
India Slams Pakistan UN: વૈશ્વિક મંચ પર આતંકવાદના મુદ્દે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે લતાડીને તેની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર (UN) ની બેઠકમાં ભારતે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા પ્રોપેગેન્ડાનો જડબાતોડ જવાબ આપીને તેની બોલતી બંધ કરી દીધી છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાન પર સીધો અને તીખો હુમલો બોલતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે દેશનો આખો ઈતિહાસ જ અમાનવીય નરસંહાર, ક્રૂરતા અને હિંસા સાથે જોડાયેલો રહ્યો છે, તે દેશને ભારતના આંતરિક મામલાઓ પર સહેજ પણ ટિપ્પણી કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. સીમા પારથી થતા આતંકવાદ પર ભારતે વિશ્વ સમક્ષ કડક સંદેશ આપતા માગ કરી છે કે આતંકવાદને સત્તાવાર સમર્થન, પનાહ અને આર્થિક મદદ આપનારા દેશોને હવે વૈશ્વિક સ્તરે જવાબદાર ઠેરવી તેમની સામે કડક પગલાં લેવાનો સમય આવી ગયો છે.
UNAMA રિપોર્ટના આધારે પાકિસ્તાની સેનાના અત્યાચારો ઉઘાડા પાડ્યા
સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતના રાજદ્વારી પી હરીશે ‘યુનાઇટેડ નેશન્સ આસિસ્ટન્સ મિશન ઇન અફઘાનિસ્તાન’ (UNAMA) ના સત્તાવાર રિપોર્ટના ચોંકાવનારા આંકડા રજૂ કરીને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર સંપૂર્ણપણે ઉઘાડું પાડી દીધું હતું. ભારતે સત્તાવાર અહેવાલનો હવાલો આપતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૬ ના શરૂઆતના પ્રથમ ત્રણ મહિનામાં જ પાકિસ્તાની સેના દ્વારા સીમા પાર કરવામાં આવેલી આડેધડ સૈન્ય કાર્યવાહી અને ઘાતક એરસ્ટ્રાઇક (હવાઈ હુમલા) ને કારણે અફઘાનિસ્તાનની ધરતી પર ૭૫૦ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સૌથી શરમજનક બાબત એ છે કે, UNAMA ના ડેટા મુજબ અફઘાનિસ્તાનમાં બનેલી આવી ૯૫ હિંસક ઘટનાઓમાંથી ૯૪ ઘટનાઓ માટે સીધી રીતે પાકિસ્તાની સુરક્ષા દળો અને તેમની ક્રૂર સૈન્ય નીતિઓ જ સંપૂર્ણપણે જવાબદાર સાબિત થઈ છે.
પવિત્ર રમઝાન માસમાં હોસ્પિટલ પર એરસ્ટ્રાઇક
અફઘાનિસ્તાનના નામે પાકિસ્તાની સેનાને બરાબરની ધોતા ભારતે યુએન સમક્ષ વધુ એક અત્યંત ચોંકાવનારી ઘટનાની વિગતો રજૂ કરી હતી. ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું કે, આ જ વર્ષે પવિત્ર રમઝાન માસ દરમિયાન માર્ચ મહિનામાં પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત ‘ઓમિદ એડિક્શન ટ્રીટમેન્ટ હોસ્પિટલ’ (Omid Addiction Treatment Hospital) ને નિશાન બનાવીને ભયાનક એરસ્ટ્રાઇક કરી હતી. પાકિસ્તાનનો આ કાયરતાપૂર્ણ હુમલો બરાબર એ સમયે થયો હતો જ્યારે મુસ્લિમ બિરાદરો રાત્રિની પવિત્ર તરાવીહની નમાઝ અદા કરીને મસ્જિદ અને હોસ્પિટલ પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા. આ અમાનવીય હવાઈ હુમલામાં ૨૬૯ નિર્દોષ સામાન્ય નાગરિકો કરૂણ મોતે માર્યા ગયા હતા અને ૧૨૨ લોકો ઘાયલ થયા હતા, જે પાકિસ્તાનનો અસલી ચહેરો બતાવે છે.
