
Bangladesh US Trade Deal Controversy: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ વચગાળાની સરકારના વડા બનેલા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસનો અસલી ચહેરો હવે દુનિયા સામે ખુલ્લો પડી ગયો છે. લોકશાહી પુનઃસ્થાપિત કરવા અને દેશને બદલવાના પવિત્ર વચનો આપીને સત્તાના શિખરે બેઠેલા યુનુસે પોતાના ૧૮ મહિનાના કાર્યકાળ દરમિયાન માત્ર પોતાનું જ નસીબ બદલ્યું અને આખા દેશને પશ્ચિમી આકાઓ સમક્ષ ગીરો મૂકી દીધો. વચગાળાની સરકાર દ્વારા સત્તા સોંપાયાના ત્રણ મહિનાની અંદર જ યુનુસના પોતાના જ વફાદારો અને કેબિનેટના સાથીઓએ એક પછી એક ચોંકાવનારા રહસ્યો ખોલીને બાંગ્લાદેશની રાજનીતિમાં મોટો ભૂકંપ લાવી દીધો છે.
વિદેશ મંત્રાલયને અંધારામાં રાખીને થઈ અમેરિકા સાથે રાષ્ટ્રવિરોધી ડીલ
યુનુસ સરકારના આ કાળા કારનામાનો સૌથી મોટો ખુલાસો તત્કાલીન વચગાળાની સરકારમાં વિદેશી બાબતોના સલાહકાર (વિદેશ મંત્રી) રહેલા તૌહીદ હુસૈને કર્યો છે. એક સનસનાટીભર્યા ઇન્ટરવ્યુમાં હુસૈને અમેરિકા સાથે થયેલી ‘એગ્રીમેન્ટ ઓન રેસિપ્રોકલ ટ્રેડ’ (ટ્રેડ ડીલ) ની આખી રમતની પોલ ખોલી દીધી છે. તેમણે સ્વીકાર્યું કે આ અબજો ડોલરની સંવેદનશીલ ડીલમાં ખુદ વિદેશ મંત્રી કે આખા વિદેશ મંત્રાલયને સહેજ પણ ભાગીદાર બનાવવામાં આવ્યા નહોતા અને આખી પ્રક્રિયા અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. આ કરારમાં માત્ર વાણિજ્ય મંત્રાલય અને તે સમયના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ડૉ. ખલીલુર રહમાન જ સામેલ હતા, જેમને પાછળથી સેટિંગના ભાગરૂપે બીએનપી (BNP) સરકારમાં સીધા વિદેશ મંત્રી બનાવી દેવાયા હતા.
કેબિનેટમાં જ સરમુખત્યારશાહી
મોહમ્મદ યુનુસ પર સરમુખત્યારશાહી ચલાવવાનો આરોપ લગાવનારા તૌહીદ હુસૈન એકલા નથી, પરંતુ ખુદ યુનુસની અતિ નજીકની ‘કિચન કેબિનેટ’ ના સભ્યો પણ હવે મોં ખોલી રહ્યા છે. યુનુસના પરમ સાથી અને તત્કાલીન કાયદા સલાહકાર આસિફ નઝરૂલે ખુલ્લેઆમ દાવો કર્યો છે કે અમેરિકા સાથેના આ વિવાદાસ્પદ કરાર સંબંધિત કોઈ પણ ચર્ચા કે બેઠકોમાં તેમને ક્યારેય બોલાવવામાં જ આવ્યા નહોતા. જ્યારે કેબિનેટના અન્ય એક સભ્ય અને અન્ય સલાહકાર ફરીદા અખ્તરે પણ સ્વીકાર્યું કે તેમણે આ દેશવિરોધી કરાર સામે છેલ્લી ઘડી સુધી લડત આપી હતી, પરંતુ યુનુસના અહંકાર સામે તેમનું કંઈ ચાલ્યું નહોતું.
ચૂંટણીના માત્ર ત્રણ દિવસ પહેલા ઉતાવળે કરાર કેમ?
શેખ હસીના વિરોધી વિદ્યાર્થી આંદોલનના મુખ્ય ચહેરા અને નેશનલ સિટિઝન પાર્ટી (NCP) ના પ્રવક્તા આસિફ મહમૂદ શોઝિબ ભુઇયાએ કટોકટીની પત્રકાર પરિષદ બોલાવીને યુનુસ સરકારની દાનત પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આસિફ મહમૂદે જણાવ્યું કે, વચગાળાની સરકાર દરમિયાન તમામ મોટા અને દેશના સાર્વભૌમત્વને અસર કરતા નિર્ણયો કઈ જગ્યાએ અને કેવી રીતે લેવાયા તેની કોઈ પારદર્શિતા જ નથી. તેમણે સવાલ કર્યો કે, ફેબ્રુઆરી ૨૦૨૬માં યોજાયેલી સામાન્ય ચૂંટણીના બરાબર ત્રણ જ દિવસ પહેલા ૯ ફેબ્રુઆરીએ આ કરાર કરવા પાછળ કયું મોટું દબાણ હતું? આ નિર્ણય આવનારી ચૂંટાયેલી સરકાર માટે કેમ છોડવામાં ન આવ્યો? તેમણે આરોપ લગાવ્યો કે બીએનપી (BNP) એ ચૂંટણી જીતતા પહેલા જ ખલીલુર રહમાનના માધ્યમથી આ કરાર કરાવ્યો અને તેનો ટોપલો વચગાળાની સરકારના માથે ઓઢાડી દીધો, જેથી આ રાષ્ટ્રવિરોધી કરારની તત્કાલ સમીક્ષા થવી જોઈએ.
ક્રાંતિકારી વિદ્યાર્થીઓનો ઢાલ તરીકે ઉપયોગ
મોહમ્મદ યુનુસે માત્ર દેશ સાથે જ નહીં, પરંતુ જુલાઈ મહિનાના લોહીયાળ આંદોલન દ્વારા તેમને સત્તાની ખુરશી સુધી પહોંચાડનારા ક્રાંતિકારી વિદ્યાર્થીઓ સાથે પણ ઘોર દગો કર્યો છે. સત્તા સંભાળ્યા બાદ દેશમાં અરાજકતા અને હિંસા રોકવાના બદલે યુનુસે જાણીજોઈને કટ્ટરપંથી વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતારી દીધા, જેથી દેશમાં ‘મોબ લિંચિંગ’ અને ટોળાશાહી દ્વારા શાસન વિરૂદ્ધ ઉઠતા પ્રજાના વાજબી અવાજોને કચડી શકાય. દોઢ વર્ષના આ શાસનનો ઉપયોગ યુનુસે માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે કર્યો, જેમાં પોતાના પર ચાલી રહ્યા તમામ ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કાનૂની કેસો સત્તાવાર રીતે પાછા ખેંચાવી લીધા, પોતાનો અબજો રૂપિયાનો આવકવેરો માફ કરાવી લીધો અને ચૂંટણી પહેલા જ પોતાનો એજન્ડા પૂરો કરીને બાંગ્લાદેશના ભવિષ્યને અમેરિકાના હાથમાં વેચી દીધું.
આ પણ વાંચો:









