઈ રહેલા બાંધકામોમાં રોજેરોજની હજારો ટન કપચી વપરાય છે. રાજ્યમાં વર્ષે અંદાજે ૨૦ કરોડ ટન કપચીની ખપત છે. એક ટન દીઠ પ્રીમિયમ સાથે ૧૬૦ થી ૨૦૦ રૂપિયાની રોયલ્ટી અને ૧૮% જીએસટી ગણવામાં આવે તો સરકારને વર્ષે ઓછામાં ઓછી ૪,૦૦થી ૫,૦૦૦ કરોડ રૂપિયાની કાનૂની આવક થવી જોઈએ. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રેતી, માટી અને કપચી સહિતના ગૌણ ખનીજની કુલ આવક માંડ ૧૬૦ કરોડ બતાવાઈ છે, જેમાં માત્ર કપચીની રોયલ્ટી ૫૦ કરોડથી વધતી નથી. આનો અર્થ એ થયો કે માફિયાઓ માત્ર ૧ ટકા રોયલ્ટી ભરે છે અને બાકીની ૯૯ ટકા રકમ નેતાઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ આપસમાં ચરી જાય છે.
સુરેન્દ્રનગર જિલ્લો ખનીજ ચોરીનું સ્વર્ગ: ડ્રોન કેમેરામાં કેદ થઈ રોયલ્ટી વગરની ટ્રકોની કતાર
સુરેન્દ્રનગર જિલ્લો ભૂગર્ભ ખનીજ સંપદા માટે આખા ગુજરાતમાં એક સ્વર્ગ સમાન છે, પરંતુ આજે તે માફિયાઓ માટે કમાણીનું સાધન બની ગયો છે. તાજેતરમાં ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલી તસ્વીરો અને વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કોઈપણ જાતની રોયલ્ટી ચૂકવ્યા વિના ૧૦૦ એ ૧૦૦ ટકા ગેરકાયદેસર રીતે કપચી ભરીને સેંકડો ટ્રકો રસ્તાઓ પર દોડી રહી છે. જ્યારે પણ સ્થાનિક વહીવટી તંત્ર કે પોલીસ રેડ કરે છે, ત્યારે માત્ર વાહવાહ લૂંટવા માટે નાના માણસોને પકડીને મીડિયામાં માફિયા શબ્દ વાપરી મોટી સ્ટોરીઓ પ્લાન્ટ કરવામાં આવે છે, પરંતુ અસલી કૌભાંડીઓ પડદા પાછળ સુરક્ષિત રહે છે.
પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો પ્રહાર: સરકારી કોન્ટ્રાક્ટરો જ સૌથી મોટા ચોર
ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વિડીયો રિલીઝ કરીને અને અગાઉ વિધાનસભામાં પણ આ મુદ્દે અવાજ ઉઠાવીને તંત્રને ખુલ્લું પાડ્યું છે. તેમણે કહ્યું કે સૌથી મોટા ખનીજ ચોર બીજું કોઈ નહીં પણ સરકારી વિભાગો, સરકારી કોન્ટ્રાક્ટરો અને સરકારમાં બેઠેલા અધિકારીઓ પોતે જ છે. રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવે અને હીરાસર એરપોર્ટના રનવે જેવા વિશાળ સરકારી પ્રોજેક્ટ્સમાં આજુબાજુના વિસ્તારોમાંથી જ ગેરકાયદેસર રીતે માટી અને કપચી ખોદીને વાપરવામાં આવી છે, જેની કોઈ રોયલ્ટી ભરાઈ નથી. આ બધું જ કમિશન પ્રથા અને હપ્તાખોરીના કારણે તંત્રની નજર સામે ચાલી રહ્યું છે.
થાન વિસ્તારમાં કોલસા અને ચાઇના ક્લેની લૂંટ: દોઢ લાખના હપ્તાથી ચાલે છે ગેરકાયદે ખાણો
આ વિસ્તારમાં માત્ર બ્લેક ટ્રેપ જ નહીં, પરંતુ થાનગઢની આસપાસ કોલસો, ચાઇના ક્લે અને શિપરા ખનીજની પણ બેફામ ચોરી થાય છે જે મોરબીના સિરામિક ઉદ્યોગમાં સપ્લાય કરવામાં આવે છે. સ્થાનિક નાના બાળકોને પણ ખબર છે કે એક ગેરકાયદે ખાણ ચલાવવા માટે અધિકારીઓને દોઢથી પોણા બે લાખ રૂપિયાનો હપ્તો નિયમિત પહોંચાડવો પડે છે. જો સરકાર ખરેખર ગંભીર હોય તો આ ઉદ્યોગને લીગલાઈઝ (કાયદેસર) કેમ નથી કરતી? કાયદેસર ન કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દર ચૂંટણીએ ખનીજ વ્યવસાયીઓને દબાવીને તેમની પાસેથી કરોડો રૂપિયાના ફંડ અને હપ્તા વસૂલવાના હોય છે.
ચોર જ બની ગયો ચોકીદાર: પ્રામાણિક અધિકારીઓની બદલીઓ અને પર્યાવરણનો કચ્ચરઘાણ
સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી અટકાવવા માટે પરેશ મકવાણા જેવા કોઈ પ્રામાણિક પ્રાંત અધિકારી મહેનત કરે અને ગેરકાયદે ખાણો બંધ કરાવે, તો રાજકીય દબાણ લાવીને તાત્કાલિક તેમની બદલી કરી દેવાની અફવાઓ અને ખેલ શરૂ થઈ જાય છે. ભૂતકાળમાં આ જિલ્લાના બે કલેક્ટરો ભ્રષ્ટાચારના કારણે જેલમાં સડી ચૂક્યા છે. માફિયાઓથી બચવા ખનીજ ખાતાના અધિકારીઓને રિવોલ્વરના ૨૫૦ લાયસન્સ અપાયા હોવા છતાં તેઓ ફિલ્ડમાં જઈ શકતા નથી, જ્યારે બારોટ જેવા નિષ્ઠાવાન અધિકારીઓએ સિસ્ટમથી કંટાળીને રાજીનામા આપી દીધા છે. અહીં ચોર જ ચોકીદાર બનીને બેઠો છે, જેના કારણે સ્થાનિક પર્યાવરણનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે અને સમગ્ર વિસ્તાર ‘ચંબલ’ જેવો ભયાનક બની ગયો છે.
આ પણ વાંચો:








