
Morarji Desai Narendra Modi Comparison: ગુજરાતની ધરતીએ દેશને બે શક્તિશાળી વડાપ્રધાનો આપ્યા છે – એક ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈ અને બીજા વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી. પરંતુ આ બંને નેતાઓના દિલ્હી સત્તાના સિંહાસન સુધી પહોંચવાના રસ્તાઓ વચ્ચે એક અદભુત અને રહસ્યમય સમાનતા જોવા મળે છે, જેનો ખુલાસો ખુદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં કર્યો હતો. આ બંને નેતાઓનો સત્તાનો માર્ગ ‘વાયા ગોધરા’ થઈને પસાર થયો હતો. વર્ષ ૧૯૨૭ માં મોરારજી દેસાઈ અંગ્રેજ શાસન હેઠળ ગોધરામાં ડેપ્યુટી કલેક્ટર (આઈસીએસ ઓફિસર) તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે ત્યાં થયેલા કોમી તોફાનોમાં તેમના પર પક્ષપાતનો આક્ષેપ થતાં તેમણે ૧૯૩૦ માં નોકરી છોડી દીધી અને મહાત્મા ગાંધીની અસહકારની ચળવળમાં જોડાઈને આગળ જતાં ૧૯૭૭ માં દેશના પ્રથમ ગુજરાતી પીએમ બન્યા. બિલકુલ એ જ રીતે, નરેન્દ્ર મોદી વડોદરા અને ગોધરામાં આરએસએસના પ્રચારક રહ્યા બાદ રાજકોટની પેટાચૂંટણી જીતી સીએમ બન્યા હતા. વર્ષ ૨૦૦૨ ના ગોધરા ટ્રેન કાંડ અને ત્યારબાદ ફાટી નીકળેલા રમખાણોના હિન્દુત્વના મોજા પર સવાર થઈને નરેન્દ્ર મોદી સત્તા પર ટકી રહ્યા અને છેક વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા. જો ૨૦૦૨ ની એ ઘટનાઓ ન થઈ હોત તો તત્કાલીન જનઆક્રોશ જોતાં ભાજપ માટે સત્તા બચાવવી અશક્ય હતી.
આ બંને વડાપ્રધાનો વચ્ચેનો સૌથી મોટો તફાવત આર્થિક મોરચે અને મોંઘવારીના સ્તરે જોવા મળે છે. ૧૯૭૭ માં કટોકટી હટાવ્યા બાદ ઇન્દિરા ગાંધી સામે જયપ્રકાશ નારાયણ (જેપી) ની આગેવાની હેઠળ આખો દેશ રસ્તા પર આવી ગયો હતો અને જનતા પક્ષની સરકાર બની હતી. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં જે મોંઘવારી દર ૮.૩% હતો, તેને મોરારજી દેસાઈએ પોતાની કુનેહથી ઘટાડીને માત્ર ૨.૫% ની આસપાસ લાવી દીધો હતો. એ સમયે દેશમાં સાચી ‘સોંઘવારી’ આવી હતી, જ્યાં બજારમાં ઘઉં ₹૧ પ્રતિ કિલો, ચોખા ₹૨ પ્રતિ કિલો અને ખાંડ માત્ર ₹૨.૩૦ પૈસા પ્રતિ કિલો મળતી હતી. પ્રજાના હિતની ચિંતા કરનારી એ સરકારમાં પેટ્રોલનો ભાવ માત્ર ₹૩ પ્રતિ લીટર પર અંકુશમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે તેની સામે આજે અચ્છે દિનના દાવા કરનારી નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં મોંઘવારી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે અને દેશનો સામાન્ય નાગરિક જીવલેણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે.