૧૯૭૧ ના ‘ઓપરેશન સર્ચલાઇટ’ ના પાપ યાદ અપાવ્યા
ભારતે પાકિસ્તાનને અરીસો બતાવતા સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની સેના દ્વારા વર્ષ ૧૯૭૧ માં તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ) માં આચરવામાં આવેલા ભયાનક પાપો અને કાળા ઈતિહાસનો સત્તાવાર ઉલ્લેખ કર્યો હતો. ભારતે પાકિસ્તાની સેનાના કુખ્યાત ‘ઓપરેશન સર્ચલાઇટ’ (Operation Searchlight) ને યાદ અપાવતા કહ્યું કે, જે દેશે ભૂતકાળમાં સત્તા બચાવવા માટે પોતાના જ નિર્દોષ નાગરિકો વિરૂદ્ધ બર્બર નરસંહાર ખેલ્યો હતો અને અંદાજે ૪ લાખ લાચાર મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) જેવી જઘન્ય આંતરરાષ્ટ્રીય ગુનાહિત ઘટનાઓને સરકારી આદેશથી અંજામ આપ્યો હતો, તેની કથની આખી દુનિયા જાણે છે. વધુમાં, UNAMA ના અહેવાલ મુજબ પાકિસ્તાનની સીમા પારની સતત હિંસાને કારણે અત્યાર સુધીમાં ૯૪,૦૦૦ થી વધુ ગરીબ અફઘાન નાગરિકોને પોતાના ઘરબાર છોડીને વિસ્થાપિત થવું પડ્યું છે. ભારતે ટોણો માર્યો કે પાકિસ્તાન હંમેશા પોતાની આંતરિક નાકામયબીઓ, આર્થિક કંગાળતા અને રાજકીય નિષ્ફળતા પરથી પોતાના દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે જ ભારત વિરૂદ્ધ સરહદી હિંસા અને ખોટા વૈશ્વિક પ્રચારનો સહારો લેતું આવ્યું છે.
સીમા પાર આતંકવાદ સામે ક્ષેત્રીય શાંતિનો મુદ્દો
યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે વિશ્વના તમામ શક્તિશાળી દેશો સમક્ષ ભારપૂર્વક જણાવ્યું કે, પાકિસ્તાન પ્રેરિત સીમા પારનો આતંકવાદ (Cross-Border Terrorism) આજે પણ સમગ્ર દક્ષિણ એશિયાની ક્ષેત્રીય શાંતિ, અખંડિતતા અને સુરક્ષા માટે સૌથી મોટો અને ગંભીર ખતરો બનેલો છે. ભારત પોતે છેલ્લા કેટલાય દાયકાઓથી આ સીમા પારના આતંકવાદનો સૌથી મોટો શિકાર રહ્યું છે અને દેશે પોતાના હજારો જવાનો તેમજ નાગરિકો ગુમાવ્યા છે. ભારતે સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જે દેશ આતંકવાદી સંગઠનોને પોતાની સરહદમાં આશ્રય આપે છે, તેમને હથિયારો પુરા પાડે છે કે આંતરરાષ્ટ્રીય પ્રોપેગેન્ડા માટે મદદ કરે છે, તેમને હવે ગ્લોબલ કમ્યુનિટીએ કડક આર્થિક અને સૈન્ય પ્રતિબંધો લગાવીને પાઠ ભણાવવો જ પડશે. પૃથ્વી પર કોઈ પણ આઈડિયોલોજી કે કારણના નામે માસૂમ આમ નાગરિકો પર થતા કાયરતાપૂર્ણ હુમલાઓને ક્યારેય પણ સાચા ઠેરવી શકાય નહીં.
આ પણ વાંચો:
Gujarat Chemist Strike: ગુજરાતમાં દવાની દુકાનો બંધ, હડતાલ પાછળનું કારણ સમજો – thegujaratreport.com