સોના પર અંકુશનો એ જ કાયદો
બંને વડાપ્રધાનો વચ્ચે ત્રીજી મોટી સામ્યતા સોના (ગોલ્ડ) પર નિયંત્રણ લાવવાની નીતિમાં દેખાઈ રહી છે. મોરારજી દેસાઈ જ્યારે દેશના નાણાપ્રધાન અને વડાપ્રધાન હતા, ત્યારે તેઓ દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે સોનાના બિસ્કિટ રાખવા પર પ્રતિબંધ લગાવતો ઐતિહાસિક ‘ગોલ્ડ કંટ્રોલ એક્ટ’ લાવ્યા હતા. બિલકુલ એ જ તર્જ પર વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશની જનતાને સોનાની ખરીદી બંધ કરવાના આહ્વાન બાદ હવે નવો કડક કાયદો લાવવાની ફિરાકમાં છે. આ નવા નિયમો હેઠળ બેંકની સેફ ડિપોઝિટ લોકર્સમાં રાખેલા ઘરેણાં અને સોનાનો એક-એક હિસ્સો જાહેર કરવો પડશે અને સોનાના બિસ્કિટ રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે. જો કે, મોરારજી દેસાઈનો હેતુ દેશના હિતનો હતો, જ્યારે મોદી શાસનમાં આ કાયદાનો ઉપયોગ જનતાને વધુ પરેશાન કરવા માટે થવાની આશંકા સેવાઈ રહી છે.
નરેન્દ્ર મોદીનું જૂનું નિવેદન બન્યું ગળાનો ફાંસો
વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદીએ તત્કાલીન પીએમ મનમોહન સિંહની યુપીએ સરકાર પર મોંઘવારી મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ ભૂતકાળમાં ભાષણ આપતા કહ્યું હતું કે, “પેટ્રોલના ભાવ વધારી દેવા એ દિલ્હી સરકારની શાસન ચલાવવાની નાકામયાબીનો જીવતો જાગતો પુરાવો છે.” પરંતુ આજે એ જ મોદી શાસનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાનને આંબી ગયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદી જ્યારે સત્તા પર આવ્યા ત્યારે પેટ્રોલ ₹૬૨ ની આસપાસ હતું, જે આજે પ્રજાને લૂંટીને ₹૧૦૦ ને પાર એટલે કે સદી ફટકારી ચૂક્યું છે. છેલ્લા માત્ર ૧૧ દિવસમાં જ પેટ્રોલમાં સાડા સાત રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટની સરખામણીએ ભારતીય રૂપિયો ડોલર સામે સતત ગબડી રહ્યો છે, જેના પર સરકાર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે.
લોકશાહી સંસ્થાઓનું પતન અને કોર્પોરેટ લૂંટ
મોરારજી દેસાઈ લોકશાહી અને જનતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા, જ્યારે વર્તમાન મોદી સરકાર માત્ર ગણી-ગાંઠી કોર્પોરેટ કંપનીઓ અને પોતાના માનીતા ઉદ્યોગપતિઓનો વિકાસ કરવામાં જ વ્યસ્ત છે. દેશમાં લોકતંત્રના મજબૂત આધારસ્તંભ ગણાતી સ્વતંત્ર સંસ્થાઓ જેવી કે અદાલતો, સીબીઆઈ, ઇડી અને ચૂંટણી પંચને શાસક પક્ષે પોતાના ઈશારે નચાવીને ઓલમોસ્ટ ખતમ કરી દીધી છે. વિવાદાસ્પદ ઇલેક્ટોરલ બોન્ડ (ચૂંટણી બોન્ડ) દ્વારા ભાજપને કરોડો રૂપિયાનું ભંડોળ આપનારી કંપનીઓના જ ટેન્ડરો પાસ થતા હોવાના પુરાવા સામે આવ્યા છે. કચ્છથી લઈને સુરત સુધી સરકારી એજન્સીઓનો બેફામ દુરુપયોગ કરીને સ્થાનિક ઉદ્યોગપતિઓ પર ખોટા કેસો થોપી, તેમને સંડોવી દેવાનું કાવતરું ચાલી રહ્યું છે, જેના કારણે અનેક વેપારીઓએ દેશ છોડીને ભાગવું પડ્યું છે. ચૂંટાયેલી સરકાર અત્યારે પ્રજાના સેવકને બદલે ક્રૂર રાજા જેવું વર્તન કરી રહી છે, જે લોકશાહી માટે અત્યંત ખતરનાક સંકેત છે.
આ પણ વાંચો:








